નપા અને મનપા સિવાયના વિસ્તારમાં આવતીકાલથી મળશે કેટલિક છૂટછાટ

લૉકડાઉન દરમિયાન કાયદાનો ભંગ કરતા અનેક લોકોના વાહનો પોલીસે જપ્ત કર્યા હતા. આ વાહનો ફરી છોડાવવા માટે દંડ ભરવો પડતો હોય છે. ત્યારે રાજ્ય સરકારે આવા લોકોને પણ રાહત આપી છે.

નપા અને મનપા સિવાયના વિસ્તારમાં આવતીકાલથી મળશે કેટલિક છૂટછાટ

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના પીડિતોની સંખ્યા 1600થી પણ વધી ગઈ છે. તો માત્ર અમદાવાદમાં 1002 કેસ સામે આવ્યા છે. કોરોનાને રોકવા માટે દેશભરમાં લૉકડાઉન 2.0 ચાલી રહ્યું છે. આ દરમિયાન લોકોને રાહત મળે તે માટે સરકાર અનેક પ્રયાસો કરી રહી છે. ત્યારે આજે પણ સરકારે કેટલિક જાહેરાતો કરી છે. જેની જાણકારી મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદમાં આવી હતી. 

1 હજાર રૂપિયાનો લાભ મેળવવા કોઈ ફોર્મની જરૂર નથી
રાજ્ય સરકારે ગરીબોને રાહત આપતા ગઈકાલે 66 લાખ જેટલા પરિવારોને એક હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. આ અંગે અશ્વિની કુમારે કહ્યું કે, આ યોજનાનો લાભ મેળવવા માટે કોઈ ફોર્મ ભરવાની કે અરજી કરવાની જરૂર નથી. લાખાર્થીના બેન્ક ખાતામાં પૈસા મળી જશે. તેનો ફાયદો 66 લાખ પરિવારોને થવાનો છે. રાજ્ય સરકાર પર આ માટે 660 કરોડ રૂપિયાનું વધારાનું ભારણ પડશે. સોમવારથી દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર જિલ્લાના લાભાર્થીઓ ના ખાતામાં રકમ જમા કરાવવાની શરુઆત કરાશે.

જપ્ત થયેલા વાહન ચાલકોને રાહત
લૉકડાઉન દરમિયાન કાયદાનો ભંગ કરતા અનેક લોકોના વાહનો પોલીસે જપ્ત કર્યા હતા. આ વાહનો ફરી છોડાવવા માટે દંડ ભરવો પડતો હોય છે. ત્યારે રાજ્ય સરકારે આવા લોકોને પણ રાહત આપી છે. જે લોકો પોતાનું ટૂ-વ્હીલર કે થ્રી-વ્હીલર વાહન છોડાવવા જશે તેણે માત્ર 500 રૂપિયા કમ્પાઉન્ડિંગ ફી તરીકે આપવાના રહેશે. તેનાથી મોટા વાહનોએ 1000 રૂપિયા આપવાના રહેશે. આ સિવાય કોઈ રકમ ભરવાની રહેશે નહીં. 

25 લાખની સહાયની જાહેરાત
રાજ્ય સરકારે કોરોના વાયરસ સામે લડવા માટે દુકાનદારો પણ કામગીરી કરી રહ્યાં છે. રાજ્ય સરકારે આવા લોકોની કામગીરીનો પણ આભાર માન્યો છે. આ સાથે સરકારે જાહેરાત કરી કે સસ્તા અનાજની દુકાનનો પરવાનો હોય તેને પણ સહાય કરવામાં આવશે. સરકારે જાહેરાત કરી કે કોરોનાથી જો કોઈ આવા દુકાનદારનું મૃત્યુ થાય તો 25 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે. સસ્તા અનાજની દુકાનમાં કામ કરતા, તોલાત અને કમ્પ્યૂટર ઓપરેટરને પણ આ સહાય લાગુ પડશે. 

આવતીકાલથી શરૂ થતાં ઉદ્યોગો માટે પણ સરકારની જાહેરાત
લૉકડાઉનમાં 20 એપ્રિલથી કેટલિક જગ્યાએ થોડી છૂટછાટ મળવાની છે. તે માટે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જો કોઈ ઉદ્યોગ આવતીકાલથી શરૂ થાય તો મહત્મ 12 કલાકની શિફ્ટ આપવાની રહેશે. તેને 12 કલાકનું વેતન પણ આપવામાં આવશે. કર્મચારીને 6 કલાકના કામ બાદ અડધો કલાક આરામ આપવાનો રહેશે. આ સાથે મહિલાઓને નાઇટ શિફ્ટમાં રાખી શકાશે નહીં. મહિલાઓને સાંજે સાતથી સવારે 6 કલાક સુધી શિફ્ટમાં રાખી શકાશે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news