જય ભવાની! રૂપાલામાં ડેમેજ કન્ટ્રોલ કરવા મેદાનમાં ઉતર્યા ભાજપના બે મોટા નેતા

Rupala Controversy : ક્ષત્રિય સમાજનો રોષ વધતા જ ભાજપને ડેમેજ કન્ટ્રોલ કરવા અચાનક સૌરાષ્ટ્રમાં દોડતું જવું પડ્યું છે, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપના પ્રભારી રત્નાકર ક્ષત્રિયોને મનાવવા કામે લાગી ગયા 

જય ભવાની! રૂપાલામાં ડેમેજ કન્ટ્રોલ કરવા મેદાનમાં ઉતર્યા ભાજપના બે મોટા નેતા

Loksabha Election : રૂપાલાના વિવાદમાં રાજપૂતો હવે બહાર કાઢેલી તલવાર મ્યાનમાં મૂકવા તૈયાર નથી. હવે વાત ક્ષત્રિયોના આન બાન અને શાનની છે, ત્યારે ક્ષત્રિયોએ મોટાપાયે વિરોધ દર્શાવવાનું શરૂ કર્યુ છે. સાથે જ ભાજપ વિરોધી મતદાન કરવા આહવાન કર્યું છે. આવામાં હવે ભાજપને ડેમેજ કન્ટ્રોલ કર્યે જ છૂટકો છે. નહિ તો સમયના વહાણ વીતી જશે તો ક્ષત્રિયો ભાજપને નડશે, અને લોકસભામાં જીતના ટાર્ગેટ પર અસર પડશે. ત્યારે હવે ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનોને સમાજમાં જઈ લોકસભા ચૂંટણીમાં ભાજપને સહયોગ આપવા સૂચન કરવા અપીલ કરાઈ છે. હવે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપના પ્રભારી રત્નાકર અચાનક દોડતા થયા છે. ગઈકાલે રાજકોટ બાદ આજે ભાવનગરમાં ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનો સાથે બંધ બારણે બેઠકનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ડેમેજ કન્ટ્રોલ સ્પષ્ટ બતાવે છે કે ભાજપને હવે ડર લાગી રહ્યો છે. 

ભાવનગરમાં બંધ બારણે કરી બેઠક
ભાવનગર હર્ષ સંઘવી અને રત્નાકરની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા છે. ભાવનગર શહેર સંગઠન સાથે ચર્ચા બેઠક બાદ હર્ષ સંઘવી અને રત્નાકર રવાના થયા છે. આ બેઠકમાં શું ચર્ચાઓ થઈ એ હકીકતો હજુ બહાર નથી આવી. આ બેઠકમાં ભાજપના મહિલા ઉમેદવાર નિમુબેન બાંભણિયા, જીતુ વાઘાણી, શહેર પ્રમુખ અભય ચૌહાણ અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. બે-બે ઉચ્ચ રાજકીય નેતાઓ સાથે એક કલાક કરતા વધુ સમય એક ખાનગી હોટલમાં મીટીંગનો દોર ચાલ્યો હતો. હર્ષ સંઘવીની ઓચિંતી મુલાકાત ને લઇ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. 

રાજકોટમાં પણ કરી બેઠક 
ગઈકાલે હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપના પ્રભારી રત્નાકર અચાનક રાજકોટ દોડી આવ્યા હતા. તેમણે ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનો સાથે બંધ બારણે બેઠક કરી હતી. જેમાં તેઓએ ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનોને સમાજ વચ્ચે જઇ લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કરવાનુ સૂચન કરવા અપીલ કરી હતી.

ક્ષત્રિયોનો વિરોધ સો ટકા ભાજપને નડવાનો
ક્ષત્રિય સમાજના આંદોલને રાજ્યમાં ઉગ્ર રૂપ ધારણ કર્યું છે. રૂપાલાએ બે વખત ક્ષત્રિય સમાજની માફી માગી લીધા બાદ પણ પ્રદેશ ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જોકે, હજુ સુધી ડેમેજ કંટ્રોલ થઈ શક્યું નથી અને ક્ષત્રિય સમાજનું આંદોલન દિન-પ્રતિદિન ઉગ્ર રૂપ ધારણ કરી રહ્યું છે.  આજે રાજકોટમાં  ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાની પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલનના પાર્ટ 2ની શરૂઆત કરવામાં આવી છે. ક્ષત્રિય સમાજ દ્વારા અલગ અલગ વિસ્તારમાં મધ્યસ્થ કાર્યાલય ખોલવામાં આવ્યા છે. 

રૂપાલાની ટિકિટ રદ કરવામાં ન આવતા ગુજરાતના ક્ષત્રિયો ભાજપથી નારાજ છે. એવા નારાજ કે તેમણે ખુલ્લીને ભાજપને હરાવવાનો સંકલ્પ લીધો છે. રાજકોટથી રૂપાલા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ભાજપને ડેમેજ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ક્ષત્રિયોની સંકલન સમિતિ રોજ નવી નવી રણનીતિઓ બનાવી આંદોલનને જીવતું રાખવાના પ્રયાસમાં લાગેલું છે. બીજી તરફ જેમ જેમ મતદાન નજીક આવતું જાય છે તેમ તેમ ભાજપે પણ ડેમેજ કંટ્રોલની કવાયત તેજ કરી દીધી છે. ભાજપમાંથી કમાન ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાથમાં ઉપાડી છે. સંઘવી રાજ્યના અલગ અલગ બેઠક પર જઈને ક્ષત્રિય આગેવાનો અને નેતાઓ સાથે બંધબારણે બેઠક કરી રહ્યા છે. જ્યાં સંઘવીએ બનાસકાંઠા પહોંચી બંધબારણે બેઠક યોજી સમજાવટનો પ્રયાસ કર્યો હતો...ત્યારપછી કચ્છ, ભાવનગરમાં પણ બંધબારણે ક્ષત્રિયોને સમજાવાયા હતા.

ડેમેજકંટ્રોલ માટે હર્ષ સંઘવીની સાથે સંગઠન મહામંત્રી રત્નાકર પણ લાગેલા છે. તમામ બેઠકો ગુપ્ત યોજાઈ રહી છે, તેની અસર કેટલી થાય છે તે તો પરિણામ પછી જ ખબર પડશે. પરંતુ ક્ષત્રિયોની રણનીતિ પછી ભાજપ પણ પોતાની અલગ રણનીતિ પર કામ કરતું હાલ જોવા મળી રહ્યું છે. ક્ષત્રિયોના આંદોલનની અસર રાજકોટની સાથે જામનગર, ભાવનગર અને સુરેન્દ્રનગર પર થાય તેવા એંધાણ છે. કારણ કે આ ત્રણેય બેઠક પર ક્ષત્રિય સમાજના મત સારા એવા પ્રમાણમાં છે. જો કે અન્ય સમાજના મત વન સાઈડ પડે તો ભાજપની સારી લીડથી જીત થઈ શકે છે. તેથી ભાજપ હાલ તમામ નાની નાની બાબતોનું મંથન કરીને આગળ વધી રહ્યું છે. તો જેના કારણે સમગ્ર વિવાદ થયો છે તે રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા પણ અવાર નવાર ક્ષત્રિય સમાજને અપીલ કરતાં જોવા મળી રહ્યા છે. 

તો રૂપાલાનો વિવાદ હજુ શાંત થયો નથી ત્યાં ભાજપના વધુ એક નેતાએ બફાટ કર્યો છે. તેમણે આપેલા નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં રોષ છે. જો કે આ નેતાએ નિવેદન બાદ માફી પણ માગી લીધી છે. બફાટ કરતાં નેતાઓને એક જાગૃત મીડિયા તરીકે અમારે કહેવું છે કે, એવું નિવેદન શું કામ આપો છો કે પાછળથી માફી માંગવી પડે?...કેમ ચૂંટણી ટાણે જ તમારી જીભ લપસી જાય છે?. જનપ્રતિનિધિ કોઈને નીચા દેખાડી મોટો ન બની શકે. તે તમામ સમાજને સાથે લઈને ચાલનારો હોવો જોઈએ. આ મામલે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ પણ રોષ ઠાલવી જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે કાર્યવાહીની માગ કરી છે. 

અમારું ધર્મયુદ્ધ શરૂ થયું 
પ્રેસ કોન્ફરન્સમાં ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાએ કહ્યું કે, પરતોત્તમ રૂપાલાને ટીકીટ પરત ખેંચી લેવા અમે સમય આપ્યો હતો. પરંતુ રૂપાલા ચૂંટણી લડવાના છે તે હવે ફાઇનલ થઈ ગયું છે. તમારે જે કરવું હોય તે કરી લેજો હું તો લડવાનો જ છું આવું રૂપાલા કહેવા માંગે છે. હવે અમારું આ ધર્મયુદ્ધ શરૂ થયું છે. અમારા ઘરના ચૂલા સુધી હવે પહોંચી ગયા છે. 18-18 વોર્ડમાં કાર્યાલય ખોલવામાં આવશે. દરેક તાલુકા અને વોર્ડ પ્રમાણે પ્રમુખોની નિમણુંક કરવામાં આવશે. 

તો બીજી તરફ, રાજકોટમાં રામજી મંદિર ખાતે ક્ષત્રિયાણીઓ પ્રતિક ઉપવાસ પર બેસી છે. ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા ત્રણ દિવસ પ્રતિક ઉપવાસ કરવામાં આવશે. આગામી દિવસોમાં ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથ કાઢવામાં આવશે. સમગ્ર રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા કાર્યાલયો ખોલવામાં આવ્યા છે. જેમાં રાજકોટમાં વોર્ડ વાઈઝ કાર્યાલયનો શુભારંભ કરાયો છે. આ વિશે ભાર્ગવીબા ગોહિલે કહ્યું કે, રાજ્યની 26 બેઠક પર ભાજપને થશે નુકસાન. ક્ષત્રિયોને રાજનીતિ કરવા માટે મજબૂર ન કરો. ભારતીય જનતા પાર્ટીમાં ક્ષત્રિય સમાજના વિરોધને લઈને ફફડાટ મચ્યો છે. અમારી રૂપાલાની ટિકિટ રદ કરવા જ માંગ છે. ભાજપ વિરુદ્ધ કરવામાં મતદાન આવશે. આ પ્રસંગે ‘જય ભવાની ભાજપ જવાની’ ના નારા લાગ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news