મોદીનું મિશન ગુજરાત : લંડન-અમેરિકાને પણ ટક્કર મારે તેવા 2 પ્રોજેક્ટ્સનું કેવડિયામાં લોકાર્પણ કરશે

Statue Of Unity New Projects : વડાપ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં નવા બે પ્રવાસન આકર્ષણો, મેઝ (ભુલભુલૈયા) ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટને પ્રવાસીઓ માટે ખુલ્લા મુકશે

મોદીનું મિશન ગુજરાત : લંડન-અમેરિકાને પણ ટક્કર મારે તેવા 2 પ્રોજેક્ટ્સનું કેવડિયામાં લોકાર્પણ કરશે

ગાંધીનગર :વિશ્વભરના પ્રવાસીઓ માટે હવે સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે વધુ 2  પ્રવાસન આકર્ષણોનો ઉમેરો થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે પ્રવાસીઓ માટે ભુલભુલૈયા ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટે લોકો માટે ખુલ્લો મૂકશે. જેમાં એક છે ભુલભુલૈયા ગાર્ડન. પોઝિટિવ એનર્જી લાવતા ‘શ્રીયંત્ર’ના આકારમાં ભુલભુલૈયા ગાર્ડન રચવામાં આવ્યું છે. તો સાથે જ જાપાનના બોટાનિસ્ટ અકિરા મિયાવાકીની પદ્ધતિ દ્વારા મિયાવાકી ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. વધુ 2 પ્રવાસન આકર્ષણોથી કેવડિયા આવતા પ્રવાસીઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલ જયંતી નિમિત્તે કેવડિયા સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લેશે. અહીં તેઓ સરદાર પટેલની પ્રતિમાને ફૂલો અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપશે. આ સાથે જ વડાપ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં નવા બે પ્રવાસન આકર્ષણો, મેઝ (ભુલભુલૈયા) ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટને પ્રવાસીઓ માટે ખુલ્લા મુકશે.  

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર પ્રવાસન ક્ષેત્રના વિકાસને વેગવંતો બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે, ત્યારે કેવડિયા ખાતે વધુ 2 પ્રવાસન આકર્ષણોનો ઉમેરો ગુજરાતમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરશે. 

No description available.

 ‘શ્રીયંત્ર’ના આકારમાં રચાયો ભુલભુલૈયા ગાર્ડન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને દિશા નિર્દેશનમાં ફક્ત 8 મહિનાના ટુંકા ગાળામાં કેવડિયા ખાતે મેઝ (ભુલભુલૈયા) ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું છે. 3 એકર વિસ્તારમાં ફેલાયેલો આ મેઝ ગાર્ડન સમગ્ર દેશમાં સૌથી મોટો મેઝ ગાર્ડન છે, જે કુલ 2100 મીટરનો પાથવે ધરાવે છે. કેવડિયા ખાતે બનાવવામાં આવેલ મેઝ ગાર્ડન ‘શ્રીયંત્ર’ ના આકારના યુનિક કોન્સેપ્ટ સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે શ્રીયંત્ર વાતાવરણમાં પોઝિટિવ એનર્જી એટલે કે હકારાત્મક ઊર્જા લઇને આવે છે. આ ડિઝાઇન પાછળનો મૂળ ઉદ્દેશ આ ગાર્ડનની રચનામાં સપ્રમાણતા લાવવાનો હતો, જેમાં ગૂંચવણભર્યા જટિલ રસ્તાઓનું નેટવર્ક નિર્મિત કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ ભુલભુલૈયાની મુલાકાત લેતા પ્રવાસીઓના મન, શરીર અને ઇન્દ્રિયોને આ ગૂંચવણભર્યા રસ્તાઓ પડકારશે, તેમને અવરોધો પર વિજય મેળવવા માટે પ્રેરિત કરશે અને તેમના ડરને દૂર કરવા માટે તેમનામાં સાહસની ભાવનાનો સંચાર કરશે. 

No description available.

ડમ્પિંગ સાઈટમાંથી ઉભુ કરાયું ભુલભુલૈયા
આ ભુલભુલૈયા બનાવવા માટે અહીંયા અંદાજે કુલ 1,80,000 છોડવાંઓ લગાવવામાં આવ્યા છે, જેમાં ઓરેન્જ જેમિન (મુરૈયા એક્સોટિકા), કામિની (2), ગ્લોરી બોવર (ક્લરોડેન્ડ્રમ ઇનરમ) અને મહેંદીના છોડનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આ સ્થળ મૂળરૂપે ખડકાળ પથ્થરોની ડમ્પિંગ સાઇટ હતી, જે હવે લીલોછમ ભૂપ્રદેશ બની ગઈ છે. આ નિર્જન વિસ્તારનું આવું પુનરુત્થાન તેના સૌંદર્યમાં તો વધારો કરે જ છે, પણ તેના કારણે એક વાયબ્રન્ટ ઇકોસિસ્ટમનું પણ નિર્માણ થયું છે, જે પક્ષીઓ, પતંગિયા અને મધમાખીઓને પણ આકર્ષે છે. 

ભુલભુલામણી લોકોને આકર્ષિત કરશે 
આ સાઇટની સુંદરતા તમામ વયજૂથોના મુલાકાતીઓ, ખાસ કરીને બાળકોને આકર્ષિત કરશે. બાળકો તેના ભુલભુલામણી ભરેલા રસ્તાઓથી આશ્ચર્યચકિત થશે. મુલાકાતીઓને આવવા-જવામાં પરેશાની ન થાય તે સુનિશ્ચિત કરવા માટે પાર્કિંગ, રિફ્રેશમેન્ટ અને શૌચાલયની સુવિધાઓ પણ ઊભી કરવાં આવી છે. 

No description available.

શું છે મેઝ ગાર્ડન 
આ મેઝ ગાર્ડનમાં એક વોચ ટાવર પણ ઊભો કરવામાં આવ્યો છે, જેના પર ઊભા રહીને આખા ગાર્ડનનો વ્યૂ નિહાળી શકાય છે. આ સમગ્ર પ્રોજેક્ટ વેલી ઓફ ફ્લાવર્સને અડીને બનાવવામાં આવ્યો છે. આ ગાર્ડનની રોજબરોજની જાળવણી માટે માણસોની જરૂર પડશે, જેના કારણે સ્થાનિક લોકો માટે આજીવિકાની તકો ઊભી થશે. 

No description available.

જાપાનના બોટાનિસ્ટ અકિરા મિયાવાકીની પદ્ધતિ દ્વારા તૈયાર થયું મિયાવાકી ફોરેસ્ટ
મિયાવાકી એ જાપાનીઝ બોટાનિસ્ટ અકિરા મિયાવાકી દ્વારા પ્રેરિત ટેક્નીક છે, જે ટુંકા ગાળામાં ગાઢ જંગલોનું નિર્માણ કરવામાં મદદ કરે છે. આ પદ્ધતિમાં એક જ વિસ્તારમાં શક્ય એટલા નજીક વૃક્ષો વાવવામાં આવે છે, જે જગ્યા તો બચાવે જ છે, સાથે જ બાજુ-બાજુમાં વાવેલા રોપાઓ એકબીજાની વૃદ્ધિમાં મદદ કરે છે, અને સૂર્યપ્રકાશને જમીન સુધી પહોંચતા અટકાવે છે, જેનાથી નીંદણ ઉગતું અટકે છે. પ્રથમ ત્રણ વર્ષ પછી આ રોપેલા છોડવાઓની જાળવણી કરવાની જરૂર રહેતી નથી. આ પદ્ધતિમાં છોડનો વિકાસ 10 ગણો ઝડપી થાય છે અને પરિણામ સ્વરૂપે 30 ગણું વધુ ગાઢ જંગલ ઊભું થાય છે. મિયાવાકી પદ્ધતિ માત્ર 2થી 3 વર્ષમાં જંગલ ઊભું કરવામાં મદદરૂપ થાય છે, જ્યારે પરંપરાગત પદ્ધતિઓ દ્વારા એક જંગલ ઊભું કરવામાં 20થી 30 વર્ષનો સમય લાગે છે. 

No description available.

કેવડિયામાં SSNNL સર્કિટ હાઉસ ટેકરીની બાજુમાં એકતા નગર ખાતે એકતા મોલની નજીક 2 એકર વિસ્તારમાં મિયાવાકી જંગલ વિકસાવવામાં આવી રહ્યું છે. આ જંગલમાં નીચેના વિભાગોનો સમાવેશ કરવામાં આવશે: 

  • નેટિવ ફ્લોરલ ગાર્ડન
  • ટિંબર ગાર્ડન
  • ફ્રુટ ગાર્ડન 
  • મેડિસિનલ ગાર્ડન
  • મિશ્ર પ્રજાતિઓનું મિયાવાકી સેક્શન 
  • ડિજિટલ ઓરિએન્ટેશન સેન્ટર 

આ મિયાવાકી ફોરેસ્ટ માટે એન્ટ્રી પ્લાઝા, પાર્કિંગ, સિક્યોરિટી કેબિન, આઉટડોર સિટિંગ, ગઝેબો, પાથવે, નેચર ટ્રેલ્સ વગેરે જેવી મૂળભૂત સુવિધાઓ વિકસાવવામાં આવી છે. પર્યાવરણના જૈવિક અને અજૈવિક તત્વોના મહત્વ તેમજ તેમાં વાવેલા વનસ્પતિના ઔષધીય, આર્થિક અને અન્ય અમૂર્ત ફાયદાઓ અંગે માહિતીપ્રદ સાઇનબોર્ડ્સ અહીં પ્રદર્શિત કરવામાં આવશે. અહીંયા મૂળભૂત પ્રવાસી સુવિધાઓ અને નિષ્ણાત માર્ગદર્શિકાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જંગલને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે આ વિસ્તારના મૂળ જંગલોની નકલ કરે છે, જે મુલાકાતીઓને આકર્ષક અનુભવ આપશે. આ પહેલ એકતા નગર ખાતે મુલાકાતીઓ માટે વધુ એક આકર્ષણનો ઉમેરો કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news