આ સામાન્ય અકસ્માત કે એક્ટ ઓફ ગોડ નથી, એવું હાઈકોર્ટે કહેતા જયસુખ પટેલે માફી માંગી

Morbi Bridge Tragedy : મોરબી પુલ હોનારત કેસમાં પીડિતોના પુનર્વસનને લઈ સુનાવણી ચાલી, જેમાં ઝૂલતા પુલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે ઓરેવાની ધૂળ કાઢી, હાઈકોર્ટે કહ્યું-કંપની આ દુર્ઘટનામાં દોષિત છે. આ દોષ ક્ષમા યોગ્ય નથી

આ સામાન્ય અકસ્માત કે એક્ટ ઓફ ગોડ નથી, એવું હાઈકોર્ટે કહેતા જયસુખ પટેલે માફી માંગી

Gujarat Highcourt : હાલ ગુજરાત હાઈકોર્ટમાં મોરબી બ્રિજ દુર્ઘટનાના પીડિતોના પુનર્વસનને લઈ સુનાવણી ચાલી રહી છે. ત્યારે ઝૂલતા પુલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે ઓરેવાની ધૂળ કાઢી નાંખી હતી. સુનાવણી દરમિયાન ઓરેવા કંપનીએ બિનશરતી માફી માંગી છે. ત્યારે હવે ઝુલતા બ્રિજ તૂટવાનો મામલે 19 મી એ વધુ સુનવણી હાથ ધરાશે. 

ઓરેવા કંપની તરફથી હાઈકોર્ટમાં કોર્ટની કન્ટેમ્પ્ટ દાખલ કરવાની શો કોઝ નોટિસ અને કલેક્ટર દ્વારા પીડિતોને આપવાના વળતર અંગે એફિડેવિટ ફાઈલ કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ ઓરેવાના MD જયસુખ પટેલે સોગંધનામુ દાખલ કર્યું હતું. આજે ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલે હાઈકોર્ટની માફી માંગી હતી. જયસુખ પટેલે કોર્ટમાં કહ્યું કે, અગાઉ કોર્ટના આદેશ બાદ સમયસર જવાબ ન આપી શક્યો તે બદલ માફી માંગુ છું. હાઇકોર્ટના આદેશનું પાલન કરવા હું બંધાયેલો છું અને હંમેશા પાલન કરીશ. 

ગુજરાત હાઇકોર્ટે કંટેમ્પ્ટ કાર્યવાહી શા માટે શરૂ ન કરવી તે અંગે ખુલાસો કરવા નોટિસ આપી હતી. ઓરેવા વતી તેમના એકાઉન્ટે પણ હાઇકોર્ટમાં સોગંધનામું દાખલ કર્યું હતું. પીડિતોને આપવામાં આવનાર આર્થિક વળતર અને તેની પદ્ધતિ મામલે સોગંદનામુ કરાયું હતું. અત્યાર સુધી આપવામાં આવેલા વળતર અને આગામી વળતર મામલે પણ સોગંદનામું કરાયું હતું. 

કોર્ટે ઓરેવા કંપનીને પૂછ્યુ હતું કે, પીડિતોના પરિવારને કાયમી વળતર અંગે તમે શું વિચાર્યું છે. કંપનીની સીએસઆર જવાબદારીઓનું શું. કંપની આ દુર્ઘટનામાં દોષિત છે. આ દોષ ક્ષમા યોગ્ય નથી. કંપનીએ પીડિતો માટે કંઈક વધારે કરવું પડે. આ સામાન્ય અકસ્માત કે, એક્ટ ઓફ ગોડ નથી. કંપનીએ જ્યારે બ્રિજનો કોન્ટ્રાક્ટ લીધો ત્યારે તેણે શ્રેષ્ઠ કામ કરવાની જરૂર હતી. તે તમારી જવાબદારી બને છે. કંપની તમામ જવાબદારીમાં નિષ્ફળ નીવડી છે. તમને બેનિફિટ ઓફ ડાઉટ મળી શકે તેમ નથી. તમે જાહેર મિલકત સાથે રમત રમી છે. પીડિતોને વધારે આપવાની તમારી જવાબદારી છે. 

કોર્ટમાં ઓરેવા કંપનીએ જણાવ્યું કે, દુર્ઘટના બાદ પીડિતો અને મૃતકોના પરિજનોને મળી કુલ 14 કરોડ 62નું ચુકવણું કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં આપવામાં આવનાર નાણાકીય વળતરનાં ચુકવણા માટે જિલ્લા કલેકટર સાથે વાટાઘાટો ચાલુ છે. 5 બાબતોને લઈને વળતર મામલે વાતચીત આગળ વધી રહી હોવાનું પણ સોગંદનામામાં ટાંક્યું છે. જેમાં દુર્ઘટનાના પીડિત વૃદ્ધો, વિધવા, પીડિત, અનાથ અને ઘાયલોને માનસિક સ્વાસ્થ્ય બાબતે ચર્ચાઓ કરાઈ છે. હાઇકોર્ટના આદેશ બાદ ઓરેવા દ્વારા ટ્રસ્ટની રચના અંગે વ્યૂહરચના તૈયાર કરાઈ છે. કુલ 7 સભ્યો ધરાવતા "મોરબી સહાય સેવા પરિવાર ટ્રસ્ટ"ની રચનાનો ડ્રાફ્ટ્ તૈયાર કરાયો છે. 4 ટ્રસ્ટી સરકારની ભલામણ અને 3 ટ્રસ્ટી કંપની ભલામણ મુજબ કાર્યો કરશે. જ્યારે જ્યારે દુર્ઘટના પીડિતોને જરૂર પડશે ત્યારે આ ટ્રસ્ટ મદદ કરશે. દરેક નાણાંકીય વર્ષની શરૂઆતમાં પીડિતોને આપવામાં વળતર સહિતની નાણાંકીય સહાય ટ્રસ્ટ મારફતે કરવામાં આવશે. ટ્રસ્ટનો તમામ ખર્ચ ઓરેવા ઉઠાવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news