મોહનથાળનો પ્રસાદ મેળવી મા અંબાના ભક્તો ખુશ : ચાચર ચોકમાં બેસીને માણ્યો સ્વાદ

Ambaji Temple Mohanthal : અંબાજી મંદિરમાં આજે દર્શન કરવા પહોંચેલા ભક્તોના ચહેરા પર ખુશી હતી, કારણ કે આજથી હવે મોહનથાળ પ્રસાદ મળશે
 

મોહનથાળનો પ્રસાદ મેળવી મા અંબાના ભક્તો ખુશ : ચાચર ચોકમાં બેસીને માણ્યો સ્વાદ

Ambaji Mohanthal અલકેશ રાવ/બનાસકાંઠા : વિશ્વ પ્રસિદ્ધ માં અંબાના ધામમાં 15દિવસ બાદ મોહનથાળનો પ્રસાદ શરૂ કરાતાં ભક્તોમાં ભારે ખુશી જોવા મળી છે.અંબાજી મંદિરમાં ભક્તોને મોહનથાળનો પ્રસાદ મળી રહે તે માટે રોજના 3250 કિલો મોહનથાળ બનાવવામાં આવી રહ્યો છે અને ભક્તોને અપાઈ રહ્યો છે મોહનથાળનો પ્રસાદ ફરીથી શરૂ કરાતાં બેરોજગાર બનેલી બહેનોને ફરીથી કામ મળતાં તેવો પણ માતાજીનો આભાર માની રહ્યા છે.

વિશ્વ પ્રસિદ્ધ માં અંબાના ધામમાં વર્ષોથી ચાલી આવતો મોહનથાળનો પ્રસાદ અચાનક બંધ કરીને ચીક્કીનો પ્રસાદ શરૂ કરી દેવતા ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી હતી તો મોહનથાળના પેકીંગ અને કટિંગનું કામ કરતી 300 જેટલી બહેનોની રોજીરોટી છીનવાઇ જતા તેવો બેરોજગાર બની હતી અને તેમના ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતાં તેમની હાલત કફોડી બની હતી જોકે ભક્તો અને હિન્દૂ સંગઠનોના ભારે વિરોધ બાદ સરકાર અને મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરાતાં ગઇકાલથી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા રોજના 3250 કિલો મોહનથાળ બનાવવાનું શરૂ કરાયું છે જેમાં એક ઘાણમાં 325 કિલો મોહનથાળ બનાવવામાં આવી રહ્યો છે જેમાં 100 કિલો બેસન, 75 કિલો ઘી, 150 કિલો ખાંડ ,17.5 લીટર દૂધ અને 200 ગ્રામ ઈલાયચી નાખીને માતાજીનો મોહનથાળ બનાવવામાં આવી રહ્યો છે અને રોજના 100 ગ્રામના 32 હજાર પેકેટ તૈયાર કરીને મંદિરના ભેટ પ્રસાદ કેન્દ્ર ઉપર લઈ જવાઇ રહ્યા છે જ્યાંથી ભક્તોને મોહનથાળના પ્રસાદનું વિતરણ કરાઈ રહ્યું છે.

અંબાજી મંદિરમાં ફરીથી મોહનથાળનો પ્રસાદ શરૂ કરતાં કિચનમાં મોટા પ્રમાણમાં મોહનથાળ બની રહ્યો છે. આ વિશે મોહનથાળ બનાવનાર મોહિની કેટર્સના મેનેજર સુરેશભાઈ વ્યાસ જણાવે છે કે, ફરીથી મોહનથાળ શરૂ કરતાં અમે રોજનો 3250 કિલો મોહનથાળ બનાવીએ છીએ રોજના 100 ગ્રામના  32000 પકેટ તૈયાર કરાઈ રહ્યા છે.

મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા મોહનથાળના કટિંગ અને પેકિંગનું કામ કરતી અંબાજીની 300 જેટલી ગરીબ મહિલાઓની રોજીરોટી છીનવાઇ જતા તેવો બેરોજગાર બની હતી અને તેમનું ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતા તેમની વ્યથા સૌ પ્રથમ ઝી 24 કલાકે બતાવી હતી. જોકે હવે મોહનથાળનો પ્રસાદ શરૂ થતાં બેકાર બનેલી ગરીબ મહિલાઓને ફરીથી રોજીરોટી મળતાં તેમનામાં ભારે ખુશી જોવા મળી રહી છે. જેથી તેવો માં અંબાનો, મંદિર ટ્રસ્ટનો અને ઝી 24 કલાકનો આભાર માની રહી છે.

અહી કામ કરતા રમીલાબેન નાયક કહે છે કે, અમારી રોજીરોટી છીનવાઇ હતી મોહનથાળ શરૂ થતાં અમને ફરીથી કામ મળ્યું છે માતાજી અને ઝી24કલાકનો આભાર. તો પપિયાબેન ઓડે કહ્યું કે, અમારું ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું હવે ફરીથી અમને કામ મળ્યું છે બહુ ખુશી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news