વાવાઝોડાએ ગુજરાતને ધમરોળ્યું, હવે સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે, અનેક જગ્યાએ વરસાદ, વૃક્ષો ધરાશાયી

ગુજરાત પર તોળાઇ રહેલા તૌકતે વાવાઝોડું રાજ્યની નજીક આવી રહ્યું છે. ત્યારે તૌકતે વાવાઝોડું દક્ષિણપૂર્વ દીવથી 70 કિમી. દૂર છે. જેને લઇને ગુજરાતના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને દરિયાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે

 વાવાઝોડાએ ગુજરાતને ધમરોળ્યું, હવે સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે, અનેક જગ્યાએ વરસાદ, વૃક્ષો ધરાશાયી

ઝી મીડિયા બ્યૂરો: ગુજરાત પર તોળાઇ રહેલા તૌકતે વાવાઝોડું રાજ્યની નજીક આવી રહ્યું છે. ત્યારે તૌકતે વાવાઝોડું દક્ષિણપૂર્વ દીવથી 70 કિમી. દૂર છે. જેને લઇને ગુજરાતના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને દરિયાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. એવામાં તૌકતે વાવાઝોડાની અસર ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં જોવા મળી રહી છે. રાજ્યના અલગ અલગ શહેરમાં ક્યાંક છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે તો ક્યાંક ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. તૌકતે વાવાઝોડાની અસરથી રાજ્યના 52 તાલુકામાં વરસાદ પડી રહ્યો છે.

વાવાઝોડું Live Updates

- જુનાગઝમાં વાવાઝોડાની અસર
જુનાગઢના ચોરવાડમાં ભારે પવન ફૂંકાયો. પવનને કારણે નાળીયેરનું ઝાડ મકાન પર પડતા છત ધરાશાયી. માંગરોળમાં પણ અસર શરૂ. 

- અમરેલી-ઉના હાઈવે પર અસર
વાવાઝોડાને કારણે અમરેલી-ઉના રોડ પર વૃક્ષો ધરાશાયી થઈ રોડ પર પડ્યા. વીજનો તાર પણ તૂટ્યો. એનડીઆરએફની ટીમે કામગીરી શરૂ કરી.

- ​મુખ્યમંત્રીએ વાવાઝોડાના લેન્ડફોલ થવાની સ્થિતિ અંગે જાણકારી મેળવી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત પર આવેલા વાવાઝોડાના લેન્ડફોલ થવાની સ્થિતિ અંગે મોડી રાત્રે આ વાવાઝોડાની વધુ અસર પામનારા જિલ્લાઓ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને જૂનાગઢના કલેકટરો સાથે સ્ટેટ કન્ટ્રોલ રૂમની વીડિયો વોલ દ્વારા વાતચીત કરીને તેમના જિલ્લાઓમાં કોવિડ હોસ્પિટલોની સલામતિ અંગે તેમજ જિલ્લામાં શેલ્ટર હાઉસમાં આશ્રય લઈ રહેલા લોકોની પરિસ્થતિ અંગે જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીએ આ જિલ્લાના કલેકટરોને સતત સાવચેત રહીને કોઈ માનવ હાનિ ન થાય તે માટે અને વાવાઝોડું પસાર થઈ જાય પછી પણ સમગ્ર તંત્રને એલર્ટ રહેવા સૂચના આપી હતી. તેમણે આ જિલ્લાઓમાં પવનની ગતિ વરસાદની સ્થિતિની વિગતો મેળવી સાવચેતી રાખવા પણ સૂચવ્યું હતું.

- અસાધારણ સંજોગો ન સર્જાયા હોવાનો વહીવટી તંત્ર દ્વારા દાવો
તૌકતે વાવાઝોડાને પગલે અસાધારણ સંજોગો ન સર્જાયા હોવાનો વહીવટી તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા દરિયા કિનારા જિલ્લાઓમાં કલેક્ટરો સાથે સીધી વાત કરવામાં આવી છે. મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારના જણાવ્યા અનુસાર રાત્રે 8 થી 10.30 વાગ્યા સુધીમાં 108 ને સામાન્ય કોલ આવ્યા હતા. કેટલીક જગ્યાઓએ ઝાડ પડવાના અને વીજળી ગુલ થવાની વિગતો સામે આવી હતી. જોકે, રસ્તા ખુલ્લા કરવાની કામગીરી ચાલુ છે. વીજ પૂરવઠો રાબેતા મુજબ કરવામાં આવી રહ્યો છે.

- વાવાઝોડા પર હવામાન વિભાગનું લેટેસ્ટ બુલેટિન
ભારતીય હવામાન ખાતા દ્વારા એકસ્ટ્રીમલી સિવિયર સાયક્લોન સ્ટ્રોમ (અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન) ''તાઉ-તે'' સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે, તે મુજબ આ સ્ટ્રોમ આજે રાત્રે  09:30 કલાકે તે દીવથી પૂર્વે 25 કિ.મી. દૂર સ્થિત છે. 
''તાઉ તે'' વાવાઝોડું ઉત્તર દિશામાં છેલ્લા છ કલાકમાં 16 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન ખાતા દ્વારા જણાવ્યાનુસાર આ વાવાઝોડાનો આઉટર ક્લાઉડ (બાહ્યાવર્તી ભારે વરસાદી વાદળા) સૌરાષ્ટ્ર ક્ષેત્ર ઉપર ઝળુંબી રહ્યા છે. આ વાવાઝોડાનું  કેન્દ્ર આગામી બે કલાકમાં દીવના પૂર્વેથી સૌરાષ્ટ્રમાં ગમે તે સમયે ઓળંગી જાય  તેવી શક્યતાઓ છે.  આ સમયે વાવાઝોડાના કેન્દ્રીય વિસ્તારોમાં પવનની ગતિ 160 થી 170  કિ.મી. પ્રતિ કલાક રહી શકે છે, જે 190કિ.મી/કલાક સુધી વધી શકે છે.

- મુખ્યમંત્રીએ કલેક્ટરો સાથે કરી વાત
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ ગુજરાત પર આવી રહેલા વાવાઝોડાની સ્થિતિની રજેરજની માહિતી સ્વયં દરિયા કાંઠા ના જિલ્લાઓ વલસાડ અને ગીર સોમનાથના કલેકટરો અને અધિકારીઓ સાથે સ્ટેટ કન્ટ્રોલ રૂમ માંથી મોડી રાત્રે ટેલીફોનીક હોટ લાઈન દ્વારા વાતચીત કરીને મેળવી હતી. તેમણે ખાસ વિંજ પુરવઠો જળવાઈ રહે, કોરોના સંક્રમિત વ્યક્તિઓ ની સારવાર માં કોઈ રૂકાવટ ના આવે વગેરે બાબતોને અગ્રતા આપી ઝીરો કેઝ્યુઆલિટી અભિગમ થી સતત સતર્ક રહેવા અને તેમના જિલ્લાની સ્થિતિની માહિતી સ્ટેટ કન્ટ્રોલ રૂમમાં  પહોચાડતા રહેવા સૂચના પણ આપી હતી

- ભારે વરસાદને કારણે દીવ અને આસપાસના વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી. સેનાના જવાનોએ શરૂ કરી વૃક્ષો હટાવવાની કામગીરી. દીવ અને સારણ ગીરના રસ્તા વચ્ચે પડ્યા હતા ઝાડ. 

— ADG PI - INDIAN ARMY (@adgpi) May 17, 2021

 

જામનગરમાં મેયર સહિતના અધિકારીઓ કંટ્રોલ રૂમમાં હાજર
વાવાઝોડાની અસર જામનગરમાં પણ થવાની છે. મેયર સહિતના અધિકારીઓ કંટ્રોલ રૂમ પહોંચી ગયા છે. જ્યાં સુધી વાવાઝોડાનું સંકટ ટળશે નહીં ત્યાં સુધી તમામ લોકો કંટ્રોલ રૂમમાં હાજર રહેશે.

- રાજકોટમાં વાવાઝોડાને પગલે વરસાદ શરૂ. તંત્ર એલર્ટ. 

રાજ્યમાં વાવાઝોડાની અસર શરૂ, હવામાન વિભાગે કર્યુ ટ્વીટ
 

— India Meteorological Department (@Indiametdept) May 17, 2021

- દિવસમાં રાત્રે 9.30 કલાકે 133 કિમીની ઝડપે પવન ફુંકાયો. હવમાન વિભાગે આપી માહિતી

- વેરાવળ અને સોમનાથમાં અતિ ભારે વરસાદ શરૂ. 

- આ ચાર જિલ્લામાં થશે વધુ અસર
ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગર એમ ચાર જિલ્લામાં વાવાઝોડાની સૌથી વધુ અસર રહેશે અને ૧૫૦ કિલોમીટરની પ્રતિ કલાકની ગતિ સાથે ભારે પવન ફૂંકાશે. પોરબંદર, દ્વારકા, જામનગર અને રાજકોટમાં 100 કિલોમીટર પ્રતિ કલાક ગતિનો ભારે પવન ફૂંકાશે તથા આણંદ ભરૂચ અને અમદાવાદના ધોલેરા વિસ્તારમાં પણ વાવાઝોડાની અસર વર્તાશે.

ગુજરાતમાં વાવાઝોડુ 'તૌકતે' ટકરાયુ, 2 કલાકમાં લેન્ડફૉલ થશે
હવામાન વિભાગે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે ગુજરાતમાં પોરબંદર અને મહુવા વચ્ચે વાવાઝોડુ તૌકતે ટકરાયુ છે. આગામી બે કલાક ખૂબ મહત્વના છે. 4 જિલ્લામાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. 185 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આવતા બે કલાકમાં લેન્ડફૉસલની પ્રક્રિયા થશે. સીએમ રૂપાણીએ જણાવ્યુ કે આગામી બે કલાક અતિ મહત્વના છે.

- વાવાઝોડાની અસરને કારણે ભાવનગર એરપોર્ટ બંધ, મંગળવારે બપોરે 2 કલાક સુધી બંધ રહેશે એરપોર્ટ.

- વલસાડ જિલ્લાના દરિયા કિનારે તોફાની માહોલ, દરિયામાં રાત્રે જોવા મળ્યો કરંટ. કિનારાના વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદ શરૂ. 

- પાટણમાં પણ જોવા મળી વાવાઝોડાની અસર. પવન સાથે અનેક જગ્યાએ વરસાદનું આગમન.

-  રાજ્યમાં વાવાઝોડાને કારણે વડોદરા એરપોર્ટ મંગળવારે બપોરે 1 કલાક સુધી બંધ. 

- વાવાઝોડાને કારણે જામનગરમાં કુલ 5468 લોકોનું કરાયું સ્થાળાં

- દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફુંકાવાનું શરૂ

- અમે સતત વાવાઝાડો પર નજર રાખી રહ્યાં છીએ. હવામાન વિભાગ સાથે સતત સંપર્કમાં છીએઃ રૂપાણી

- રાજ્યમાં વાવાઝોડા પર મુખ્યમંત્રીની પત્રકાર પરિષદ. 

- વાવાઝોડાની અસરને કારણે વેરાવળમાં વીજ પુરવઠો ખોરવાયો.

- વાવાઝોડાની અસરને કારણે અનેક જગ્યાએ ભારે પવન સાથે વરસાદ. 

- ગુજરાતમાં વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. દીવ અને ઉના વચ્ચે આ વાવાઝોડું ટકરાયું છે. હજુ સંપૂર્ણ પ્રોસેસ પૂરી થવામાં બે કલાક લાગશે. 

હાલ તૌકતે વાવાઝોડું દક્ષિણપૂર્વ દીવથી 70 કિમી. દૂર છે. ત્યારે તૌકતે વાવાઝોડું ઉત્તર દિશામાં છેલ્લા 6 કલાકમાં 17 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન ખાતા દ્વારા જણાવ્યાનુસાર આ વાવાઝોડું આજે રાત્રે પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાતમાં રાત્રિના 08.00 થી 11.00 કલાક દરમિયાન પ્રવેશ કરશે અને 155 થી 165 કિ.મી પ્રતિ કલાકની ગતિથી પવન ફૂંકાશે. જો કે, પવનની ઝડપ 185 કિ.મી. પ્રતિ કલાક સુધી વધી શકે છે. દક્ષિણ ગુજરાતના અને સાગરકાંઠાના અન્ય જિલ્લાઓમાં પણ પવનની ઝડપ 155 થી 165 કિ.મી પ્રતિ કલાક રહેવાની શકયતા છે.

તૌકતે વાવાઝોડાની અસરથી રાજ્યના 52 તાલુકામાં વરસાદ પડી રહ્યો છે.

તૌકતે વાવાઝોડાને લઇને સમગ્ર ગુજરાતમાં તેની અસર જોવા મળી રહી છે. ત્યારે તૌકતે વાવાઝોડાને લઇને અમદાવાદમાં અનેક વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. તો ક્યાંક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે તૌકતે વાવાઝોડાને લઇ અમદાવાદ એરપોર્ટ આજે સાંજથી આવતીકાલ સવાર 8 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વડોદરામાં તૌકતે વાવાઝોડાને લઇને ફતેહગંજ, સયાજીગંજ, હરણી, કારેલીબાગ, છાણી અને ગોત્રી સહિતના ઘણા વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે. તો બીજી તરફ વડોદરામાં વાવાઝોડાની અસરને લઇને પૂર્વ વિસ્તારમાં 30 થી વધુ પરિવારનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જર્જરિત મકાનમાં રહેતા પરિવારને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

સુરતમાં પણ તૌકતે વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. સુરતના ડુમસના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. તેમજ દરિયામાં ઉંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. જ્યારે વલસાડમાં વાવાઝોડાની અસરથી તિથલનો દરિયો તોફાને ચઢ્યો છે. દરિયામાં કરંટ જોવા મળતા 3 તાલુકાના દરિયા કિનારાના 10 ગામોને તંત્ર દ્વારા ખાલી કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news