28 વર્ષ પાકિસ્તાન જેલમાં વિતાવીને પરત ફર્યો ગુજરાતી શખ્સ, પરિવાર પણ ન ઓળખી શક્યો

Kuldeep Yadav Pakistan Jail: કુલદીપ યાદવ ત્રણ દાયકા પાકિસ્તાનની જેલમાં વિતાવીને આખરે ગુજરાત પહોંચ્યા. આ 28 વર્ષ તેમના માટે યાતના સમાન બની રહ્યાં... 

28 વર્ષ પાકિસ્તાન જેલમાં વિતાવીને પરત ફર્યો ગુજરાતી શખ્સ, પરિવાર પણ ન ઓળખી શક્યો

Gujarat News : કહેવાય છે કે એકવાર કોઈ પાકિસ્તાની જેલના સળિયા પાછળ પહોંચી જાય તો તેનુ પરત આવવું અશક્ય હોય છે. આવી રીતે અનેક લોકો ગુમનામીમાં જીવીને મોતને ભેટ્યા છે. પરંતુ હાલ એક ચમત્કાર થયો. 28 વર્ષ પાકિસ્તાની જેલમાં વિતાવ્યા બાદ એક ગુજરાતી પરત ફર્યાં છે. તેઓ જ્યારે પાકિસ્તાન ગયા હતા ત્યારે 27 વર્ષના હતા. 28 વર્ષ બાદ માદરે વતન આવ્યા ત્યારે 55 વર્ષના થઈ ગયા છે. કુલદીપકુમારની પાકિસ્તાની જેલમાં યાતનાની કહાની સાંભળીને ધ્રુજી જશો. ૧૯૯૪ માં પાકિસ્તાનમાં જાસૂસીના આરોપમાં તેમને પકડવામાં આવ્યા હતા અને આજીવન કારાવાસની સજા સંભળાવાઈ હતી. 

છેલ્લા 28 વર્ષથી પાકિસ્તાનની જેલમાં જેલવાસ ભોગવનાર ભારતીય કુલદીપ યાદવની આખરે વતનવાપસી થઇ છે. કુલદીપ યાદવ કે જેઓ વર્ષ 1992 માં પાકિસ્તાન ગયા હતા. તેઓ જ્યારે 1994માં ભારત પરત ફરતી વેળાએ બોર્ડર ક્રોસ કરવા જઈ રહ્યાં હતા એ દરમ્યાન એજન્સીએ તેમની ધરપકડ કરી હતી. અલગ અલગ એજન્સીઓએ તેમની પૂછપરછ કરી હતી. જેના બાદ 1996 માં તેમને આજીવન કારાવાસની સજા સંભળાવાઈ હતી. જેના બાદથી તેઓ લખપત જેલમાં કેદ હતા. 

જેલમાં મળ્યા હતા પંજાબના સરબજીત
કુલદીપ યાદવની મિત્રતા પાકિસ્તાનની જેલમાં પંજાબના સરબજીત સાથે થઈ હતી, જેમને આતંકી અને જાસૂસ માનીને પાકિસ્તાને પકડ્યા હતા. પરંતું બાદમાં જેલના કેદીઓના હુમલામાં સરબજીતનું મોત નિપજ્યુ હતું. ત્યાં ભારતીય કેદીઓએ એક જ બેરેકમાં રાખવામાં આવતા હતા, જ્યાં સરબજીત અને કુલદીપ યાદવ વચ્ચે મિત્રતા બંધાઈ હતી. 

ઘરે આવતા પરિવાર ઓળખી ન શક્યો
26 ઓકટોબર 2021ના રોજ કુલદીપની સજા પૂર્ણ થઈ હતી. ગત સપ્તાહે જ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે કુલદીપ યાદવને મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. તેમને વાઘા બોર્ડરથી 28 ઓગસ્ટના રોજ મોકલવામા આવ્યા હતા. કુલદીપ પાકિસ્તાનની લખપત જેલમાં બંધ હતા, જ્યાં તેમની બહેન તેમને નિયમિત રાખડી મોકલતી હતી. આ વર્ષે બહેનની દુવા ભગવાને સાઁભળી હતી, અને ભાઈને પરત મોકલ્યો. જોકે, 2013 બાદથી બહેનનો કુલદીપ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. આખરે 28 વર્ષ બાદ આખરે તેમને ભાઈ પરત મળ્યો. ત્યારે તેમનો પરિવાર પણ તેમને ઓળખી શક્યો ન હતો. પરંતુ બાદમાં જ્યારે બહેનને ખબર પડી તો તે ભાઈને વળગીને રડી પડ્યા હતા. બંને પોતપાતાના આસું રોકી શક્યા ન હતા. 

હવે જીવન કેવુ વિતાવશે
પાકિસ્તાનથી માંડ છૂટીને આવ્યા બાદ હવે કુલદીપસિંહ યાદવને પોતાના ભવિષ્યની ચિંતા છે. કારણ કે, તેઓ અત્યાર સુધી જેલમાં બંધ હતા. આ ઉંમરે તેમને નોકરી મળવી મુશ્કેલ છે. હવે તેઓ પોતાના ભાઈ-બહેન પર નિર્ભર છે. તેમને આશા છે કે સરકાર તેમને નિવૃત્તિ સૈનિક જેવા ગણીને વળતર આપે. તેમને જમીન, પેન્શન, ઘર આપે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news