કચ્છની આ કળાના ડેન્માર્કના મહારાણી પણ છે ચાહક, PM મોદીએ આપી અનોખી ભેટ

સરહદી જીલ્લા કચ્છમાં અનેક કળાઓ સાથે સંકળાયેલા કારીગરો છે કે જેમણે પોતાની કળા ગ્રામ્ય સ્તરેથી વિશ્વ સ્તરે પહોંચાડી છે. આવી જ એક 400 વર્ષ જૂની કળા રોગાન આર્ટ કે જે વિશ્વ સ્તરે પહોંચી છે. તાજેતરમાં જ કચ્છના રોગાન આર્ટિસ્ટ દ્વારા બનાવવામાં આવેલ આર્ટ પીસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેનમાર્કની રાણી માર્ગ્રેથને ભેટ સ્વરૂપે આપ્યું છે. કચ્છ જીલ્લાના નખત્રાણા તાલુકાનું નીરોણા ગામ કે જ્યાં અનેક કળાઓ સાથે સંકળાયેલા કારીગરો અહીં વસવાટ કરે છે. પોતાની રોજીરોટી મેળવે છે. ફેશનેબલ વસ્ત્રો પર પણ હવે રોગાનકલાની જામતી અવનવી છાંટ તૈયાર કરવામાં આવે છે. આ રોગાન આર્ટની સુવાસ કચ્છથી અમેરિકાના વ્હાઇટ હાઉસ સુધી પહોંચી છે. અગાઉ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બરાક ઓબામાને રોગાન આર્ટનો નમુનો ભેટ આપેલ હતો.
કચ્છની આ કળાના ડેન્માર્કના મહારાણી પણ છે ચાહક, PM મોદીએ આપી અનોખી ભેટ

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : સરહદી જીલ્લા કચ્છમાં અનેક કળાઓ સાથે સંકળાયેલા કારીગરો છે કે જેમણે પોતાની કળા ગ્રામ્ય સ્તરેથી વિશ્વ સ્તરે પહોંચાડી છે. આવી જ એક 400 વર્ષ જૂની કળા રોગાન આર્ટ કે જે વિશ્વ સ્તરે પહોંચી છે. તાજેતરમાં જ કચ્છના રોગાન આર્ટિસ્ટ દ્વારા બનાવવામાં આવેલ આર્ટ પીસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેનમાર્કની રાણી માર્ગ્રેથને ભેટ સ્વરૂપે આપ્યું છે. કચ્છ જીલ્લાના નખત્રાણા તાલુકાનું નીરોણા ગામ કે જ્યાં અનેક કળાઓ સાથે સંકળાયેલા કારીગરો અહીં વસવાટ કરે છે. પોતાની રોજીરોટી મેળવે છે. ફેશનેબલ વસ્ત્રો પર પણ હવે રોગાનકલાની જામતી અવનવી છાંટ તૈયાર કરવામાં આવે છે. આ રોગાન આર્ટની સુવાસ કચ્છથી અમેરિકાના વ્હાઇટ હાઉસ સુધી પહોંચી છે. અગાઉ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બરાક ઓબામાને રોગાન આર્ટનો નમુનો ભેટ આપેલ હતો.

3 દિવસના યુરોપ પ્રવાસે ગયેલા નરેન્દ્ર મોદીએ ડેનમાર્કની રાણી માર્ગરેટને કચ્છના રોગાન આર્ટની કૃતિ ભેટ સ્વરૂપે આપ્યું હતું. ડેનમાર્કની રાણી માર્ગરેટે એમેલિયન બોર્ગ મહેલમાં સત્તાવાર રાત્રિભોજન કાર્યક્રમ યોજયો હતો. જેમાં વડાપ્રધાને રોગાનની કાપડની કૃતિ ભેટ આપી હતી. રાણી માર્ગ્રેથને ભેટમાં આપવામાં આવેલ રોગાન આર્ટની કૃતિ રોગાન આર્ટિસ્ટ નેશનલ એવોર્ડ વિજેતા સુમાર ખત્રી અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા અબ્દુલ ગફુર ખત્રી દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું.નખત્રાણા તાલુકાના નિરોણા ગામ રાજાશાહી જમાનામાં માત્ર અમુક જ જ્ઞાતિની મહિલાઓના પહેરવેશ પર જ જોવા મળતો છાપકામ (રોગાન) કસબ પાછળથીએ જ્ઞાતિઓમાં રોગાનકૃત વસ્ત્રોનું ચલણ બંધ થતાં કસબ પડી ભાંગ્યો હતો. તેમ છતાં આ કસબના કારીગરોએ મહામહેનતે તેને કલામાં રૂપાંતરિત કરી તેમાં સમયની માંગ અનુરૂપ બદલાવની મહેનત આખરે રંગ લાવી અને આ કસબ ભારે ફૂલ્યો ફાલ્યો. જ્યારે એ જ કલા સાથે સંકળાયેલો એક પરિવાર આ કલાને મૂકી દીધા બાદ છેલ્લા એક દાયકાથી પુન: પોતાના વારસાગત હસ્તકલાને હસ્તગત કરી પોતાની જૂની પેઢીઓના રાહે હવે વસ્ત્રો પર પોતાની કળા કરતાં રોગાનકલામાં એક નવો અધ્યાયનો ઉમેરો થયો છે.

રોગાન આર્ટ કે જેમાં બારીકાઇથી કંડારવામાં આવેલી રોગાનની કૃતિઓ દેશમાં જ નહીં સાત સમંદર પાર પહોંચી છે. છેક અમેરિકાના વ્હાઇટ હાઉસ સુધી આ કલાના પગરણ થતાં રોગાનના રંગોથી ગોરા લોકો પ્રભાવિત થયા. એટલું જ નહીં આ પરિવારના સભ્યોએ વિક્રમરૂપ કલા પારિતોષિકો પણ પ્રાપ્ત કર્યા છે. લુપ્ત થતી આ કળાને પુન: જીવંત કરવા અહીંના કારીગરોએ મનમાં ગાંઠ વાળી છે. એટલું જ નહીં પોતાના દાદાની કંડારેલી કેડીએ ચાલી સમયની માંગ મુજબ અબ્દુલગફૂર ખત્રી અને તેમના પરિવારના 10 સભ્યોએ કાપડ પર રોગાનની અવનવી ડિઝાઇન તો કંડારે છે, સાથે ફેશનના જમાના સાથે કદમ મિલાવી મહિલા-પુરુષના વસ્ત્રો પર રોગાનના કલાત્મક રંગો છાંટી એક નવું ટ્રેન્ડ રોગાનકલામાં શરૂ કર્યું છે. રોગાન આર્ટની આમ તો રોગાનની કૃતિઓ અગાઉ માત્ર કોટન (સૂતરાઉ) કાપડ પર જ સીમિત હતી. પરંતુ હવે રેશમ પર પણ રોગાન કલાના રંગો કામણ પાથરતાં ખાસ કરીને રેશ્મી રંગબેરંગી સાડીઓ, કુર્તા, દુપટ્ટા, બ્લાઉઝ, ચણિયાચોળી, હાથ રૂમાલ જેવા નારી વસ્ત્રોને કલાથી સુસજ્જ થઇ રહ્યા છે. તો વળી પુરુષોના વસ્ત્રો પર પણ રોગાનના રંગોથી રંગતા પહેલ કરી છે. હાલ ફેશન યુગમાં જીન્સ પેન્ટનો વહીવટ ખૂબ જ વધ્યો છે ત્યારે જીન્સ પેન્ટના બંને ઘૂંટણ ઉપરના ભાગ પર રોગાન કલાના ખાસ ઝુમખાએ ભારે આકર્ષણ જમાવ્યું છે.

અબ્દુલભાઇએ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, છેલ્લાં 40 વર્ષથી ખૂબ જ સંઘર્ષ કરી કલાને જીવંત રાખી છે. આ ચાર દાયકાની કલા ઉપાસનામાં અનેક કલા એવોર્ડ મેળવી કચ્છ, રાજ્ય અને દેશનું નામ કલાક્ષેત્રે રોશન કર્યું છે. ગૌરવપૂર્ણ પદ્મ સન્માનની જાણકારી મળ્યા બાદ ખૂબ જ આનંદિત આ કલાકારે જણાવ્યું હતું કે સંઘર્ષ, વડીલોની દુવા, દેશવાસીઓ અને દુનિયાના કલાપ્રેમીઓનો પ્રેમ, ગામના સહયોગ થકી જ મારી કલાની કદર થઇ છે તેને લઇ ખૂબ જ ગૌરવની લાગણી અનુભવું છું, કારણ કે હું એક કચ્છી છું, કારણ કે કચ્છ માટે આ ગૌરવપ્રદ બાબત છે.

પર્સિયાની ચાર સદી જેટલી જૂની રોગાનકલાનો કમાલ કસબ આઠ પેઢીથી ટેરવે ટકાવી બેઠેલા નિરોણાના અબ્દુલગફુર ખત્રી રાષ્ટ્રીય એવોર્ડથી પણ સન્માનિત થઇ ચૂકયા છે. અબ્દુલભાઇ કચ્છમાં રોગાનકલાનો વારસો ધબકતો રાખનાર આઠ પેઢીના વારસ છે. રોગાનકલાએ વસ્ત્ર કલાકારની કલ્પનાશક્તિની કમાલ પર જ આધારિત છે, તેવું પદ્મશ્રી અબ્દુલ ગફુર ખત્રી કહે છે. આ રોગાનકલાને સાચવી બેઠેલા કચ્છના એકમાત્ર કસબી કુટુંબના 10 કલાકાર સભ્યો 4 રાષ્ટ્રીય,3 MSC, 9 રાજ્યસ્તરના એવોર્ડથી સન્માનિત થઇ ચૂકયા છે. રોગાન આર્ટને સાચવી રાખવા માટે વર્ષ 2019માં પદ્મશ્રી એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

ખત્રી સમુદાયના કસબીઓ સ્થાનિક પશુપાલકનાં વસ્ત્રો માટે રોગાનકામ કરતા પરંતુ સમય જતાં મશીનથી બનતાં વસ્ત્રો વધુ પરવડે તેવા વિકલ્પ રૂપે મળી જવાથી ખત્રી યુવાનોને આ કલામાંથી રસ સાવ ઊડી ગયો હતો. પરંતુ અબ્દુલભાઇના પરિવારે 1985માં પુન: રોગાનકલાને જીવંત કરી હતી. બાર દિવસના અથાગ પરિશ્રમના અંતે વસ્ત્ર પર વૃક્ષને ઉપસાવતી અબ્દુલ ગફુર ખત્રીની રોગાન કલાકૃતિથી પ્રભાવિત થઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બેનમૂન કલાકૃતિ તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ભેટમાં આપી હતી. તો આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેનમાર્કની રાણી માર્ગ્રેથને કચ્છી કસબીની આ કલાકૃતિ ભેટ સ્વરૂપે આપી હતી. ઉપરાંત 2019 બાદ ગુજરાતમાં જે કોઈ અન્ય દેશના રાષ્ટ્રપતિ કે અન્ય VIP લોકો આવે છે ત્યારે અને જ્યારે મોદીજી અન્ય દેશના પ્રવાસે જાય છે ત્યારે સનમાન તથા ભેટ સ્વરૂપે કચ્છની કલાકૃતિ આપવામાં આવે છે જે કચ્છ માટે ગૌરવની વાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news