કચ્છમાં 9 લોકોને રહેંસી નાંખનાર સામુહિક હત્યાકાંડનો આરોપી 23 વર્ષે પકડાયો

Kutch Crime News : કચ્છમાં 23 વર્ષ પહેલા જમીન મુદ્દે હત્યાકાંડ થયો હતો, જેમાં ગઢવી પરિવારના પાંચ સગાભાઈ, બે ભત્રીજા અને ભાણેજ સહિત ૯ વ્યક્તિની હત્યા થતાં ચકચાર ફેલાઈ હતી, ત્યારથી આ આરોપી ગાયબ હતો
 

કચ્છમાં 9 લોકોને રહેંસી નાંખનાર સામુહિક હત્યાકાંડનો આરોપી 23 વર્ષે પકડાયો

Kutch News રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : કચ્છના રાપરની સુરબાવાંઢમાં થયેલા સામૂહિક હત્યાકાંડનો ફરાર આરોપી આખરે 23 વર્ષે ઝડપાયો છે. ફિલ્મી ઢબે આરોપીને પકડવા કચ્છના પોલીસ કર્મચારીઓ ભેંસના સોદાગર બન્યા હતા. ત્યારે કચ્છ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. 

રાપરના સુરબાવાંઢ ગામે ગત તા. ૧૩-૬-૨૦૦૧ના સામૂહિક હત્યાકાંડ થયો હતો. જેમાં 40 થી વધુ લોકોના ટોળાએ ધારિયા, કુહાડી, ભાલો, છરા, બંદુકો વગેરે હથિયારો ધારણ કરી ૯ લોકોને રહેંસી નાખ્યા હતા. આ ચકચારી બનાવમાં સંડોવાયેલા આરોપીને ૨૩ વર્ષ બાદ પ્લાનિંગ સાથે ઝડપી લેવામાં આવ્યો છે.

બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમારની સુચનાથી જિલ્લામા નાસતા ફરતાં આરોપીને શોધવા માટે સૂચના અપાઈ હતી. જેમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ તથા ટીમ પેટ્રોલિંગમા હતી, ત્યારે આ આરોપી વિશે બાતમી મળી હતી. બાતમીના આધારે રાપર તાલુકાના સુરબાવાઢ ગામે ૨૦૦૧માં થયેલા સામૂહિક હત્યાકાંડના આરોપી અરજણ રૂપાભાઈ કોલી (ઉ.વ. ૫૦) (રહે મૂળ સુરબાવાંઢ, હાલે રહે લાકડાવાંઢ) ને ઝડપી લેવાયો હતો. 

આરોપીને ઝડપી લેવામાં પોલીસે ફિલ્મી ઢબે કામગીરી કરી હતી. આરોપી અરજણ ગુનો બન્યો ત્યારથી સતત ફરાર હતો. ભૂતકાળમાં પોલીસ જયારે પકડવા જતી ત્યારે ચકમો આપીને ભાગી જતો, જેથી તેને પકડવો મુશ્કેલ હતો. દરમિયાન એલસીબીના હેડ કોન્સ્ટેબલને બાતમી મળી કે, અરજણ લાકડાવાંઢમાં રહે છે, જેથી છકડામાં ડુંગળી બટેકા ભરી વેચવાના બહાને તેમજ ભેંસની લે-વેચ કરવાના બહાને રેકી કરી ખરાઈ કરી હતી. આ બાદ તેને પકડી લેવામાં જડબેસલાક પ્લાનિંગ કર્યુ હતું.

ગત રોજ મધરાત્રે ૩ વાગ્યાના અરસામાં એલસીબીની ટીમે જડબેસલાક પ્લાનિંગ પ્રમાણે એક બાજુનો રસ્તો બ્લોક કર્યો હતો. એલસીબીના હેડ કોન્સ્ટેબલ એ લાકડાવાંઢમાં ડુંગળી - બટેકા વેચવા અને ભેંસની લે-વેચના બહાને જઈ આરોપીની ખરાઈ કરી હતી ભૂતકાળમાં આરોપી પોલીસને ચકમો આપી ભાગી ગયો હોવાથી ફિલ્મી ઢબે એક તરફનો રસ્તો બ્લોક કરી મધરાત્રે ઝડપી લેવાયો હતો. રણ તરફના ખેતર માર્ગેથી અરજણના ઘરે છાપો મારી ઉઘતો ઝડપી લીધો હતો. 

મહત્વનું છે કે, જમીન મુદ્દે હત્યાકાંડ થયો હતો. જેમાં ગઢવી પરિવારના પાંચ સગાભાઈ, બે ભત્રીજા અને ભાણેજ સહિત ૯ વ્યક્તિની હત્યા થતાં ચકચાર ફેલાઈ હતી. તપાસમાં ૧૦ મહિલા સહિત ૪૮ લોકોની સંડોવણી બહારઆવતા ૨૦૦૮માં ભુજ સેશન્સ અદાલતે ત્રણ મહિલા સહિત ૨૫ લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news