દાદા બગડયા! 4 ક્લાસવન અધિકારી સહિત ગુજરાતના 51 સરકારી અધિકારી સામે તપાસના આદેશ

Gujarat Government: હાલ ગુજરાત સરકાર એક્શનમાં હોય તેમ એક પછી એક કઠોર નિર્ણયો લઈ રહી છે, ત્યારે હાલ ગુજરાત સરકારે 4 ક્લાસવન અધિકારી સહિત ગુજરાતના 51 સરકારી અધિકારી સામે તપાસના આદેશ આપ્યા છે. જેના કારણે લાંચ-રુશ્વત વિરોધી ખાતા દ્વારા અપ્રમાણસર મિલકતની તપાસ શરૂ કરવામાં આવી છે.

 દાદા બગડયા! 4 ક્લાસવન અધિકારી સહિત ગુજરાતના 51 સરકારી અધિકારી સામે તપાસના આદેશ

ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચારની બુમરાણ વચ્ચે સરકારે આજે સપાટો બોલાવી દીધો છે. દાદા બગડ્યા હોય તેમ રાજ્યના 51 સરકારી કર્મચારીઓ સામે એસીબીને તપાસના આદેશ થાય છે. આ લિસ્ટમાં ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓ પણ સામેલ છે. સરકારે ઝીરો ટોલરેન્સ નીતિ અનુસંધાને કરેલી કાર્યવાહીથી સરકારી અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સરકારે તમામ વિભાગોમાં તપાસ કરી એક અલગ લિસ્ટ બનાવ્યું હતુ. જેમાં સરકારી અધિકારીઓ સામે અપ્રમાણસરની મિલકતો હોવાનું સાબિત થયું છે. હવે એસીબી આ તમામ અધિકારીઓ સામે તપાસ કરશે.

તમને જણાવી દઈએ કે, ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ક્લાસ વનના ચાર અધિકારી સહિત કુલ 51 અધિકારી અને કર્મચારીઓ સામે લાંચ-રુશ્વત વિરોધી ખાતા દ્વારા અપ્રમાણસર મિલકતની તપાસ શરૂ કરવામાં આવી છે. જી હા. Da કેસ હેઠળ વર્ગ એકના ચાર, વર્ગ બેના 12 અને વર્ગ ત્રણના 19 અધિકારી- કર્મચારી સામે તપાસ શરૂ કરાઈ છે. ભાવનગર ડમીકાંડમાં સંડોવાયેલા જુદા જુદા વિભાગના કુલ 16 અધિકારી કર્મચારી સામે પણ અપ્રમાણસર મિલકતની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, સરકારી વહીવટી તંત્રમાંથી ભ્રષ્ટાચાર દૂર થાય તે સબંધે રાજય સરકાર ‘ઝીરો ટોલરન્સ’ ની નીતિથી કાર્યરત છે. આ અંગે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને વધુ સક્ષમ અને મજબૂતી પુરી પાડવા સરકાર તરફથી બ્યુરોને આધુનિકીકરણના તમામ સંશાધનો પુરા પાડવામાં આવી રહ્યાં છે. સરકારના તમામ વિભાગોમાંથી લાંચની બદી દૂર થાય તે સારૂ બ્યુરો દ્વારા ખાનગી રાહે આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરીને લાંચીયા કર્મચારીઓને પકડી લેવા અને તેઓએ ભ્રષ્ટાચારથી વસાવેલ મિલકતો શોધી કાઢવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. 

આ અભિયાનના ભાગ રૂપે તાજેતરમાં બ્યુરો દ્વારા જુદા- જુદા વિભાગના લાંચીયા વૃતિ ધરાવતા અનેક સરકારી અધિકારી/કર્મચારીઓની યાદી તૈયાર કરી, તેઓની ઉપર ખાસ નિગરાની રાખવામાં આવી હતી. આ અંતર્ગત સરકારના કુલ-૩૫ (પાત્રીસ) અધિકારી/કર્મચારીઓએ તેઓની કાયદેસરની આવકના પ્રમાણમાં વધુ સ્થાવર/જંગમ મિલકત વસાવેલ હોવાના પ્રાથમિક માહિતી પ્રાપ્ત થતા તે તમામ વિરૂધ્ધ અપ્રમાણસર મિલકત અંગેની તપાસ હાથ ધરવાના હુકમો કરવામાં આવેલ છે.

આ વિભાગોમાં શહેરી વિકાસ અને શહેરી ગ્રામ ગૃહનિર્માણ વિભાગ, ઊર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગ, ગૃહ વિભાગ, પંચાયત અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગ, મહેસૂલ વિભાગ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ, આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, શિક્ષણ વિભાગ, નાણાં વિભાગ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, કૃષિ અને ખેડુત ક્લ્યાણ વિભાગ, નર્મદા અને જળ સંપતિ વિભાગના કર્મચારી/અધિકારીઓનો સમાવેશ થાય છે, જે પૈકી વર્ગ-૧ ના ૪ (ચાર), વર્ગ-૨ ના ૧૨ (બાર) અને વર્ગ-૩ ના ૧૯ (ઓગણીસ) અધિકારી/કર્મચારીઓ વિરૂધ્ધ અપ્રમાણસર મિલકતની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ ઉપરાંત તાજેતરમાં ભાવનગર જીલ્લામાં ઉજાગર થયેલ ‘ડમીકાંડ' ના કૌભાંડમાં સંડોવાયેલા જુદા-જુદા વિભાગ અને વર્ગના કુલ-૧૬ અધિકારી/કર્મચારીઓએ ભ્રષ્ટાચાર આચરી તેઓની કાયદેસરની આવકના પ્રમાણમાં વધુ સ્થાવર/જંગમ મિલકત વસાવેલ હોવાની પુરી સંભાવનાઓ રહેલી હોઇ તે તમામ વિરૂધ્ધ પણ અપ્રમાણસર મિલકતની તપાસના આદેશો કરવામાં આવેલ છે.

આવા વ્યક્તિઓની સચોટ અને વિસ્તૃત માહિતી અંગેની તથા સરકારી અધિકારી/કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટાચાર અંગેના વ્યવહારોની જાણ એ.સી.બી. કચેરીના ટોલ ફ્રી નંબર.૧૦૬૪, ફોન નંબર.૦૭૯ ૨૨૮૬૬૭૭૨, ફેક્સ નંબર ૦૭૯ ૨૨૮૬૯૨૨૮, ઇમેઇલ-astdir-acb-f2 @gujarat.gov.in., Whatsapp No.૯૦૯૯૯૧૧૦૫૫ ઉપર મોકલી આપવા અથવા કચેરી સમય દરમ્યાન અત્રે રૂબરૂ પણ સંપર્ક કરવા તથા સી.ડી. દ્વારા અથવા પેન ડ્રાઇવમાં પણ માહિતી મોકલવા નાગરીકોને સરકારે અપીલ કરી છે....
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news