ગૌમૂત્ર પર સવાલ! કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન ડૉ.વલ્લભ કથીરિયાએ રિપોર્ટને ખોટો ગણાવ્યો

cow urine Research : રિસર્ચમાં ખુલાસો થયો કે, ગાય અને બળદના પેશાબમાં લગભગ 14 પ્રકારના હાનિકારક બેક્ટેરિયા હોય છે જેમાં Escherichia coli હોય છે જે પેટમાં ચેપનું કારણ બની શકે છે

ગૌમૂત્ર પર સવાલ! કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન ડૉ.વલ્લભ કથીરિયાએ રિપોર્ટને ખોટો ગણાવ્યો

cow urine : ભારતીય પશુચિકિત્સા સંશોધન સંસ્થાએ દાવો કર્યો છે કે તાજા ગૌમૂત્રમાં સંભવિત હાનિકારક બેક્ટેરિયા હોઈ શકે છે જેનું સેવન કરવામાં આવે તો વ્યક્તિના સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. તેમણે પોતાના એક રિસર્ચ રિપોર્ટમાં દાવો કર્યો છે કે કોઈપણ વ્યક્તિએ સીધું ગૌમૂત્ર પીવાનું ટાળવું જોઈએ જે તેમને બીમાર કરી શકે છે. ત્યારે આ રિપોર્ટનો વિરોધ રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન ડો.વલ્લભ કથીરિયાએ કર્યો છે. આ સંશોધન અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભેંસનું મૂત્ર ગૌમૂત્ર કરતાં વધુ અસરકારક છે. 

ભારતીય પશુ ચિકિત્સા સંસ્થાના ગૌમૂત્ર અંગેના રિપોર્ટ અંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રિય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન ડૉ. વલ્લભ કથીરીયાનું નિવેદન આપતા જણાવ્યું કે, દેશમાં એવા વૈજ્ઞાનિકો ની એવી લોબી ચાલે છે જે ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધની વાતોનો ખોટો પ્રચાર પ્રસાર કરે છે. તેઓ ગાયને ગૌમાતા તરીકે સ્વીકારવા તૈયાર નથી. ગાય અને ભેંસની તુલના કદી થઈ જ ન શકે. ગાયના ગૌમૂત્રમાં રહેલા ગુણો વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલા છે, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની સંસ્થાઓએ પણ સ્વીકાર્યું છે કે ગાયના ગૌમૂત્ર, દૂધ અને ગોબરમાં જે ગુણો છે અતુલનીય છે. આ પ્રકારના રિપોર્ટ બનાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ થઈ રહ્યું છે. 

આ રિપોર્ટ પર પણ ડો કથીરીયાએ સવાલ ઉઠાવતા કહ્યું કે, ગૌમૂત્ર એ આયુર્વેદની દ્રષ્ટિએ શ્રેષ્ઠ જ રહ્યું છે, ગૌમૂત્રની અંદર નુકસાન કરતા બેક્ટેરિયા હોય એ વાત સદંતર ખોટી છે, મેં પોતે IVRI બરેલીના ડાયરેક્ટર સાથે વાત કરી છે, તેઓ પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે ખુલાસો પણ આપવાના છે. 

ગૌમૂત્ર મનુષ્યો માટે યોગ્ય નથી - રિપોર્ટ 
ભારતીય પશુચિકિત્સા સંશોધન સંસ્થાના ભોજ રાજ સિંહની આગેવાની હેઠળ IVRI ખાતે પીએચડી વિદ્યાર્થીઓ સાથે મળીને આ સરવે કરવામાં આવ્યો હતો. જાણવા મળ્યું છે કે ગાય અને બળદના પેશાબમાં લગભગ 14 પ્રકારના હાનિકારક બેક્ટેરિયા હોય છે જેમાં Escherichia coli હોય છે જે પેટમાં ચેપનું કારણ બની શકે છે. તેથી કોઈ પણ વ્યક્તિએ તેનો સીધો ઉપયોગ કરવાથી બચવું જોઈએ. ગાય, ભેંસ અને મનુષ્યોમાંથી 73 પેશાબના નમૂનાઓના વિશ્લેષણ દર્શાવે છે કે ભેંસના પેશાબમાં એન્ટિબેક્ટેરિયલ ગતિવિધિ ગાય કરતાં ઘણી સારી હતી. જૂન અને નવેમ્બર 2022ની વચ્ચે આ સરવે હાથ ધરાયો હતો. જેમાં પરિણામ આવ્યું કે, તંદુરસ્ત વ્યક્તિઓના પેશાબનો મોટો હિસ્સો સંભવિત રોગકારક બેક્ટેરિયા ધરાવે છે. ગૌમૂત્રની ભલામણ કોઈ પણ સંજોગોમાં મનુષ્યો માટે કરી શકાતી નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news