જાદુના જાણીતા સમ્રાટ જુનિયર કે. લાલનું કોરોનાથી નિધન

જાદુના જાણીતા સમ્રાટ જુનિયર કે. લાલનું કોરોનાથી નિધન
  • બહુ ઓછા લોકોને ખબર હશે કે, જુનિયર કે.લાલ જાદુની દુનિયામાં પિતાની મદદ વગર જ કોઇને ખબર ન પડે તે રીતે આવ્યા હતા
  • હર્ષદરાય વોરાના બંને પુત્રોએ જાદુગરીનો વારસો આગળ ધપાવ્યો ન હતો. તેમના બંને પુત્રો નીલ અને પ્રેયસ બંને એન્જિનિયર છે

ઝી મીડિયા/બ્યૂરો :એક વર્ષના કહેરમાં કોરોનાએ આપણી પાસેથી અનેક હસ્તીઓએ છીનવી લીધા છે. ત્યારે આ લિસ્ટમાં વધુ એક નામ સામેલ થયું છે. જુનિયર કે લાલના નામથી જાણીતા જાદુગર હર્ષદરાય વોરાનું નિધન થયું છે. કોરોનાને કારણે જુનિયર કે લાલનુ નિધન થયું છે. તેઓ વિશ્વવિખ્યાત કે લાલના સુપુત્ર હતા, અને પિતાના નિધન બાદ તેમણે જાદુગરીનો વારસો આગળ વધાર્યો હતો. 

કે લાલ જુનિયરે પોતાના પિતાના રસ્તે જાદુગરીના વ્યવસાયને અપનાવ્યો હતો. તેના પિતા કે લાલ મહાન જાદુગર હતા. જેમની પાસેથી તેમણે જાદુની કળા શીખી હતી. જુનિયર કે લાલે દેશવિદેશમાં જાદુના શો બતાવ્યા હતા. તેમણે માત્ર 22 વર્ષની ઉંમરે શો કરીને પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, જુનિયર કે. લાલને તેમના માતાપિતા જાદુના ક્ષેત્રમાં લાવવા માંગતા ન હતા. બહુ ઓછા લોકોને ખબર હશે કે, જુનિયર કે.લાલ જાદુની દુનિયામાં પિતાની મદદ વગર જ કોઇને ખબર ન પડે તે રીતે આવ્યા હતા.

લાલ પરિવાર મૂળ ગુજરાતના અમરેલી જિલ્લાનો રહેવાસી હતો. પરંતુ જાદુગર કે લાલે પોતાના જીવનનો મોટો સમયે કોલકાત્તામાં જ વિતાવ્યો હતો. વર્ષ 1990માં તેઓ પોતાના ગૃહ રાજ્ય ગુજરાતમાં પરત ફર્યા હતા. પિતા-પુત્રની જોડીએ જાદુના માધ્યમથી લોકોનું મનોરંજન કર્યું હતું. જોકે, હસુભાઈના નામથી ઓળખતા હર્ષદરાય વોરાના બંને પુત્રોએ જાદુગરીનો વારસો આગળ ધપાવ્યો ન હતો. તેમના બંને પુત્રો નીલ અને પ્રેયસ બંને એન્જિનિયરિંગ વ્યવસાયમાં છે. પરંતુ તેમના પૌત્ર વિહાને થોડા વર્ષો પહેલા જાદુગરીના વ્યવસાયમાં આવવાની જાહેરાત કરી હતી. થોડા વર્ષો પહેલા અમદાવાદમાં યોજાયેલ જાદુગરીના એક મેળાવડા કાર્યક્રમમાં પરિવારની આ પરંપરાને આગળ ધપાવવાની વાત કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news