નવસારીમાં શ્રીજીની પ્રતિમા બની આકર્ષણનું કેન્દ્ર; 500 કિલો કાગળના માવામાંથી 12 ફૂટની પ્રતિમા

ગણેશોત્સવમાં પ્લાસ્ટર ઑફ પેરીસ (POP) ની પ્રતિમા પર્યાવરણને નુકશાન પહોંચાડે છે. ત્યારે માટી કે અન્ય વસ્તુઓમાંથી બનતી ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનું સ્થાપન થાય એવા પ્રયાસો સરકાર દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે.

નવસારીમાં શ્રીજીની પ્રતિમા બની આકર્ષણનું કેન્દ્ર; 500 કિલો કાગળના માવામાંથી 12 ફૂટની પ્રતિમા

ધવલ પરીખ/નવસારી: ગણેશોત્સવમાં દેખાદેખીમાં વિશાળ કદની પ્રતિમાઓનો ક્રેઝ વધી રહ્યો છે. પરંતુ એની સાથે પર્યાવરણની જાળવણી પણ એટલી જ મહત્વની છે. ત્યારે નવસારીના સાઈ સેવા સંસ્થાન દ્વારા 500 કિલો કાગળના માવામાંથી તૈયાર કરવામાં આવેલી 12 ફૂટ ઊંચાઈની ગણેશ પ્રતિમા સ્થાપિત કરીને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો છે.

ગણેશોત્સવમાં પ્લાસ્ટર ઑફ પેરીસ (POP) ની પ્રતિમા પર્યાવરણને નુકશાન પહોંચાડે છે. ત્યારે માટી કે અન્ય વસ્તુઓમાંથી બનતી ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનું સ્થાપન થાય એવા પ્રયાસો સરકાર દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે. જેની સાથે હવે શ્રીજી ભક્તોમાં પણ જાગૃતિ આવી રહી છે. નવસારીના મધ્યમાં આવેલા દાદાટટ્ટુ મોહલ્લામાં આવેલ શ્રી સાઈ સેવા સંસ્થાન દ્વારા છેલ્લા 30 વર્ષોથી ગણેશોત્સવ ઉજવાય છે. જેમાં પ્રથમ માટીની ગણેશ પ્રતિમા સ્થાપિત કરવામાં આવતી હતી, પરંતુ કોરોના કાળમાં પ્રથમ વખત મુંબઈના પ્રસિદ્ધ મૂર્તિકાર રાજન ઝાડ દ્વારા નિર્મિત કાગળની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી અને ત્યારથી દર વર્ષે લાખોના ખર્ચે વિઘ્નહર્તાની વિશાળ કદ કાગળના માવામાંથી બનતી મનમોહક પ્રતિમા જ બેસાડવામાં આવે છે. 

આ વર્ષે પણ 500 કિલો વેસ્ટ ન્યુઝ પેપરમાં કાગળના માવામાંથી બનેલી લંબોદરની 12 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. પ્રતિમાનું મુખ એની વિશેષતા છે. આફ્રિકન હાથી જેના કપાળ, કાન અને સૂંઢ સાથે મોટુ મુખ છે. જે મૂર્તિકાર રાજનની આગવી ઓળખ છે. જ્યારે મુખનું તેજ ભક્તોને મોહિત કરી લે છે. અહીં સાંઈનાથના દર્શને આવનાર ભક્તો શ્રીજીના દર્શન કરી, તેએમના અલૌકિક રૂપને મોબાઈલ કેમેરામાં કંડારી લે છે. જ્યારે ઘણા ભક્તો કલાકો એમના સાનિધ્યમાં બેસી શ્રીજીમય બની જાય છે. 

મુંબઈના જાણીતા કલાકાર રાજન ઝાડ પાસે નવસારીના સાઈ સેવા સંસ્થાન દ્વારા છેલ્લા 4 વર્ષોથી કાગળના માવામાંથી શ્રી ગણેશજીની પ્રતિમા બનાવડાવવામાં આવે છે. જાન્યુઆરી મહિનામાં જ શ્રીજીના રૂપની પસંદગી કરીને મૂર્તિકારને સોંપવામાં આવે છે. ત્યારબાદ મૂર્તિકાર દ્વારા સેંડકો કિલો વેસ્ટ ન્યુઝ પેપર મેળવીને તેને પ્રોસેસ કરીને માવો તૈયાર કરી એકદંતની મનમોહક પ્રતિમાનું નિર્માણ આરંભવામાં આવે છે. કાગળમાંથી બનતી હોવાથી મૂર્તિ તૈયાર કર્યા બાદ એને સૂકવવામાં અંદાજે ત્રણ મહિના જોઈએ છે. ત્યારબાદ પ્રતિમાને આખરી ઓપ આપવામાં આવે છે. જેમાં આફ્રિકન હાથીના મુખની પ્રતિકૃતિ મૂર્તિકાર રાજનની હથોટી છે. 

મૂર્તિને મુંબઈથી નવસારી લાવતા પણ 12 થી 16 કલાક થયા હતા. જ્યારે નવસારીમાં આવ્યા બાદ સાંકડી ગલીઓમાંથી શિફત પૂર્વક ક્રેનની મદદથી મંડપમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા. પ્રતિમાના બેઝમાં 3 થી 4 પાઇપ મૂકીને વાંસની લાકડીઓ મૂકી છે. જેથી પ્રતિમા બેલેન્સ રહી શકે, જેથી પ્રતિમાને જ્યારે ઉંચકવામાં આવે, ત્યારે વજનને કારણે એક તરફ નમવાની શક્યતા નહીવત થઈ જાય છે. 10 દિવસો દરમિયાન પણ પ્રતિમા કાગળની હોવાથી દીવો કે આરતી નજીક ન જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જેના માટે આરતીના સમયે મંડળના સભ્યો મૂર્તિની આસપાસ જ રહે છે. જેથી કોઈ ભૂલ ન થાય. 

બીજી તરફ વિસર્જનના દિવસે પણ સાઈ સેવા સંસ્થાનની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનું પ્રથમ વિસર્જન થયા છે. ક્રેનની મદદથી પૂર્ણા નદીમાં શ્રીજીની કાગળના માવામાંથી બનેલ પ્રતિમા વિસર્જિત કર્યાના 24 કલાકમાં જ નદીમાં ઓગળી જાય છે. જેથી પાણી અને જળચર પ્રાણીઓને પણ કોઈ હાની પહોંચતી નથી. 

માનવો દ્વારા નદીઓમાં પ્રદૂષિત પાણી છોડીને પાણીના પર્યાવરણને મોટુ નુકશાન કરવામાં આવે છે. ગણેશોત્સવમાં પણ POP સાથે જ હાર્મફૂલ કલરના ઉપયોગથી નદી અને જળચર જીવોને મોટી અસર થાય છે. ત્યારે માટી, કાગળ કે અન્ય ઇકો ફ્રેન્ડલી વસ્તુઓમાંથી નિર્મિત પ્રતિમાઓ થકી જ જળ પ્રદૂષણને રોકવામાં મદદ મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news