કાકા સમજી ગયા, રૂપાણી રહી ગયા: આ મંત્રીએ સામેથી પાડી ના, મારે નથી લડવી લોકસભાની ચૂંટણી

Loksabha Election 2024: રૂપાણી રહી ગયા અને નીતિન પટેલનો મેળ ના પડ્યો... ગુજરાતમાં 11 લોકસભાની સીટ માટે ખેંચતાણ વચ્ચે નીતિન પટેલ અને રૂપાણી બાદ ગુજરાત સરકારના એક મંત્રીએ જાહેરમાં બળાપો ઠાલવ્યો છે કે હું ચૂંટણી લડવાનો નથી. બાવળિયાને પીએમ મોદીએ દિલ્હી તેડાવતાં તેઓ સુરેન્દ્રનગરમાં ચૂંટણી લડશે તેવી હવા ચાલી હતી. રૂપાણી અને નીતિન પટેલનો મેળ ના પડ્યો આ મંત્રીએ સામેથી ના પાડી દીધી છે. 

કાકા સમજી ગયા, રૂપાણી રહી ગયા: આ મંત્રીએ સામેથી પાડી ના, મારે નથી લડવી લોકસભાની ચૂંટણી

Loksabha Election 2024:  ભાજપનો ભરતીમેળો બંધ થયો નથી આજે પણ કેટલાક નેતાઓ ભાજપમાં જોડાયા છે. ભાજપે આપનો તોડ કાઢવા માટે આજે મહેશ વસાવાને ભાજપમાં લઈને માસ્ટર સ્ટ્રોક માર્યો છે. ગુજરાતમાં ટિકિટ મળી એટલે જીતની ગેરંટી છતાં બાવળિયા સારી રીતે જાણે છે કે અહીં મંત્રીપદ તો છે દિલ્હીમાં સાંસદ બનીને સાઈડલાઈન થઈ જશે એટલે એમને જાહેરમાં જ બળાપો ઠાલવી દીધો છે કે મારે લોકસભાની ચૂંટણી લડવી નથી. તો નીતિન પટેલ લડવા માગે છે પણ ભાજપ ટિકિટ આપી રહ્યું નથી. રાજકોટથી રૂપાલાનું નામ જાહેર થયા બાદ નીતિન પટેલે સામેથી ખુલાસો કરવો પડ્યો કે મારે લોકસભાની ચૂંટણી લડવી નથી.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપે 195 ઉમેદવારોના નામની પહેલી યાદી જાહેર કરી દીધી છે. જેમાં ગુજરાતની કુલ 26 બેઠકમાંથી 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. હજુ 11 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ નથી. ભાજપ આ 11 નામો માટે આજે રાતે બેઠક કરી શકે છે. 

સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલ સહિતના નેતાઓ દિલ્હી પહોંચ્યા હતા, આ મામલે બેઠક થઈ શકે છે. ભાજપ અહીં નવા ઉમેદવારો જાહેર કરે તો નવાઈ નહીં. આ દરમિયાન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા બેઠક પરથી પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે. હવે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ સુરેન્દ્રનગર લોકસભા બેઠકથી ચૂંટણી લડવાની તમામ અટકળોનો અંત લાવી દીધો છે. તેમણે કહ્યું કે, 'મારી લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા નથી.'

લોકસભા ચૂંટણી લડવા અંગે કુંવરજી બાવળિયાની સ્પષ્ટતા
રાજ્યના પાણી પૂરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ લોકસભા ચૂંટણીમાં પોતાની ઉમેદવારી અંગે સ્પષ્ટતા જણાવ્યું હતું કે, કેટલાક મારા રાજકીય શત્રુ કે હિતેચ્છુ આવી ચર્ચા ફેલાવી રહ્યાં છે.  મેં હાઈકમાન્ડને વિનંતી કરી છે કે, મારે રાજ્યની જનતાની સેવા કરવી છે. ભૂતકાળમાં પાંચ વર્ષ હું લોકસભામાં જઈ આવ્યો છું. આથી હવે મારી લોકસભા ચૂંટણી લડવાની કોઈ ઈચ્છા નથી.' આમ સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કુંવરજી બાવળિયાની ચૂંટણી લડવાની ચર્ચાનો અંત આવ્યો છે. કેટલાકે બાવળિયા સુરેન્દ્રનગરથી લોકસભાની ચૂંટણી લડતા હોવાની વાતો વહેતી કરી હતી.

રૂપાણી રહી ગયા..
અગાઉ એવી પણ ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં થતી હતી કે, રૂપાણીને પાર્ટી રાજ્યસભામાં લઈ જશે. એટલું જ નહીં વિજય રૂપાણીને રાજ્યસભામાંથી સાંસદ બનાવીને તેમને કેન્દ્રમાં મંત્રી બનાવવા સુધીના પડ઼ીકા ફરતા થયા હતા. ત્યાર બાદ લોકસભાની વાર્તા ચર્ચામાં આવી હતી. જેમાં ફરી એકવાર તેમને કેન્દ્રમાં મંત્રી બનાવવાની વાતો ચર્ચાઈ હતી. આ વખતે લોકોએ તેમને રાજકોટથી ભાજપ ટિકિટ આપશે તેવી વાતો વહેતી કરી હતી. 

જોકે, રાજકોટની બેઠક પર ભાજપે રૂપાલાનું નામ જાહેર થતાં જ તમામ ચર્ચાઓનો અંત આવી ગયો છે. રૂપાણી પણ હવે કદાચ સમજી ગયા હોય કે પાર્ટી તરફથી તેમને જે કંઈ મળવાનું હતું એનાથી વધારે મળી ચુક્યું છે. કારણકે, સીએમ પદ છોડતી વખતે રૂપાણીએ પોતે જ કહ્યું હતુંકે, મને મારા અંદાજા કરતા પાર્ટીએ ઘણું બધુ આપ્યું છે. મારે કંઈ માંગવાનું માંગવું પડ્યું જ નથી.

કાકા તો સમજી ગયા...
બીજેપીની પહેલી યાદીમાં મહેસાણા (Mehsana) બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત ન થતાં કાકા સમજી ગયા હતા કે આપણો હવે મેળ પડશે નહીં. જો કે, નીતિન પટેલે પોસ્ટમાં જણાવ્યું કે, મહેસાણા બેઠક પર ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા હાલ ચાલુ છે. એ પહેલાં હું મહેસાણા બેઠક પરથી ઉમેદવારી પરત ખેંચું છે. કાકા થોડા નસીબના બળિયા છે. એમનું નામ રાજ્યસભા, લોકસભા, રાજ્યપાલ સુધી ચર્ચામાં રહ્યું છે. તેઓ 2 વાર તો ગુજરાતના સીએમ બનતાં રહી ગયા છે. કાકા સમજી ગયા છે કે ભાજપમાં હવે વળતાં પાણી શરૂ થયા છે. નીતિન ભાઈએ સોશિયલ મીડિયામાં પોસ્ટમાં પીએમ મોદીનો આભાર માન્યો હતો અને પીએમ મોદી (PM Modi) ત્રીજી વખત દેશના પીએમ બંને અને દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધે તેવી પ્રાર્થના કરી હતી. 

કુંવરજી બાવળિયાનું મૂળ ગોત્ર કોંગ્રેસ
વર્ષ 1995થી જસદણ વિધાનસભાની ચૂંટણીઓ અને પેટા ચૂંટણીઓમાં કુંવરજી બાવળિયાનો દબદબો જોવા મળ્યો છે. કોંગ્રેસથી કુંવરજી બાવળિયા 1995થી 2007 સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે. જ્યારે તે વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં રાજકોટના સાંસદ તરીકે પણ ચૂંટાયા હતા. વર્ષ 2017ની ચૂંટણીમાં કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા, પરંતુ તેમને વર્ષ 2018માં કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. ત્યારથી તેઓ આ વિસ્તારમાં ભાજપમાંથી ચૂંટાઈ આવે છે. અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ કુંવરજી બાવળીયા રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી હતા. હાલમાં તે ભુપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટ મંત્રી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news