કોંગ્રેસને હજુ નથી મળતા મુરતિયા, ભાજપે સૌરાષ્ટ્ર જીતવા સેટ કર્યા આ સમીકરણો

Loksabha Election 2024: લોકશાહીનાં મહાપર્વ એવી ચુંટણીની જાહેરાત ચુંટણી પંચ દ્વારા કરી દેવામાં આવી છે. આગામી 7 મેનાં ગુજરાતમાં મતદાન થવાનું છે. તે પહેલા જ રાજકીય પક્ષોએ જનસંપર્ક અને પ્રચારની શરૂઆત કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ શહેર રાજકીય હબ બન્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ અને પોરબંદર લોકસભા બેઠક પર બે કેન્દ્રીય મંત્રીઓ ચુંટણી લડી રહ્યા છે. 

કોંગ્રેસને હજુ નથી મળતા મુરતિયા, ભાજપે સૌરાષ્ટ્ર જીતવા સેટ કર્યા આ સમીકરણો

Loksabha Election 2024: ગૌરવ દવે/ રાજકોટ: લોકસભાની ચુંટણી જાહેર થતા જ રાજકીય પક્ષોએ ચુંટણી મેદાનમાં જંપલાવી દીધું છે. સૌરાષ્ટ્રનાં રાજકારણનું કેન્દ્ર બિંદું રાજકોટ બન્યું છે. કારણ કે, બે કેન્દ્રીય મંત્રી સૌરાષ્ટ્રમાંથી ચુંટણી લડી રહ્યા છે. જેમાં રાજકોટ લોકસભા બેઠક પર થી પરસોતમ રૂપાલા અને પોરબંદર લોકસભા બેઠક પર થી મનસુખ માંડવીયા ચુંટણી લડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા કાર્યાલય ખોલી જનસંપર્ક થી મોદી કી ગેરંટી સુધીનાં પ્રચાર શરૂ કરી દીધા છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રની 8માંથી 7 બેઠકો પર કોંગ્રેસને મુરતિયાઓ પણ મળ્યા નથી. કોંગ્રેસનાં કાર્યાલયોમાં કાગળા ઉડતા જોવા મળે છે.

લોકશાહિનાં મહાપર્વ એવી ચુંટણીની જાહેરા ચુંટણી પંચ દ્વારા કરી દેવામાં આવી છે. આગામી 7 મેનાં ગુજરાતમાં મતદાન થવાનું છે. તે પહેલા જ રાજકીય પક્ષોએ જનસંપર્ક અને પ્રચારની શરૂઆત કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ શહેર રાજકીય હબ બન્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ અને પોરબંદર લોકસભા બેઠક પર બે કેન્દ્રીય મંત્રીઓ ચુંટણી લડી રહ્યા છે. 

જેમાં રાજકોટ લોકસભા બેઠક પર થી કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા અને પોરબંદર લોકસભા બેઠક પર કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાને ભાજપે ચુંટણી મેદાનમાં ઉતાર્યા છે. પોરબંદર લોકસભા બેઠકનું રાજકીય ભવિષ્ય રાજકોટ જીલ્લો નક્કી કરે છે. રાજકોટની ગોંડલ, જેતપુર અને ધોરાજી વિધાનસભા પોરબંદર લોકસભા બેઠકમાં આવે છે અને તેના ઉમેદવારનું ભાવી પણ આજ મતદારો નક્કી કરતા હોય છે. જેથી રાજકોટ રાજકીય રીતે કેન્દ્રબિંદું બન્યું છે.

રાજકોટ લોકસભા બેઠકનાં ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર પરસોતમ રૂપાલાએ તો રાજકીય પ્રચારનાં શ્રી ગણેશ કરી દીધા છે અને રાજકોટ શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારનાં પ્રવાસો ખેડી રહ્યા છે. લોકસભાનાં ઉમેદવાર જાહેર નહોતા થયા તે પહેલા જ ભાજપ દ્વારા લોકસભા કાર્યાલયો ખોલી દેવામાં આવ્યા હતા. જોકે પરસોતમ રૂપાલાનું નામ જાહેર થતા જ હવે દરેક સમાજનાં લોકોનાં સંમેલનો પણ મળવા લાગ્યા છે અને કાર્યકરોએ તો ઘરે-ઘરે જઇને જનસંપર્ક પણ શરૂ કરી દીધો છે. કોંગ્રેસે સૌરાષ્ટ્રની 8 બેઠકોમાંથી માત્ર પોરબંદર બેઠકનાં ઉમેદવાર તરીકે લલીત વસોયાને મેદાને ઉતાર્યા છે જ્યારે 7 બેઠકો પર કોંગ્રેસને મુરતીયા(ઉમેદવારો) પણ મળવા મુશ્કેલ થાય તેવી સ્થિતીનું સર્જન થયું છે. રાજકોટ કોંગ્રેસનાં કાર્યાલય ખાલી ખમ જોવા મળી રહ્યા છે. 

શું છે રાજકોટ લોકસભા બેઠક પર રાજકીય સમિકરણો?

ભાજપ

  • (1) રાજકોટ લોકસભા બેઠક ભાજપ સમર્પિત બેઠક
  • (2) ભાજપ આ બેઠક પર કડવા પાટીદારને જ આપે છે ટીકીટ''''
  • (3) 7 વિધાનસભા બેઠક તમામ ભાજપનાં ફાળે
  • (4) કડવા અને લેઉવા પાટીદારો ભાજપ સમર્પિત
  • (5) મોદીનાં વિકાસ મંત્ર સૌથી મોટું સમીકરણ

કોંગ્રેસ

  • (1) કોંગ્રેસ પાસે નથી સંગઠન કે નથી કાર્યકર્તા
  • (2) કડવા સામે લેઉવા અથવા ઓબીસી કાર્ડ ખેલશે કોંગ્રેસ
  • (3) પરસોતમ રૂપાલા સામે લડત આપવા નથી કોઇ સક્ષમ ચહેરો
  • (4) કોંગ્રેસના આંતરીક જૂથવાદને કારણે ચુંટણી લડવા નથી કોઇ તૈયાર
  • (5) કોંગ્રેસ સ્થાનિક ઉમેદવાર ઉતારી સ્થાનિક સામે આયાતીનો જંગ કરી શકે

રાજકોટ લોકસભા બેઠક

  • - વર્ષ 2014માં 63.59 ટકા મતદાન થયું હતું
  • - વર્ષ 2019માં 63.14 ટકા મતદાન નોંધાયું હતું

ગત લોકસભા ચુંટણીમાં ભાજપ ઉમેદવાર મોહન કુંડારિયાએ કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાને હરાવી 3,68,407 પરાજય કરી સાંસદ બન્યા હતા. જે રાજકોટ લોકસભા બેઠકની ઇતિહાસનો સૌથી હાઈએસ્ટ રેકોર્ડ છે. વર્ષ 1998માં વલ્લભ કથીરીયા 3,54,916 મતથી જીત હાસિલ કરી હતી. રાજકોટ લોકસભા બેઠક પર 23 લાખ મતદારો નોંધાયેલા છે. જેમાં 12 લાખ પુરૂષ મતદારો અને 11 લાખ સ્ત્રી મતદારો છે. રાજકોટ લોકસભા બેઠક પર 35 ટકા વસ્તી ગ્રામીણ વિસ્તારની અને 65 ટકા શહેરી વિસ્તાર આવે છે.

રાજકોટ લોકસભા બેઠકની સમસ્યાઓ ?

  • (1) ગ્રામ્ય વિસ્તારમાં રોડ, પાણી અને સ્ટ્રીટ લાઇટનો અભાવ
  • (2) ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી શાળાઓમાં શિક્ષકો અને ઓરડાની ઘટ
  • (3) ખેડૂતોની સેટેલાઇટ માપણીનો રી-સર્વેનો મુદ્દો અને પોષણક્ષમ ભાવની માંગ
  • (4) ગ્રામ્ય વિસ્તારોમા હોસ્પિટલની સુવિધા અને તબીબોની માંગ
  • (5) શહેરી વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા, પાર્કિંગ સમસ્યા

રાજકોટ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ રાજકોટને મળી, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ રાજકોટને મળ્યું, સૌની યોજના થી રાજકોટ જીલ્લાનાં ડેમોમાં પાણી પહોંચાડ્યું, નવું રેસકોર્ષ અને નવી જનાના હોસ્પિટલ જેવી આરોગ્ય સુવિધાઓ, રાજકોટ-અમદાવાદ હાઇ-વે સિક્સ લેન જેવા વિકાસ મંત્રો સાથે મોદીની ગેરંટી સાથે કાર્યકરોએ પ્રચાર શરૂ કર્યો છે. ચુંટણીનાં મતદાન સુધી ભાજપનાં કાર્યકરો મોદી કા પરીવારનાં સુત્ર સાથે ઘરે-ઘરે જશે અને પ્રચાર કરશે.

કોંગ્રેસ ચુંટણી મેદાનમાં ઉતરવા તૈયાર છે તેવા દાવાઓ કરે છે પરંતું તેમની પાસે કોઇ મુરતીયા નથી. રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઇન્ડી ગઠબંધન કરે તેવા અણસાર જોવા મળતા નથી. સ્થાનિક નેતાઓ પોત પોતાનાં ગ્રુપનાં જૂથને ગોઠવવામાં પડ્યા છે. રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસનાં ગણ્યા ગાઠ્યા નેતાઓનાં નામ ચર્ચાઇ રહ્યા છે. જેમાં...

(1) લલીત કગથરા, પૂર્વ ધારાસભ્ય - 2019માં લોકસભા લડ્યા હતા પરંતુ 3 લાખ કરતા વધુ મત થી પરાજય થયા હતા પરંતુ તે ચુંટણી લડવા તૈયાર
(2) ઇન્દ્રનીલ રાજગુરૂ - 2017 અને 2022માં રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક હાર્યા છે. જોકે આર્થિક રીતે સક્ષમ હોવા થી તેને ટીકીટ આપી શકે
(3) ડો. હેમાંગ વસાવડા - સ્વચ્છ છબી અને એજ્યુકેટેડ તરીકેની છાપ. ચુંટણી જંગમાં ક્યારેય જંપલાવ્યું નથી તેથી નિર્વિવાદીત ચહેરો. સવર્ણ જ્ઞાતી
(4) હિતેશ વોરા - 2022માં વિધાનસભાની ચુંટણી રાજકોટ દક્ષીણ બેઠક પર થી લડ્યા પણ થયા પરાજય. લેઉવા પાટીદાર હોવાથી કડવા સામે લેઉવા કોંગ્રેસ કરવા મેદાને ઉતારી શકે
(5) વિક્રમ સોરાણી - આમ આદમી પાર્ટીમાંથી ચુંટણી લડી ચુક્યા છે અને કોળી સમાજનાં અગ્રણી છે. કોંગ્રેસનો ખેસ ધારણ કરે તેવી શક્યતા. 2009માં કોંગ્રેસે કુંવરજી બાવળીયાને ટીકીટ આપી હતી અને જીત મળવી હતી. જેથી કોંગ્રેસ કડવા સામે ઓબીસી(કોળી) કાર્ડ ખેલી શકે છે. 

શું છે મતનું જ્ઞાતિગત ગણિત ?

  • - કુલ મતદારો 23 લાખ
  • - સૌથી વધું પાટીદાર મતદારો 8 લાખ
  • - લેઉવા અને કડવા પાટીદાર 4 - 4 લાખ મતદારો
  • - 3 લાખ સવર્ણ જ્ઞાતિનાં મતદારો જેમાં બ્રાહ્મણ, લોહાણા, જૈન અને વાણીયા અને સોની
  • - 2.75 લાખ કડીયા, સુથાર સહિત ઇતર જ્ઞાતીનાં મતદારો
  • - 3 લાખ કરતા વધુ કોળી મતદારો છે જેમાં રાજકોટ પૂર્વ બેઠક પર 15 ટકા, રાજકોટ ગ્રામ્ય બેઠક 12 ટકા અને જસદણ બેઠક પર 35 ટકા

જોકે રાજકીય વિશ્લેષકો આ વખતની ચુંટણીને વન સાઇડ ચુંટણી ગણાવી રહ્યા છે. કારણ કે, ગુજરાતમાં કોંગ્રેસનાં નેતાઓ એક બાદ એક પક્ષને અલવિદા કહી કેસરીયા કરી રહ્યા છે. જેથી કોંગ્રેસ પાસે પ્રજાની વચ્ચે જવા માટે પણ કોઇ મુદ્દા રહ્યા નથી. જોકે ભારતીય જનતા પાર્ટી દેશમાં કરેલા ઇન્ફ્રાસ્ટ્રકચર વિકાસ, અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા, કાશ્મિરમાંથી કલમ 370 દુર કરવી અને સીએએ જેવા નિર્ણયને લઇને ચુંટણી મેદાનમાં ઉતરી છે. રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસ પરસોતમ રૂપાલાને ટક્કર આપી શકે તેવા ઉમેદવાર મેદાને ઉતારે તો ચુંટણીમાં રસાકસી જોવા મળી શકે છે. 

જોકે છેલ્લા થોડા દિવસ થી પરસોતમ રૂપાલાની સામે પરેશ ધાનાણીને મેદાને ઉતારવામાં આવે તેવી ચર્ચા શરૂ થઇ છે. જો પરેશ ધાનાણી અમરેલીને બદલે રાજકોટ થી ચુંટણી લડે તો બન્ને ઉમેદવાર અમરેલી જીલ્લાનાં થશે અને રાજકીય ગરમાવો પણ જોવા મળી શકે છે. હવે કોંગ્રેસ હાઇ-કમાન્ડ કોનાં પર પસંદગી કરે છે તે જોવું રહ્યું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news