ફરી એકવાર સ્વામિનારાયણ સાધુ વિવાદમાં! ભાજપના કોર્પોરેટર સાથે સ્વામીએ કરી 1 કરોડની ઠગાઈ

કોર્પોરેટર હિમાંશુએ 71 લાખ સહિત પિતા, મિત્રના મળી એક કરોડ જમીન માટે આપ્યા હતા. જે.કે.સ્વામી એન્ડ ટોળકીએ રીંઝા ગામે સ્વામીનારાયણ મંદિર અને ગુરુકુળના પ્રોજેક્ટ માટે 700 વીઘા જમીન ખરીદી કરવા નામે ભાજપના કોર્પોરેટર હિમાંશુ રાઉલજી પાસેથી 1 કરોડ પડાવ્યા હતા. 

ફરી એકવાર સ્વામિનારાયણ સાધુ વિવાદમાં! ભાજપના કોર્પોરેટર સાથે સ્વામીએ કરી 1 કરોડની ઠગાઈ

પ્રશાંત ઢીવરે/સુરત: સુરત ભાજપના કોર્પોરેટર મહાનગરપાલિકાના પાણી સમિતિના ચેરમેન સાથે જૂનાગઢના સ્વામિનારાયણના મંદિરના જે કે સ્વામીએ 1 કરોડની ઠગાઈ કરી છે. કોર્પોરેટર હિમાંશુએ 71 લાખ સહિત પિતા, મિત્રના મળી એક કરોડ જમીન માટે આપ્યા હતા. જે.કે.સ્વામી એન્ડ ટોળકીએ રીંઝા ગામે સ્વામીનારાયણ મંદિર અને ગુરુકુળના પ્રોજેક્ટ માટે 700 વીઘા જમીન ખરીદી કરવા નામે ભાજપના કોર્પોરેટર હિમાંશુ રાઉલજી પાસેથી 1 કરોડ પડાવ્યા હતા. 

કોર્પોરેટર પૈસાની વારંવાર માંગણી કરવા છતાં જે કે સ્વામી રૂપિયા આપતો ન હતો. કોર્પોરેટર હિમાંશુ રાઉલજીએ ક્રાઈમબ્રાંચમાં ફરિયાદ આપી હતી. પોલીસે ફરિયાદના આધારે સ્વામિનારાયણ મંદિરના જે કે સ્વામી સહિત 8 લોકો સામે ગુનો નોંધી કાર્યવાહિ હાથ ધરી છે. સુરતના ભટાર સ્થિત સુયોગનગર ખાતે ઘર નં.142 માં રહેતા 42 વર્ષીય હિમાંશુભાઈ પ્રવિણસિંહ રાઉલજી સુરત મહાનગરપાલિકાનાં ભાજપના કોર્પોરેટર છે.રીંગરોડ જીવનદીપ કોમ્પલેક્ષમાં એડવાઈઝર ફાયનાન્શીયલ સોલ્યુશનના નામે લોન અપાવવાનું કામ કરતા હિમાંશુભાઈ ફેસબુક મારફતે અમદાવાદના જમીન દલાલ મૌલીક હસમુખભાઈ પરમારના સંપર્કમાં આવ્યા હતા. 

નવેમ્બર 2014 માં મૌલિકે આણંદના તારાપુર તાલુકાના રીંઝા ગામમાં સાબરમતી નદીના કિનારે સ્વામીનારાયણ સંપ્રદાયના જૂનાગઢના મહંત જે.કે.સ્વામી પોઇચા ગામના સ્વામીનારાયણ મંદિર જેવો પ્રોજેક્ટ કરવા ઇચ્છે છે અને જમીન લેવાવાળા અને જમીન વેચવાવાળા પણ તૈયાર છે.પરંતુ જે.કે.સ્વામી ડાયરેક્ટ જમીન ખરીદવામાં વિશ્વાસ રાખતા નથી અને ડાયરેકટ રોકાણ કરે તો ફાયદો નહીં થાય અને ફાયદો મેળવવા મધ્યસ્થી રાખે છે તેમ કહી સોદામાં મારી સાથે દલાલ પાર્થ ઉર્ફ મંસુર પણ છે તેમ કહી જે.કે.સ્વામી અને તેમના પી.એ. ભરત પટેલનો મોબાઈલ નંબર આપી વાત કરવા કહ્યું હતું.

હિમાંશુભાઈએ તેમની સાથે વાત કર્યા બાદ જૂનાગઢ આશ્રમની મુલાકાત કરી હતી.ત્યાં સ્વામી અને તેમના પી.એ.એ બધી વાત કરી સુરેશ ભરવાડ સાથે જમીનનો એમઓયુ કર્યા બાદ અમે તમારી પાસેથી જમીન ખરીદી લઈશું.તેનો એમઓયુ થશે એટલે તમને તમારા અવેજના 25 ટકા તરત આપી દઈશું તેવી વાત કરી હતી.ત્યાર બાદ હિમાશુભાઈએ જે.કે.સ્વામીના જણાવ્યા મુજબ જમીનના સોદા માટે મિત્ર રાજેશ જરીવાલા સાથે સુરેશ ભરવાડ અને તેમના ભાગીદાર રમેશ પંચાલ, તેમના પુત્ર અમિત સાથે વટામણ ચાર રસ્તાની એક હોટલમાં મિટિંગ કરી હતી.

જોકે, ત્યાં થયેલી વાતચીત હિમાંશુભાઈના મિત્ર રાજેશ જરીવાલાને યોગ્ય નહીં લાગતા હિમાંશુભાઈ અટકી ગયા હતા.આથી સ્વામી અને તેમના પી.એ. અવારનવાર ફોન કરતા હતા.ત્યાર બાદ તેઓ સુરત આવ્યા હતા અને મળીને આ ધર્મના કાર્યમાં તમારી મદદની જરૂર છે, તમને પ્રોજેક્ટમાં નફાની સાથે ટ્રસ્ટી બનાવી દઈશું તેવી વાત કરી મનાવી લીધા હતા. 

હિમાંશુભાઈએ બાદમાં પોતાના અને મિત્ર શૈલેષભાઇ પટેલ તેમજ તેમના પિતાના એકાઉન્ટમાંથી કુલ રૂ.1.01 કરોડ ટોકન પેટે સુરેશ ભરવાડ સાથે એમઓયુ કરીને આપ્યા હતા.એમઓયુની નકલ વાત થયા મુજબ હિમાંશુભાઈએ સ્વામી અંબે તેમના પી.એ.ને મોકલી હતી.તેમણે 10 દિવસમાં કુલ વેચાણ અવેજના 25 ટકા મળી જશે તેમ કહ્યું હતું.જોકે, ત્યાર બાદ બંનેએ બહાના કાઢી સમય પસાર કરી બાદમાં ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.બંનેને મળવા જૂનાગઢ સ્વામીનારાયણ મંદિરે પણ ગયા હતા.પણ તેઓ મળતા નહોતા.સુરેશ ભરવાડ પણ ફોન ઉંચકતો ન હોય અને જમીન ખરીદવા જેમની પાસેથી પૈસા લીધા હતા તેમણે ઉઘરાણી શરૂ કરતા હિમાંશુભાઈ ડિપ્રેશનમાં આવી ગયા હતા. 

દરમિયાન વરાછામાં ડોકટરે સ્વામી અને ટોળકી વિરુદ્ધ આ રીતે જ રૂ.1.34 કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાયાની માહિતી મળતા પોતે પણ છેતરાયા છે તેવી જાણ થતા હિમાંશુભાઈએ પણ છેવટે ગતરોજ સ્વામી, તેમના પી.એ સહિત આઠ વિરુદ્ધ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.

ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાયેલા આરોપીઓના નામ

(1) સુરેશ શાર્દુલભાઈ ભરવાડ
(2) જયક્રુષ્ણ સ્વામી ઉર્ફ જે.કે.સ્વામી
(3) શ્રી નિલકંઠવર્ણી ડેવલોપર્સના પ્રોપ્રાયટર 
(4) સ્વામીના પી.એ. ભરતભાઈ પટેલ
(5) અમિત રમેશભાઈ પંચાલ
(6) અમિતના પિતા રમેશભાઈ પંચાલ
(7) પાર્થ ઉર્ફ મંસુર
(8) મૌલીક હસમુખભાઈ પરમાર
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news