ભરૂચ : ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી ભયજનક લેવલથી 1 ફૂટ દૂર, કાંઠાના ગામોને એલર્ટ કરાયા

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી 5 લાખ 39 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. જેને કારણે હાલ ડેમની સપાટી 136.02 મીટર પર પહોંચી ગઈ છે. પાણીની આવક વધવાને કારણે નર્મદા ડેમના 22 દરવાજા ખોલવામાં આવ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેલા લાગી છે. જેને કારણે હાલ ભરૂચ પાસેના ગોલ્ડન બ્રિજની જળ સપાટી 23 ફૂટ પર પહોંચી ગઈ છે. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા ગોલ્ડન બ્રિજની આસપાસના ગામોને અલર્ટ રહેવા સૂચના અપાઈ છે. 
ભરૂચ : ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી ભયજનક લેવલથી 1 ફૂટ દૂર, કાંઠાના ગામોને એલર્ટ કરાયા

ભરત ચૂડાસમા/ભરૂચ :ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી 5 લાખ 39 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. જેને કારણે હાલ ડેમની સપાટી 136.02 મીટર પર પહોંચી ગઈ છે. પાણીની આવક વધવાને કારણે નર્મદા ડેમના 22 દરવાજા ખોલવામાં આવ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેલા લાગી છે. જેને કારણે હાલ ભરૂચ પાસેના ગોલ્ડન બ્રિજની જળ સપાટી 23 ફૂટ પર પહોંચી ગઈ છે. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા ગોલ્ડન બ્રિજની આસપાસના ગામોને અલર્ટ રહેવા સૂચના અપાઈ છે. 

ભયજનક સપાટીથી 1 ફૂટ દૂર
સરદાર સરોવર નર્મદા ડેમ માંથી પાણી છોડાતા નર્મદા નદીનું ભરૂચ ખાતે ધીરે ધીરે મોટું સ્વરૂપ સામે આવી રહ્યું છે. ગોલ્ડન બ્રિજ ખાતે ૨૪ ફૂટની ભયજનક સપાટી નજીક સપ્તાહમાં બીજી વાર જળસ્તર પહોંચશે. હાલ ગોલ્ડન બ્રિજની જળ સપાટી ૨૩ ફૂટે વહી રહી છે. જેને કારણે નદી કાંઠાના ગામોને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. તંત્રના અધિકારીઓ અને ફ્લડ કન્ટ્રોલની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. 

મધ્યપ્રદેશમાંથી પાણીની આવક ગુજરાતમાં આવી
મધ્યપ્રદેશના ખંડવામાં ધોધમાર વરસાદને કારણે ઇન્દિરા સાગર ડેમના 12 અને ઓમકારેશ્વર ડેમના 16 ગેટ ખોલવામાં આવ્યા છે. જેને પગલે એક ગેટમાંથી 16 હજાર લેખે 1 લાખ 92 હજાર ક્યુસેક પાણી નર્મદા ડેમમાં આવશે. ઉપરવાસમાંથી પાણીની આવક થવાને કારણે આજે નર્મદા ડેમની સપાટીમાં વધારો થઈ શકે છે. હાલ ડેમના 22 દરવાજા ખોલવામાં આવ્યા છે. પરંતુ ડેમમાં પાણીની આવક વધવાને કારણે નર્મદા કાંઠે આવેલા નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોની સ્થિતિ બગડશે. ડેમ દરવાજામાંથી 6 લાખ 10 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. પાણીનું લેવલ સતત વધી રહ્યું છે. આ કારણે કેવડિયાનો ગોરા બ્રિજ પર પાણી ફરી વળતા તેને રાહદારીઓ માટે બંધ કરાયો છે. ડેમ માં હાલ 4927 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. 

ઉલ્લેખનીય છે કે, ગુજરાત માટે 2019નું ચોમાસુ બહુ જ ફળદાયી સાબિત થયું છે. ગુજરાતના દરેક જિલ્લામાં સારો વરસાદ પડ્યો છે, જેથી મોટાભાગના ડેમ ભરાયા છે. નર્મદા ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે. જેને પગલે ભરૂચ ખાતે ગોલ્ડન બ્રિજની સપાટી પણ વધતી રહે છે. ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીનું ભયજનક લેવલ 24 ફૂટ રાખવામાં આવ્યું છે. આ લેવલ વધી જાય તો પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને જિલ્લાના ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા તાલુકાના ગામોને વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવે છે. તેમજ માછીમારોને માછીમારી કરવા નહીં જવાની તંત્ર દ્વારા સૂચના આપી દેવાય છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ ઝૂંપડપટ્ટી, દાંડિયાબજાર અને વેજલપુર બહુચરાજી મંદિર નજીક રહેતા લોકોને સાવધ રહેવા સૂચના અપાય છે. ગોલ્ડન બ્રિજ નીચે આવેલ ઝૂંપડપટ્ટી પૂર્ણ પાણીમાં ગરકાવ થઈ જાય છે, તો નર્મદા કિનારે આવેલ ખેતરોમાં પણ પાણી ભરાઈ જાય છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news