AAPમાં જોડાવા મુદ્દે ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કર્યો મોટો ખુલાસો, 'મારી તમામ રજૂઆતનો ઉકેલ આવી ગયો'

ઈન્દ્રનીલ રાજ્યગુરુએ અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી અને પ્રદેશ અધ્યક્ષ સાથે મુલાકાત બાદ જણાવ્યું છે કે મારી તમામ રજૂઆતનો ઉકેલ આવી ગયો છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. નેતાઓ નારાજ થઈ કોઈ પાર્ટી સાથે છેડો ફાડી રહ્યા છે તો કોઈ ખેસ ધારણ કરી રહ્યા છે.

AAPમાં જોડાવા મુદ્દે ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કર્યો મોટો ખુલાસો, 'મારી તમામ રજૂઆતનો ઉકેલ આવી ગયો'

ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક નજીક આવતી જાય છે તેમ તેમ પાર્ટીઓની અંદર પક્ષપલ્ટુ કરનાર નેતાઓની લઈને અનેક અટકળો ચાલી રહી છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ચૂંટણી લડેલા રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂ ફરી કોંગ્રેસનો સાથ છોડવા જઈ રહ્યાં છે. તેઓ આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે જઈને રાજીનામુ આપશે. સાથે જ તેઓ AAP માં જોડાય તેવી ચર્ચાઈઓ વેગ પકડ્યુ છે. ત્યારે ઈન્દ્રનીલ રાજ્યગુરુએ સમગ્ર અટકળો પર પૂર્ણ વિરામ મૂકીને મોટો ખુલાસો કર્યો છે.

ઈન્દ્રનીલ રાજ્યગુરુએ અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી અને પ્રદેશ અધ્યક્ષ સાથે મુલાકાત બાદ જણાવ્યું છે કે મારી તમામ રજૂઆતનો ઉકેલ આવી ગયો છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. નેતાઓ નારાજ થઈ કોઈ પાર્ટી સાથે છેડો ફાડી રહ્યા છે તો કોઈ ખેસ ધારણ કરી રહ્યા છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુએ પણ કોંગ્રેસ પક્ષથી નારાજ હોવાના સંકેત આપ્યા હતા. જે બાદ  ઈન્દ્રનીલ રાજ્યગુરુ AAPમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડયું હતું. તેવામાં ડેમેજ કંટ્રોલ કરવા પહેલા જ પાર્ટીના પ્રભારી રઘુ શર્મા એક્ટિવ થઈ ગયા હતા. અને ઇન્દ્રનીલ રાજ્યગુરૂને મળવા બોલાવ્યા હતા. જે બાદ બંને વચ્ચે મુલાકાત થઈ હતી. ઈન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે  AAPના નેતાઓને મળું એનો મતલબ એ નથી કે ત્યાં જોડાઈ જાઉ. મેં મારી રજૂઆત કરી તમામ મુદાઓ મુક્યા.. હા આખરે મારી રજૂઆતનો ઉકેલ આવી ગયો છે. આ મામલે રઘુ શર્માએ કહ્યું કે ઈન્દ્રનીલ રાજ્યગુરુના રાજીનામાની કોઈ વાત નથી.

ગઈકાલે (ગુરુવારે) અટકળો ચાલી રહી હતી કે, રાજકોટ-પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ AAPમાં જોડાય તેવી શક્યતા દેખાઈ રહી છે. કોંગ્રેસના પ્રદેશ માળખામાં પણ ઇન્દ્રનીલ રાજ્યગુરૂને સ્થાન આપવામાં આવ્યુ છે. જો કે છેલ્લા ઘણાં સમયથી રાજ્યગુરૂ નિષ્ક્રિય હતા. હવે તેઓ AAP ના નેતાઓ સાથે સંપર્ક કર્યાની ચર્ચા ઉઠી હતી. 3 એપ્રિલ સુધીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે બેઠક કરે તેવી શક્યતા પણ જોવામાં આવી હતી. આપમાં જોડાવા મામલે ઈન્દ્રનીલ રાજ્યગુરુએ ગુરુવારે કહ્યુ હતું કે, જે કોઈને જે પક્ષમાં જવું આવવું હોય એ આવી જઇ શકે છે. હાલ આ મામલે આનાથી વધુ કઈ નહિ કહી શકું. 

નોંધનીય છે કે, સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ ભંગાણના આરે ઉભી રહી છે. એક તરફ નરેશ પટેલના કોંગ્રેસમાં આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. તો બીજી તરફ, અનેક નેતાઓ કોંગ્રેસમાંથી વિદાય લઈ રહ્યાં છે. હાલમાં જ રાજકોટ કોંગ્રેસમાં ભંગાણ થવાની શરૂઆત થઈ ગઈ છે. રાજકોટ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મુકેશ રાજપરાએ પણ રાજીનામુ આપ્યુ છે. સંગઠનમાં કામ કરવા છતા નોંધ ન લેવાતી હોવાને કારણે નારાજ રાજપરાએ પક્ષને રાજીનામુ આપ્યુ છે. ત્યારે આપમાં બીજા કયા કયા કોંગ્રેસના નેતાઓ જોડાય છે તેના પર સૌની નજર છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આગામી 2 એપ્રિલે અમદાવાદના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે અનેક નેતાઓ આપમાં સામેલ થાય તેવી શક્યતા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news