Gujarat Election 2022: માત્ર 8 રૂપિયામાં ભરપેટ ભોજન, જૂની પેન્શન યોજના, કોંગ્રેસે આપ્યા નવા ત્રણ વચન

Congress: ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ આજે પત્રકાર પરિષદ યોજીને જનતા માટે નવા ત્રણ વચનોની જાહેરાત કરી છે. નોંધનીય છે કે વિધાનસભાની યોજનારા ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ પાર્ટીએ અત્યાર સુધી જનતાને કુલ 20 વચનો આપ્યા છે. 
 

Gujarat Election 2022: માત્ર 8 રૂપિયામાં ભરપેટ ભોજન, જૂની પેન્શન યોજના, કોંગ્રેસે આપ્યા નવા ત્રણ વચન

ગૌરવ પટેલ, અમદાવાદઃ ગુજરાતમાં આ વર્ષના અંત સુધી વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. વિધાનસભા ચૂંટણીમાં જનતાને પોતાના સમર્થનમાં કરવા માટે રાજકીય પાર્ટીઓ દ્વારા વિવિધ જાહેરાત કરવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા રાજ્યની પ્રજાને નવા ત્રણ વચનો આપવામાં આવ્યા છે. કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ આજે પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરી છે. નોંધનીય છે કે કોંગ્રેસ પાર્ટી દ્વારા આ પહેલા પણ વિવિધ જાહેરાતો કરવામાં આવી છે. 

કોંગ્રેસે કરી મોટી જાહેરાત
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પત્રકાર પરિષદ યોજીને નવી જાહેરાતો કરી છે. રઘુ શર્માએ કહ્યું કે રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી સરકારે જૂની પેન્શન યોજના બંધ કરી નવી યોજના દાખલ કરી હતી. રઘુ શર્માએ કહ્યુ કે, રાજસ્થાન સરકારે પાછલા બજેટમાં જૂની પેન્શન યોજના લાગૂ કરી છે. તો છત્તીસગઢની કોંગ્રેસ સરકારે પણ જૂની પેન્શન યોજના દાખલ કરી છે. ગુજરાતમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાનું વચન કોંગ્રેસે આપ્યું છે. 

કોંગ્રેસની રોજગારીની ગેરંટી
પત્રકાર પરિષદમાં કોંગ્રેસે બીજા વચનની જાહેરાત કરી છે. રઘુ શર્માએ કહ્યુ કે કોંગ્રેસે મનરેગા યોજના દાખલ કરી હતી. જે ગ્રામ્ય વિસ્તારના લોકો માટે હતી. હવે તેમણે કહ્યું કે અમારી સરકાર બનશે તો શહેરી વિસ્તારમાં 100 દિવસની ગેરંટી યોજના દાખલ કરવામાં આવશે. તેમણે કહ્યું કે રાજસ્થાનની કોંગ્રેસ સરકારે આ યોજના દાખલ કરી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં સરકાર બનશે તો ઈન્દિરા ગાંધી શહેરી રોજગાર ગેરંટી યોજના દાખલ કરવામાં આવશે. 

કોંગ્રેસનું ત્રીજુ વચન
ગુજરાતની સત્તામાં છેલ્લા 27 વર્ષથી દૂર રહેલી કોંગ્રેસ પાર્ટી આ ચૂંટણીમાં જીત મેળવવા માટે પ્રજાને સતત નવા-નવા વચનો આપી રહી છે. કોંગ્રેસે કહ્યું કે અમારી સરકાર બનશે તો શહેરી વિસ્તારના લોકો માટે 8 રૂપિયામાં ભોજનની થાળી મળશે. રઘુ શર્માએ કહ્યુ કે બપોરે અને સાંજે માત્ર 8 રૂપિયામાં ભોજન મળશે. તેમણે કહ્યું કે રાજસ્થાન સરકારે આ યોજના દાખલ કરી છે. રાજસ્થાનમાં 358 સ્થળો પર આ યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં 100 ગ્રામ દાળ, શાક અને રોટલી આપવામાં આવશે. તો રઘુ શર્માએ કહ્યુ કે માછીમારો માટે કોંગ્રેસની જે યોજનાઓ ભાજપ સરકારે બંધ કરી તેને ફરી શરૂ કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news