સુરતના યુવકને પથારીમાં બેઠા બેઠા જ મોત આવ્યું, હાર્ટ એટેક લઈ ગયો જીવ

Heart Attack : સુરતમાં 30 વર્ષીય ફેશન ડિઝાઈનર પરિવાર સાથે ભોજન લઈ સૂતો, સવારે હાર્ટ એટેકથી મોત... પાંચ વર્ષના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી
 

સુરતના યુવકને પથારીમાં બેઠા બેઠા જ મોત આવ્યું, હાર્ટ એટેક લઈ ગયો જીવ

Surat News : ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સા વધી રહ્યાં છે. આ કારણે હવે ગુજરાતમાં ડરનો માહોલ ફરી વળ્યો છે. હવે તો લોકોને પોતાના યુવા સંતાનોની ચિંતા થઈ રહી છે કે, ક્યાંક હાર્ટ એટેકથી તેમને મોત ન આવે. ત્યારે સુરતમાં વધુ એક યુવકનું હાર્ટ અટેકથી મોત નિપજ્યું છે. સુરતમાં 30 વર્ષીય ફેશન ડિઝાઈનર યુવક રાતે સૂતા બાદ સવારે ઉઠ્યો હતો અને અને અચાનક નીચે ઢળી પડ્યો હતો. સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યુ હતું. 

સુરતના પાંડેસરાના આવીરભાવ સોસાયટીની આ ઘટના છે. મૂળ મહારાષ્ટ્રના 30 વર્ષીય હીરાલાલ નામદેવ પાટીલ પરિવાર સાથે સુરતમાં રહેતા હતા. તેમને પરિવારમાં પત્ની અને પાંચ વર્ષનો એક દીકરો છે. હીરાલાલ પાટીલ સુરતની એક કંપનીમાં ફેશન ડિઝાઈનર તરીકે કાર્ય કરતા હતા. 

ગુરુવારે સાંજે તેઓ નોકરી બાદ ઘરે આવ્યા હતા. તેમણે પરિવાર સાથે ભોજન લીધુ હતું અને ત્યાર બાદ તેઓ સૂઈ ગયા હતા. રાત્રે સુતા બાદ સવારે ઉઠ્યા, પરંતુ પથારીમાંથી ઉઠવાનો પ્રયાસ કર્યો તો ત્યાં જ ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતું 30 વર્ષીય યુવકને હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કરાયો હતો. 

યુવકના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની શક્યતા છે. યુવકના મોતના પગલે એકના એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. 

ગુજરાતમાં હૃદય રોગની બીમારીમાં છેલ્લા એક વર્ષમાં સતત વધારો થયો છે. હજારો લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું સામે આવ્યું છે. 108એ તાજેતરમાં જ હૃદય રોગના આંકડા જાહેર કર્યા છે. 108એ વર્ષ 2023માં 72 હજાર 573 હૃદય રોગને લગતી ઈમરજન્સી હેન્ડલ કરી. છેલ્લા છ વર્ષ એટલે કે વર્ષ 2018થી વર્ષ 2023માં સુધી કેટલા કેસ નોંધાયા.
 
દર 7 મિનિટે એક ગુજરાતીને આવી રહ્યો છે હાર્ટ એટેક
ગુજરાતમાં ચિંતાજનક રીતે હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે. સૌથી ડરામણી માહિતી એ છે કે, રાજ્યમાં દર 7 મિનિટે એક વ્યક્તિ હાર્ટ એટેકનો ભોગ બની રહી છે. જી હા, 108 ઈમરજન્સીના આંકડામાં આ મોટો ખુલાસો થયો છે. આંકડા કહે છે કે, ગુજરાતમાં દર 7 મિનિટે હૃદયરોગનો એક વ્યક્તિ ભોગ બને છે. એટલે કે, હાર્ટ એટેક તો કોરોના કરતા પણ ખતરનાક કહી શકાય. ગુજરાતીઓએ કોરોનાથી નહિ, પરંતું હાર્ટ એટેકથી સાવચેત રહેવાની જરૂરી છે. હાર્ટ એટેક માટે લાઈફસ્ટાઈલ, ફાસ્ટફૂડ, માનસિક તણાવ જવાબદાર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news