ગુજરાત સરકાર દ્વારા વડોદરાને પુરની આફત માટે રૂ.2 કરોડની સહાયની જાહેરાત

રાજ્યના મુખ્યસચિવ ડો. જે.એ. સિંહના અધ્યક્ષ સ્થાને પૂરની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી, જરૂર પડશે તો સરકારે વધુ સહાય આપવા પણ તૈયારી દર્શાવી 
 

ગુજરાત સરકાર દ્વારા વડોદરાને પુરની આફત માટે રૂ.2 કરોડની સહાયની જાહેરાત

હીતલ પારેખ/ ગાંધીનગરઃ વડોદરામાં આવેલી વરસાદી આફતના કારણે શહેરમાં જે પૂરનાં પાણી ભરાયાં છે તે બીજા દિવસે પણ હજુ ઓસર્યાં નથી. શહેરમાં અનેક જગ્યાએ હજુ કેડસમા પાણી છે તો કેટલીક જગ્યાએ ગોઠણડૂબ પાણી ભરાયેલાં છે. શહેરમાં NDRF, SDRF, Army, પોલીસ, ફાયર બ્રિગેટ સહિતના લોકો રાહત-બચાવનાં કાર્યો કરી રહ્યા છે. વડોદરાના પૂરની સમીક્ષા માટે સ્ટેટ કન્ટ્રોલ રૂમમાં મુખ્ય સચિવ ડો. જે.એન. સિંહના અધ્યક્ષ સ્થાને એક બોઠક યોજાઈ હતી. તેમણે વડોદરામાં મોકલવામાં આવેલા IAS અધિકારીઓ અને રાહત-બચાવ કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા શહેરમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરી હતી. 

સ્ટેટ કંટ્રોલ રૂમ માં યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર,પાણી પુરવઠા વિભાગના સચિવ જે પી ગુપ્તા સહિતના અધિકારીઓ હાજર રહ્યા. બેઠકમાં રાજ્ય વહીવટી તંત્ર દ્વારા વડોદરામાં બચાવ કામગીરી અને રાહત કામગીરી વધુ ઝડપી કરવાના આદેશો આપવામાં આવ્યા હતા. 

સમીક્ષા બેઠક બાદ મુખ્ય સચિવ ડો. જે.એન. સિંહે જણાવ્યું કે, "રાજ્ય સરકારે વડોદરાને બે કરોડ રૂપિયાની સહાય આપવાનું નક્કી કર્યું છે. કેશડોલ માટે એક કરોડ અને ઘરોમાં થયેલા નુકસાન માટે એક કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત, જો વધુ જરૂર પડશે તો બીજા રૂપિયા પણ રાજ્ય સરકાર ફાળવશે. આજવા ડેમમાંથી પાણી છોડતા પહેલા તમામ નીચાણવાળા વિસ્તારોને જાણ કરવામાં આવી હતી."

તેમણે વધુમાં કહ્યું કે, " શહેરમાં અત્યાર સુધી 6998 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. શહેરમાં હવે રેસ્ક્યુ ઓપરેશન લગભગ પૂરું થઈ ગયું છે. મુંબઈ-દિલ્હીનો ટ્રેન વ્યવહાર રાબેતા મુજબ શરૂ થઈ ગયો છે અને વડોદરાનું એરપોર્ટ પણ ચાલુ થઈ ગયું છે."

જે.એન. સિંઘે આગણની રણનીતિ અંગે જણાવ્યું કે, "વડોદરા શહેરમાં હવે સફાઈની કામગીરી ઉપર વહીવટી તંત્ર દ્વારા ફોકસ કરવામાં આવશે. વડોદરા શહેર ઉપરાંત સુરત અને આજુબાજુના વિસ્તારોની સફાઈ ટીમોને વડોદરામાં તૈનાત કરાશે. શહેરમાંથી પૂર દરમિયાન 840 ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જેમની આગામી 15 દિવસમાં ગમે ત્યારે ડિલીવરી થઈ શકે છે. વડોદરામાં 5 માનવ મૃત્યુ થયા છે, પરંતુ પશુ જાનહાનીના કોઈ સમાચાર નથી."

તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટથી સીધા હેલિકોપ્ટર મારફતે વડોદરા જશે. વડોદરા એરપોર્ટ પર ઉતરીને પ્રથમ અધિકારીઓ સાથે બેઠક કરશે અને ત્યાર પછી વડોદરાના માર્ગો પર જઈને જાત નિરીક્ષણ પણ કરશે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news