‘બેકારી શું કહેવાય તે ભાન કરાવીએ આ ટોળકીને...’ નવરાત્રિ કેન્સલ થતા કલાકારોએ ખૂલીને કર્યો તબીબોનો વિરોધ

નવરાત્રિ (navratri) માં ગરબાના આયોજનને પરવાનગી ન મળવાનો મામલે કેટલાંક લોકોએ સોશિયલ મીડિયા પર ડોક્ટરોનો વિરોધ શરૂ કર્યો છે. ડોક્ટરોના ઘર અને ક્લિનિક બહાર કલાકારોના માધ્યમથી કાર્યક્રમ કરવાની ચીમકી આપી

‘બેકારી શું કહેવાય તે ભાન કરાવીએ આ ટોળકીને...’ નવરાત્રિ કેન્સલ થતા કલાકારોએ ખૂલીને કર્યો તબીબોનો વિરોધ

અતુલ તિવારી/અમદાવાદ :ગઈકાલે ગુજરાત સરકારે જાહેર કરેલી ગાઈડલાઈનમાં નવરાત્રિથી લઈને દિવાળી સુધીના તહેવારો પર પ્રતિબંધ મૂક્યો છે. જેનાથી ખેલૈયાઓના મન ઉદાસ થયા છે. તો બીજી તરફ, નવરાત્રિ (navratri) માં ગરબાના આયોજનને પરવાનગી ન મળવાનો મામલે કેટલાંક લોકોએ સોશિયલ મીડિયા પર ડોક્ટરોનો વિરોધ શરૂ કર્યો છે. ડોક્ટરોના ઘર અને ક્લિનિક બહાર કલાકારોના માધ્યમથી કાર્યક્રમ કરવાની ચીમકી આપી છે. 

5 તબીબો સામે વિરોધ
સોશિયલ મીડિયા પર પાંચ તબીબોનો વિરોધ કરાયો છે. 5 ડોક્ટરોના નામ સોશિયલ મીડિયામાં લખી પોસ્ટ વાયરલ કરી છે. જેમાં ડો. મોના દેસાઈ, ડો.મુકેશ મહેશ્વરી, ડો.વસંત પટેલ, ડો.મીતાલી વસાવડા અને ડો.પ્રભાકર સામે લોકોએ આક્રોશ વ્યક્ત કરીને વિરોધ શરૂ કર્યો છે. ગુજરાતમાં વધતાં કોરોનાના સંક્રમણને કારણે પાંચેય ડોક્ટરોએ મીડિયાના માધ્યમથી ચાલુ વર્ષે ગરબાની પરવાનગી ન મળે તે માટે અપીલ કરી હતી. જેથી લોકોએ નવરાત્રિ પર મૂકાયેલ પ્રતિબંધ માટે આ તબીબોને જવાબદાર ગણાવ્યા છે. પાંચેય ડોક્ટરોને કલાકાર વિરોધી તરીકે ચીતરવામાં આવ્યા છે. બબલુ અમદાવાદી નામના શખ્સે પોતાના ફેસબુક પર આ પોસ્ટ શેર કરી છે. 

કલાકારોનો આક્રોશ ફરી જોવા મળ્યો  
ડોક્ટરોએ ગરબાના આયોજન સામે કરેલા વિરોધ મામલે કલાકારોએ સૌથી પહેલા વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે નવરાત્રિ પર પ્રતિબંધ મૂકાતા કલાકારોનો આક્રોશ ખૂલીને સામે આવ્યો હોય તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કારણ કે, કોરોનાને કારણે થયેલા લોકડાઉન બાદથી હજુ સુધી સંગીતની દુનિયા સાથે જોડાયેલા કલાકારો માટે આ કપરો કાળ યથાવત રહ્યો છે. રાજ્ય સરકારે મોટા ગરબાના આયોજન પર અગાઉ જ મનાઈ ફરમાવી હતી. પરંતુ કલાકરોને અપેક્ષા હતી કે, રાજ્ય સરકાર જો શેરી ગરબાને મંજૂરી આપશે તો નાના નાના કલાકારોને જીવનદાન મળી રહેશે. પરંતુ સરકાર દ્વારા જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા મુજબ હવે કોઈપણ પ્રકારના ગરબાના આયોજન પર પણ પૂર્ણવિરામ મૂકાઈ જતા, સંગીતની દુનિયા સાથે જોડાયેલા કલાકરોમાં નિરાશા પણ વ્યાપી છે. જો કે વધતા જતા કોરોના સંક્રમણને જોતા ગરબાના મોટા આયોજકોએ પણ આ વર્ષે ગરબા માટે કાર્યક્રમ ના યોજવા અંગે અગાઉ જ સ્પષ્ટતા કરી હતી. 

મેડિકલ એસોસિયેશન સ્પષ્ટ ના પાડી હતી
શેરી ગરબાના આયોજનને લઈને ખેલૈયાઓને આશા હતી કે રાજ્ય સરકાર મંજૂરી આપશે, પરંતુ 16 ઓક્ટોબરથી અમલ થનારી રાજ્ય સરકારની નવી માર્ગદર્શિકા મુજબ કોઈપણ પ્રકારના ગરબાના આયોજનને રાજ્ય સરકારે મંજૂરી આપી નથી. આવામાં ખેલૈયાઓમાં નિરાશા પણ જોવા મળી છે, પરંતુ અનેક શહેરીજનોએ સરકાર દ્વારા કરાયેલા આ નિર્ણયને આવકાર્યો છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન સતત વિનંતી કરી રહ્યું હતું કે, આ વર્ષે કોરોના સંક્રમણને ધ્યાને રાખતા રાજ્ય સરકાર જો ગરબાની પરવાનગી ના આપે તો જ બધા માટે હિતાવહ રહેશે. નહિ તો પરીસ્થિતિ કથળશે અને કોરોનાના જો કેસો વધશે તો દર્દીઓની સારવાર કરવા માટે મુશ્કેલી સર્જાશે એ નક્કી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news