જાહેર રજાના દિવસે મુખ્યમંત્રીએ બોલાવી કેબિનેટ બેઠક, લીધા આ મહત્વપૂર્ણ નિર્ણયો

મહેસૂલ મંત્રીએ કહ્યું કે સમગ્ર સરકાર અછતની સ્થિતી પ્રત્યે અતિસંવેદનશીલ છે. આ સંદર્ભમાં રાજ્ય મંત્રીમંડળે મૂંગા અબોલ પશુધન માટે અછતગ્રસ્ત વિસ્તારોમાં ઘાસચારો, પાણી તેમજ નરેગા અન્વયે રોજગારી નિર્માણ માટે નક્કર નિર્ણયો કર્યા છે. 

જાહેર રજાના દિવસે મુખ્યમંત્રીએ બોલાવી કેબિનેટ બેઠક, લીધા આ મહત્વપૂર્ણ નિર્ણયો

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વની વર્તમાન સરકારે રાજ્યની પ્રવર્તમાન અછતની સ્થિતી પ્રત્યે સંવેદનાપૂર્ણ અભિગમ દાખવી જાહેર રજાના દિવસે પણ રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક બોલાવી અછત રાહતના મહત્વપૂર્ણ આયોજન કર્યા છે. વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી આ કેબિનેટ બેઠકના કરાયેલા આયોજન-નિર્ણયોની વિગતો મહેસૂલ મંત્રી કૌશિક પટેલે આપી હતી. 

મહેસૂલ મંત્રીએ કહ્યું કે સમગ્ર સરકાર અછતની સ્થિતી પ્રત્યે અતિસંવેદનશીલ છે. આ સંદર્ભમાં રાજ્ય મંત્રીમંડળે મૂંગા અબોલ પશુધન માટે અછતગ્રસ્ત વિસ્તારોમાં ઘાસચારો, પાણી તેમજ નરેગા અન્વયે રોજગારી નિર્માણ માટે નક્કર નિર્ણયો કર્યા છે. 

કૌશિક પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં અછતગ્રસ્ત વિસ્તારોમાં વધારાના ૭ કરોડ કિલો ગ્રામ ઘાસની જરૂરિયાત સામે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં પ કરોડ કિ.ગ્રા. ઘાસનું આયોજન કરી દેવામાં આવ્યું છે.  તેમણે ઉમેર્યુ કે, પંજાબ રાજ્યમાંથી લાવીને ઘઉંની પરાળનો અછતગ્રસ્ત વિસ્તારના પશુધન માટે ઘાસચારા તરીકે ઉપયોગ કરી શકવાની સંભાવનાઓ-સર્વેક્ષણ માટે આવતીકાલે રાજ્યમંત્રી વાસણભાઇ આહિરના નેતૃત્વમાં એક ટીમ પંજાબ જશે. 

મહેસૂલ મંત્રીએ રાજ્ય સરકારના અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય અંગે જણાવ્યું કે, રાજ્યમાં જ્યાં પાણી ઉપલબ્ધ છે તેવા વિભાગોના ખેડૂતો જો ઘાસચારો ઉગાડવા માટે તૈયારી દર્શાવે તો તેવા ધરતીપુત્રોને ખાસ કિસ્સામાં અગ્રતાએ વીજ કનેકશન આપવામાં આવશે. કૌશિક પટેલે કહ્યું હતું કે, મુખ્યમંત્રીએ રાજ્યના પ૧ તાલુકાઓ અછતગ્રસ્ત જાહેર કરેલા છે. તાજેતરમાં ઓછા વરસાદ ધરાવતા અને પાક નિષ્ફળ જવાની રજુઆતોને પગલે ૪પ તાલુકાઓ માટે ખાસ રાહત પેકેજ જાહેર કર્યુ છે. હવે, ૧ ડિસેમ્બરથી આ સમગ્ર ૯૬ તાલુકાઓમાં સહાયની શરૂઆત કરાશે. 

તેમણે ઉમેર્યુ હતું કે, અછતના સમયમાં ૧૦૦ દિવસની રોજગારી નરેગા યોજના અન્વયે અપાય છે પરંતુ આ વર્ષે અછતની આ વિશેષ સ્થિતીને ધ્યાને લઇને ૧પ૦ દિવસ રોજગારી અપાશે. એટલું જ નહિ, તાલુકાઓમાં જેટલા પ્રમાણમાં રોજગારીની માંગ થાય તેને પણ પહોચી વળવા અન્ય કામોમાંથી પણ ઉપલબ્ધતા આયોજન કરાશે. 

આગામી દિવસોમાં પીવાનું, સિંચાઇ માટેનું અને પશુધનને પાણી પૂરતું મળી રહે તેવું સઘન આયોજન રાજ્ય સરકાર કરશે. મોટર મૂકીને કે અન્ય રીતે પાણીના ગેરકાયદે વપરાશ કરનારાઓ સામે સખ્ત કાયદેસરની કાર્યવાહી સરકાર સ્તરેથી કરવા પણ મુખ્યમંત્રીએ આદેશો આપ્યા છે.

- પશુધન માટે વધારાના ૭ કરોડ કિ.ગ્રામ ઘાસચારાનું આયોજન કરાશે
- કુલ ૧ર કરોડ કિ.ગ્રા. ઘાસનું આયોજન 
- રાજ્યમંત્રી વાસણભાઇના નેતૃત્વમાં ટીમ પંજાબ જશે-પશુ ઘાસચારા માટે પંજાબથી ઘઉંની પરાળ લાવવાની સંભાવનાઓનું સર્વેક્ષણ કરશે 
- રાજ્યમાં જ્યાં પાણી ઉપલબ્ધ છે ત્યાંના ખેડૂતો ઘાસ ઉગાડવા આગળ આવે તેમને ખાસ કિસ્સામાં વીજ કનેકશન રાજ્ય સરકાર આપશે 
- ૧લી ડિસેમ્બરથી અછતગ્રસ્ત પ૬ તાલુકા સહિત ઓછો વરસાદ ધરાવતા અને ખાસ પેકેજ જાહેર થયેલા ૪પ મળી ૯૬ તાલુકામાં સહાય અપાશે 
- મનરેગામાં ૧પ૦ દિવસની રોજગારી 
-  પીવાના-સિંચાઇના-પશુધન માટેના પાણીનું આગવું આયોજન કરાશે 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news