કબરમાં ઉપરાઉપરી દફનાવી હતી બે લાશ, સુરતના ડબલ મર્ડર કેસમાં ઓવૈસીના નેતાનું કનેક્શન નીકળ્યું

Surat Double Murder News : સુરત ડબલ મર્ડરનો ભેદ ઉકેલાયો, ઓવૈસીની પાર્ટીના નેતાએ 16 લાખની સોપારી આપી હત્યા કરાવી, જૂની કબરમાં લાશોને ઉપરાછાપરી દફનાવી, કબ્રસ્તાનના કેર ટેકરને એક કબર માટે કંઈક અજુગતું લાગતા ભેદ ખૂલ્યો

કબરમાં ઉપરાઉપરી દફનાવી હતી બે લાશ, સુરતના ડબલ મર્ડર કેસમાં ઓવૈસીના નેતાનું કનેક્શન નીકળ્યું

Surat News સંદીપ વસાવા/સુરત : સુરતના ઉમરપાડા ખાતે થયેલો ડબલ મર્ડરનો ભેદ ઉકેલાયો છે. 2 યુવકોની હત્યા કરી બંનેના મૃતદેહ કબરમાં દફનાવી દેવામાં આવ્યા હતા. સુરતના AIMIM ના નેતાએ 16 લાખની સોપારી આપી હત્યા કરાવી હોવાની હકીકત સામે આવી છે. પોલીસે સોપારી આપનાર તેમજ અન્ય 2 આરોપીની ધરપકડ કરી છે. હત્યા કરનાર મુખ્ય આરોપી તેમજ અન્ય એક આરોપી હજુ પોલીસ પકડથી દુર પોલીસે તે દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. 

સુરતના ઉમરપાડા તાલુકાના ઊંચવણ ગામે કબ્રસ્તાનમાં હત્યા કરી દફનાવાયેલી 2 લાશ પોલીસને મળી આવી હતી. તપાસ કરતા બંને મૃતદેહ સુરતના લીંબયાત વિસ્તારના અઝરુદ્દીન અને બિલાલ નામના યુવકોની હોવાનું સામે આવ્યું હતું. જોકે બંને યુવકોની હત્યા કોણે કરી? બંને યુવકો ઉમરપાડા કેમ ગયા હતા? એ પોલીસ માટે કોયડો હતો. પરંતુ જિલ્લા એલસીબીની ટીમે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને 3 જેટલા આરોપી ની પોલીસે ધરપકડ કરી લીધી છે. 

આ વિશે સુરત ગ્રામ્યના જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસરે માહિતી આપતા જણાવ્યું કે, એક વર્ષ પહેલાં સુરતના લીંબયાત વિસ્તાર માં રહેતા AIMIM ના નેતા ખુરશીદ અલી નામના વ્યક્તિની બિલાલ ચાંદી નામના વ્યક્તિ સાથે કોઈ બાબતને લઈ બબાલ થઈ હતી અને મારામારી થઈ હતી. જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા અને પોલીસે બિલાલ ચાંદી વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જોકે તે સમયની ખુરશીદ મનમાં અદાવત રાખીને ચાલતો હતો અને ખુરશીદે પોતાના જમાઈ અસલમ અને તેના ભાઈ ઉમરપાડા ખાતે રહેતા અફઝલ નામના ઇસમને બિલાલની હત્યા માટે 16 લાખની સોપારી આપી હતી. 

ઘટના આ દિવસે અફઝલ અને અઝરુદ્દીન બિલાલને લઈ ઉમરપાડા ગયા હતા. જેનો એક સાક્ષી પણ પોલીસને મળી ગયો હતો. બે દિવસ સુધી ઘરે નહિ પહોંચતા બિલાલના ભાઈએ લીંબાયત પોલીસ મથકમાં બિલાલના ગાયબ થવાની ફરિયાદ પણ નોંધાવી હતી. જોકે કબ્રસ્તાનના કેર ટેકરને એક કબર માટે કંઈક અજુગતું લાગતા ઉમરપાડા પોલીસને જાણ કરી અને કબર ખોદતાં બંનેના મૃતદેહ મળી આવ્યા હતા.  જોકે અફઝલ સાથે ઉમરપાડા ગયાની વાત પોલીસને જાણ થતાં પોલીસે અફઝલને શોધવાનો પ્રયત્ન કરતા અફઝલ ઘરેથી ગાયબ હતો. પોલીસે અફઝલના મોબાઈલના કોલ સીડીઆર કઢાવતા ખુરશીદ સાથેના સંપર્ક બહાર આવ્યા હતા.

ખુરશીદની પૂછપરછ માટે અટકાયત કરતા ખુરસિદે હત્યા માટે સોપારી આપી હોવાની કબૂલાત કરી હતી. હત્યા પહેલા 12 લાખ રૂપિયા ચુકવવામાં આવ્યા હતા. તેમજ હત્યા કર્યા બાદ વીડિયો કોલ પર અફઝલ મૃતદેહ બતાવતા ખુરશીદ 3.70 લાખ રૂપિયા આપવા માટે ઉમરપાડા ગયો હતોસ તે પણ મોબાઈલ ટાવરના લોકેશનમાં પોલીસને મળી આવ્યું હતું.  પોલીસે ખુરશીદના જમાઈ અસલમ તેમજ અન્ય એક પ્રેગ્નેશ ગામીત નામના ઇસમની પણ ધરપકડ કરી, જે હત્યા કરતા સમયે મદદગારીમાં હતો. પોલીસે આરોપીઓ પાસે હત્યા બાદ બંને મૃતદેહ જે કારમાં લાવવામાં આવ્યા તે અલ્ટો કાર અને એક ક્રેટા કાર પણ કબ્જે લીધી છે. 

હત્યાના દિવસે અફઝલે પોતાના ખંડેર પડેલા જુના ઘરમાં બિલાલનું તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કાસળ કાઢી નાખ્યું હતું. જોકે બંને મૃતદેહ જોતે હત્યાના સમયમાં 24 કલાક જેટલો સમય ફેર જણાયો હતો. બિલાલની હત્યા સોપારી લીધી હોવાને કરી, પરંતુ અઝરુદ્દીનની હત્યા કોણે અને શા માટે કરી એ પોલીસ માટે તપાસનો વિષય છે. મુખ્ય આરોપી અફઝલ હજુ પોલીસ પકડથી દુર છે. ત્યારે અફઝલ પકડાય ત્યારે વધુ અનેક હકીકતો સામે આવે એવી શક્યતા છે.

હત્યા ગુનામાં મોટાભાગના કિસ્સામાં હત્યા કરનાર એટલે કે સોપારી ફોડનાર એટલેકે હત્યા કરનાર ઝડપાયા બાદ સોપારી આપનારનું નામ ફૂટતું હોય છે. પરંતુ આ ઘટના સોપારી આપનાર પહેલો ઝડપાઇ ગયો છે અને સોપારી ફોડનાર હત્યારો હજી સુધી ફરાર છે. એટલે બિલકુલ થી હત્યારો કરનાર પોલીસ હાથે ઝડપાય ત્યારબાદ જ કેવી રીતે અને ક્યાં હત્યા કરાય કેવી રીતે કાવતરું ઘડ્યયું એ બહાર આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news