ભૂપેન્દ્ર પટેલ PM મોદીના રસ્તે! ગુજરાતમાં જમીનો વેચશે કે કંપનીઓ, 17 હજાર કરોડનો છે લક્ષ્યાંક

Gujarat Government Debt : કમાણી અને ઉજાણી કરવા સરકારે હવે જમીનો અને કંપનીઓ વેચે તો નવાઈ ના પામતા. જૂની સરકારો અને લોકોના પરસેવાના પૈસાથી ભેગી થયેલી સરકારી મિલકતો વેચવામાં જ રસ આ હોય તેમ લાગી રહ્યું છે

ભૂપેન્દ્ર પટેલ PM મોદીના રસ્તે! ગુજરાતમાં જમીનો વેચશે કે કંપનીઓ, 17 હજાર કરોડનો છે લક્ષ્યાંક

Gujarat Government Debt : ગુજરાત સરકાર પણ મોદી સરકારના રસ્તે ચાલી રહી છે. પીએમ મોદીએ દેશમાં જે પ્લાન અજમાવ્યો એ પ્લાનનો હવે ગુજરાતમાં અમલ થાય તો નવાઈ નહીં. એવું પણ બની શકે કે ગુજરાતમાં આ પ્રોજક્ટ સફળ જાય તો દેશભરમાં ભાજપ શાસિત રાજયોમાં આ પાયલોટ પ્રોજેક્ટ અમલમાં આવી શકે છે. ગુજરાત સરકારે બજેટમાં ૧૭, ૬૩૦ કરોડ રૂપિયા ડિસઇન્વેસ્ટમેન્ટ અને મોનેટાઈઝેશનના માધ્યમથી ઉભા કરવાની જાહેરાત કરી છે. ડિસઈન્વેસ્ટમેન્ટ શબ્દ બજેટમાં ખાસ કરીને વપરાય છે. સરકારને જ્યારે પણ રૂપિયાની જરૂર પડે ત્યારે સરકારી એકમો વેચીને જે ભંડોળ એકઠું કરે તેને ડિસઈન્વેસ્ટમેન્ટ કહેવામાં આવે છે. આમ વિકાસના કામો માટે સરકારે ઉભી કરેલી સંસ્થાઓમાંથી હિસ્સો વેચી નવા રૂપિયા ઉભા કરવા. ભૂપેન્દ્ર પટેલની સરકાર સરકારી કંપનીઓના ના વેચાણ કે બીજા માધ્યમોથી આ રકમ ઉભી કરવા માગે છે ત્યારે  સરકાર ક્યો રસ્તો અપનાવશે તેની અનેક ચર્ચાઓ હાલમાં ગાંધીનગરમાં અધિકારીઓમાં ચાલી રહી છે. સરકાર પાસે સરકારી કંપનીઓમાં હિસ્સો વેચવા ઉપરાંત જમીનો અને ઈમારતો વેચવાનો પણ રસ્તો છે. સૌથી મોટી બાબત એ છે કે ગુજરાત એ PM મોદી અને અમિત શાહનું હોમટાઉન છે. સરકાર ગુજરાતમાં એક્સપરિમેન્ટ કરતી હોય છે. આ બજેટમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે પણ 17 હજાર કરોડ ભેગા કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે પણ ડિસઈન્વેસ્ટ મામલે હજુ કોઈ નિર્ણય લેવાયા નથી.  

સરકાર મિલકતો વેચશે
રાજ્યમાં 5 દાયકાથી ભાજપનું શાસન છે. ગુજરાતમાં આ વર્ષે સરકાર બહુમતિથી વિજેતા થઈ છે. રાજયમાં વિરોધ પક્ષ જ બચ્યો નથી એટલે સરકાર બહુમતિથી નિર્ણયો લેશે. ગુજરાતમાં હાલમાં વિકાસનો વાયરો ફૂંકાઈ રહ્યો છે. હાલમાં ગુજરાત સરકારના જાહેર સાહસોની સંખ્યા ૯૧ છે ને તેમાંથી ૧૮ જાહેર સાહસો નિષ્ક્રિય છે. રાજ્ય સરકારની સાત કંપની શેરબજારમાં લિસ્ટેડ છે. આ તમામ કંપની તગડો નફો કરે છે અને તેમની કિંમત પણ બહુ ઉંચી છે. આ કંપનીઓમાંથી થોડોક હિસ્સો વેચીને સરકાર સારી રકમ ઉભી કરી શકે છે. કમાણી અને ઉજાણી કરવા સરકારે હવે જમીનો અને કંપનીઓ વેચે તો નવાઈ ના પામતા. જૂની સરકારો અને લોકોના પરસેવાના પૈસાથી ભેગી થયેલી સરકારી મિલકતો વેચવામાં જ રસ આ હોય તેમ લાગી રહ્યું છે.

સરકારે નવી પોલિસી અંતર્ગત ડિસઈન્વેસ્ટમેન્ટનું નામ બદલીને ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM)કરી દીધું છે. આ નીતિ મુજબ સરકારી કંપનીઓ હવે રકમ એકત્ર કરવા માટે શેરોના વેચાણની સાથે બીજી એસેટ જેમ કે જમીન વગેરેનું પણ વેચાણ કરી શકે છે. નાણા મંત્રીએ તેમના બજેટમાં કહ્યું હતું કે, સરકારે ઈન્વેસ્ટમેન્ટ વધારવા માટે સરકારી કંપનીઓની બીજી એસેટ્સ પર પણ ફોક્સ કરવું પડશે. જેમાં જમીન, મેન્યુફેક્ચરિંગ યુનિટ વગેરેનો સમાવેશ થાય છે.

ગુજરાત સરકારને દેવું વધારવું હવે પોષાય તેમ નથી. કારણ કે ગુજરાતની વિકાસશીલ સરકાર દેવું કરીને ઘી પી રહી છે. પહેલાંની સરકારે ઓછું દેવું કર્યું નથી તો આ સરકાર કેમ પાછળ રહે એમ સતત વિકાસના નામે દેવું વધી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં દેવામાં 24 હજાર કરોડનો વધારો થયો છે. હવે સ્થિતિ એવી છે કે, સરકારના બજેટ કરતાંય જાહેર દેવું દોઢ લાખ કરોડ વધુ  થઈ ગયું છે. જો રાજ્ય સરકાર માત્ર વ્યાજ ચૂકવવાનો નિર્ણય કરે તો પણ દોઢ વર્ષનો સમય લાગે. ભૂપેન્દ્ર પટેલની સરકાર પણ વિકાસના નામે સતત દેવું વધારી રહી છે. સરકાર વિકાસ કરવા માગે છે તો દેવું વધવાનું એવો તમામનો મત છે. સરકારનું દેવું રૂા. ૪ લાખ કરોડને પાર થઈ ગયું છે. હવે દરેક ગુજરાતીના માથે રૂા. ૬ ૩ હજારનું દેવું પહોંચી ગયું છે. ભલે નાનું બાળક હોય કે સીનિયર સીટિઝન પણ ગુજરાતીઓ માથે વિકાસના નામે દેવાનો બોજ વધારી દેવાયો છે. ગુજરાતની પ્રજા એવું કહી રહી છે કે 157 સીટો જીતાડી છે, તો દેવું તો સરકાર માથે આપવાની જ છે. ગુજરાતની વિકાસશીલ ગણાતી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં દેવું પણ વધવાનું છે. મહત્વની વાત તો એ છે કે, ગુજરાત સરકારના બજેટ કરતાં પણ રોકેટ ગતિએ જ વધી રહ્યું છે. છેલ્લાં એક જ વર્ષમાં જાહેર દેવું દોઢેક લાખ કરોડ વધું છે જે ચિંતાજનક છે. ગુજરાત સરકારના જાહેર દેવામાં રૂપિયા ૨૪,૦૫૧ કરોડનો વધારો થયો છે. 

 દેશમાં ગુજરાત એ દેવામાં 7માં ક્રમાંકનું રાજ્ય છે. વિકાસ માટે રૂપિયા જોઈએ અને એ માટે દેવું કરવું પડે એ યોગ્ય છે પણ દેવું ભરપાઈ કરવાનું યોગ્ય આયોજન પણ એટલું જ જરૂરી છે. અર્થશાસ્ત્રીઓના મત અનુસાર  જો આ જ પરિસ્થિતી રહી તો ગુજરાતમાં નાગરિકોએ દેવાના ભાર તળે જીવવુ પડશે. વર્ષ 1996માં ગુજરાત સરકારનું દેવું 14,800 કરોડ હતું. તે વર્ષ 2022માં વધીને 4.02 લાખ કરોડે પહોંચી ગયું છે. હવે ગુજરાત પાસે ડિસઈન્વેસ્ટમેન્ટ સિવાય રસ્તો નથી હવે આગામી સમય જ બતાવશે કે સરકાર શું વેચવા કાઢે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news