My Soil My Country : દેશના અઢી લાખથી વધુ ગામની માટી લાવીને દિલ્હીમાં બનાવાશે “અમૃત વાટિકા”

દેશભરમાં તા.૦૯ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન યોજાશે “મારી માટી, મારો દેશ” અભિયાન... ગ્રામ પંચાયતો અને શહેરી વિસ્તારના અમૃત સરોવર પર વીરશહીદોના નામ સાથે શિલાફલકમ લગાવાશે... ભારતના ખૂણે-ખૂણાથી માટી એકત્ર કરવા દેશભરમાં માટી/અમૃત કળશ યાત્રાઓ યોજાશે

My Soil My Country : દેશના અઢી લાખથી વધુ ગામની માટી લાવીને દિલ્હીમાં બનાવાશે “અમૃત વાટિકા”

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, પ્રતિદિન માતૃભૂમિ માટે જીવવું, સમયની દરેક ક્ષણ અને જીવનનો પ્રત્યેકકણ માભોમને સમર્પિત કરીએ, એ જ આઝાદીના લડવૈયાઓને આપણી સાચી શ્રદ્ધાંજલિ હશે.દેશના સ્વાતંત્ર્યસેનાનીઓના યોગદાન અને સંઘર્ષના પરિણામે ભારતને મહામૂલી આઝાદી મળી, અને આજે દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. દેશના અમૃતકાળની ભવ્ય ઉજવણી કરવા તેમજ આગામી ૨૫ વર્ષમાં ભારતને વિકસિત દેશ બનાવવા સ્વપ્ન માટે રોડમેપ તૈયાર કરવા વડાપ્રધાને ૧૨ માર્ચ, ૨૦૨૧ થી “આઝાદી કા અમૃતમહોત્સવ”નો શુભારંભ કરાવ્યો હતો. ઓગષ્ટ-૨૦૨૩માં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી પૂર્ણ થશે. દેશના અમૃતકાળને વધુ યાદગાર બનાવવા ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને દેશ માટે શહાદત વહોરનાર દરેક વીરજવાનને  સાચી શ્રદ્ધાંજલિ આપવા દેશભરમાં “મારી માટી, મારો દેશ” અભિયાન હાથ ધરવામાં આવશે.

“મારી માટી, મારો દેશ- માટીને નમન, વીરોને વંદન”
“આઝાદી કા અમૃતમહોત્સવ”ની પૂર્ણાહુતિને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા આગામી તા. ૯ થી ૩૧ ઓગષ્ટ દરમિયાન સમગ્ર દેશમાં “મારી માટી, મારો દેશ - માટીને નમન, વીરોને વંદન” અભિયાન હાથ ધરવામાં આવશે. માતૃભૂમિને સમર્પિત આ ઝુંબેશ હેઠળ દેશભરની તમામ એટલે કે, ૨.૫ લાખથી વધુ ગામની માટી એકઠી કરીને તેને રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ સુધી લાવીને “આઝાદી કા અમૃત મહોત્સવ સ્મારક” તેમજ “અમૃતવાટિકા” નું નિર્માણ કરવામાં આવશે. આ સ્મારક આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીનું સ્મૃતિસ્થળ અને સાથે જ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીરસપૂતો માટે સાચી શ્રદ્ધાંજલિ હશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પણ “મારી માટી, મારો દેશ” ઝુંબેશ હેઠળ આગામી તા. ૯ થી ૨૫મી ઓગષ્ટ દરમિયાન વિવિધ સ્થાનિક કાર્યક્રમો અને માટીયાત્રાઓનું આયોજન કરવામાં આવશે. 

દેશભરમાં યોજાશે માટી યાત્રા
“મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત દેશભરમાં સ્થાનિક કાર્યક્રમો અને માટી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભરના ગામડાઓમાં ગામથી તાલુકા સુધીની માટીયાત્રાઓ યોજાશે. આ યાત્રા ગામડે-ગામડેથી એક-એકમુઠ્ઠીમાટી લઇ તેને તાલુકા કક્ષાએ એકત્ર કરશે. ત્યારબાદ તાલુકાથી દિલ્હી કર્તવ્યપથ સુધીની અમૃત કળશ યાત્રાનું પણ આયોજન કરવામાં આવશે. જેમાં દરેક તાલુકાનું પ્રતિનિધિત્વ કરતા ૭૫૦૦થી પણ વધારે યુવાનો એકત્ર થયેલી માટીના કળશ અમૃત વાટિકાની સ્થાપના માટે દિલ્હી – કર્તવ્યપથ સુધી પહોંચાડશે.

સ્થાનિક કક્ષાએ યોજાશે પાંચ મુખ્ય કાર્યક્રમ
૧. શિલાફલકમનું સ્થાપન: દેશના દરેક ગામ અને ગ્રામપંચાયત વિસ્તારમાં આવેલા અમૃત સરોવર કે જળાશયો ખાતે અને જ્યાં જળાશયો ઉપલબ્ધ ન હોય, ત્યાં પંચાયત ઓફિસ, શાળા પાસે સ્મારક પથ્થરની તકતી (શિલાફલકમ) ઉભી કરવામાં આવશે. શહીદ વીરોના બલિદાનને સમર્પિત આ તકતીમાં સ્થાનિક વીરોના નામનો સમાવેશ કરવામાં આવશે.

૨. ‘પંચ પ્રણ’ પ્રતિજ્ઞા:‌ સ્થાનિક કક્ષાએ યોજાતા કાર્યક્રમ દરમિયાન ના ગરીકો હાથમાં મુઠ્ઠીભર માટી અથવા માટીનો દિવો રાખી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સામૂહિક પ્રતિજ્ઞા લેશે.અમૃતકાળનાપંચપ્રણ:
•    વિકસિત ભારતનું લક્ષ્ય
•    ગુલામીની માનસિકતામાંથી સ્વતંત્રતા
•    ભારતના સમૃદ્ધ વારસા પર ગર્વ અને તેનું સંરક્ષણ
•    દેશની એકતા અને એકસૂત્રતા
•    નાગરિકોમાં ફરજ અને જવાબદારીની ભાવના 

૩.વસુધા વંદન: વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત માભોમને વધુ હરિયાળી બનાવવા દેશની દરેક એટલેકે ૨.૫ લાખથી વધુ ગ્રામ પંચાયતમાં પંચાયત દીઠ ૭૫ રોપાઓનું વાવેતર કરીને તેનો ઉછેર કરવામાં આવશે. આ ઉપરાંત દિલ્હી ખાતે પણ અમૃતવાટિકાનું નિર્માણ કરવામાં આવશે.

૪.વીરોને વંદન: વીરોને વંદન કાર્યક્રમ અંતર્ગત ગ્રામ પંચાયત કક્ષાએ યોજાનાર દરેક સમારોહમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદ સેનાનીઓના પરિવારો, સંરક્ષણ કર્મચારીઓ અથવા તેમના પરિવારોને આમંત્રિત કરીને વીરોનું સ્થાનિક પરંપરા અને રીવાજ અનુસાર સન્માન કરવામાં આવશે.

૫.રાષ્ટ્ર ધ્વજ ફરકાવવો અને રાષ્ટ્રીયગીત ગાન: ગ્રામપંચાયત કક્ષાએ યોજાનાર કાર્યક્રમોમાં ગ્રામજનો દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં અને રાષ્ટ્રગાન પણ ગાવામાં આવશે.    

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીને  જનભાગીદારી થકી વધુ ભવ્ય બનાવવામાં સફળતા મળી છે. ‘મારી માટી, મારો દેશ અભિયાન’ ને પણ જનભાગીદારી થકી વધુ ભવ્ય બનાવવા ભારત સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેને અનુસરીને ગુજરાત સરકાર દ્વારા પણ આ અભિયાનને સફળ બનાવવા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરમાં તા.૧૬ થી૨૫ ઓગસ્ટ દરમિયાન “મારી માટી, મારો દેશ” ઝુંબેશને સમર્પિત પ્રાસંગિક કાર્યક્રમોનુ આયોજન કરવામાંઆવશે.

ગુજરાતના શહેરી વિસ્તારો પણ આ અભિયાનમાં સક્રિયરીતે સહભાગી થશે. ગ્રામીણ વિસ્તારોની જેમ શહેરી વિસ્તારમાં પણ સૌપ્રથમ ટાઉન પંચાયત, કેન્ટોન્મેન્ટ બોર્ડ, ત્યાર બાદ નગરપાલિકા અને મહાનગરપાલિકા કક્ષાએ તેમજ અંતમાં દેશની રાજધાની ખાતે ‘મારી માટી, મારોદેશ’ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાશે.

આ અભિયાનના ભાગરૂપે દરેક ભારતીય માતૃભૂમિની માટી, વીર જવાનો પ્રત્યે આદર દર્શાવવા મુઠ્ઠી ભરીને માટી અને માટીનો દીવો સમર્પિત કરશે. પંચ પ્રણ દ્વારા શપથ લઇને રાષ્ટ્ર નિર્માણનું વચન આપશે અને આ અભિયાનની વેબસાઇટ પર સેલ્ફી પણ અપલોડ કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news