આજથી વિહીપ ગુજરાતમાં રામમંદિરનો શંખનાદ ફૂંકશે, આજે ગુજરાતના બે શહેરોમા ધર્મસભા

ગાંધીનગરમાં વિહિપ દ્વારા 5000 જેટલા લોકો ધર્મસભામાં ઉપસ્થિત રહેશે એવો દાવો કરવામાં આવ્યો છે. જેમાં મહામન્ડલેશ્વર સ્વામી વિશોકાનંદ ભારતી મહારાજ સાથે 35 અન્ય સંતો મહંતો ઉપસ્થિત રહેશે. સાથે જ 200 જેટલી ધાર્મિક સામાજિક સંસ્થાઓ, 70 જેટલી ભજન મંડળીઓ પણ ધર્મસભામાં જોડાશે.

આજથી વિહીપ ગુજરાતમાં રામમંદિરનો શંખનાદ ફૂંકશે, આજે ગુજરાતના બે શહેરોમા ધર્મસભા

કિંજલ મિશ્રા/અમદાવાદ : વીએચપીની સ્થાપના થઇ ત્યારથી હિન્દુત્વ અને રામ મંદિર એમ બે પ્રખર મુદ્દા રહ્યા છે. જોકે આજ સુધી અયોધ્યામાં રામ મંદિર બનાવવામાં સફળતા મળી નથી. પરંતુ ફરી એકવાર રામ મંદિર માટે જન જુવાળ ઉભો કરવાનો વિહીપ દ્વારા પ્રયાસ શરૂ થયો છે. જેના ભાગરૂપે દેશભરમાં ધર્મસભાઓનું શંખનાદ ફૂંકવામાં આવ્યું છે. અયોધ્યા બાદ હવે આજથી ગુજરાતમાં 23 વિશાળ ધર્મસભાઓ યોજાશે. જેમાં આજે ગાંધીનગર તથા હિંમત નગરમાં 3 વાગે સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. 

ગાંધીનગરમાં વિહિપ દ્વારા 5000 જેટલા લોકો ધર્મસભામાં ઉપસ્થિત રહેશે એવો દાવો કરવામાં આવ્યો છે. જેમાં મહામન્ડલેશ્વર સ્વામી વિશોકાનંદ ભારતી મહારાજ સાથે 35 અન્ય સંતો મહંતો ઉપસ્થિત રહેશે. સાથે જ 200 જેટલી ધાર્મિક સામાજિક સંસ્થાઓ, 70 જેટલી ભજન મંડળીઓ પણ ધર્મસભામાં જોડાશે. ત્યારે આ સભામાં બાઇક રેલી અને સાયકલ રેલી પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. 4 તાલુકામાંથી યુવાનો બાઇક રેલી સ્વરૂપે પહોંચશે. 100 જેટલા સ્થાનિક બાળકો સાયકલ રેલી મારફતે સભા સ્થળે આવશે. આ ધર્મસભા માટે અત્યાર સુધીમાં નાની મોટી 55 જેટલી બેઠકો કરવામાં આવી છે. જ્યારે કે 250થી વધુ ગામડાઓનો સંપર્ક કાર્યો હોવાનો વિહીપે દાવો કર્યો છે. 

ગાંધીનગર સાથે હિંમતનગરમાં પણ આજે આ જ પ્રકારે ધર્મસભાનું આયોજન કરાયું છે, જ્યાં 20,000 જેટલા લોકો ઉપસ્થિત રહેશે તેવો અંદાજ આપવામાં આવ્યો છે. અહીં 20 જેટલા સંતો તથા 50 જેટલી ભજન મંડળીઓ તથા 50 જેટલી ધાર્મિક સામાજિક સંસ્થાઓ ઉપસ્થિત રહેશે. ધર્મ સભાને સફળ બનાવવા માટે જિલ્લાના 740 ગામડાઓનો 12000 પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો છે. સાથે જ વનવાસી વિસ્તારમાંથી 3000 વધુ બંધુ નૃત્ય સાથે આવશે. તેમાં 100થી વધુ વનવાસી ભજન મંડળીઓ હાજર રહેશે. તેમજ 400 સ્થાનિક બહેનો રામ ભજન, ચરણપાદુકા સાથે સભા સ્થળે પહોંચે એ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે. 

RalleyVHP.jpg

બીજા શહેરોમાં પણ ધર્મસભા 
આ જ રીતે આગામી દિવસોમાં અમદાવાદ, નડિયાદ, રાજકોટ, સોમનાથ, સુરત, ગોધરા, દાહોદ, ભરુચ, પોરબંદર, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર,  ડીસા, વાપી, સુરત ગ્રામ્ય, ભુજ, પાટણ, છોટાઉદેપુર  સહિત 23 સંસદીય ક્ષેત્રોમાં ધર્મસભાઓ યોજાશે. જેમાં વિહિપ કેન્દ્રીય નેતાઓ અને ધર્મ પ્રચારકો ભાગ લેશે. વિહીપ દ્વારા આ ધર્મસભાઓનો ઉદ્દેશ લોકોમાં રામ મંદિર માટે જન જાગૃતિ ઉભી કરવાનો અને અયોધ્યામાં રામ મંદિર જલ્દી બને તે માટે સરકાર પર દબાણ ઉભું કરવાનો છે.  વિહીપના રાષ્ટ્રીય પ્રવક્તા વિજય શંકર તિવારીએ આ પ્રસાયોથી 2019 પહેલા જ રામ મંદિરનું નિર્માણ થશે એવો દાવો કર્યો છે. જોકે કેટલાક બુદ્ધિજીવી વર્ગ વિહીપ દ્વારા કાર્યક્રમ માટે નક્કી કરાયેલ સમયને લઈને સવાલ ઉભા કરી રહ્યા છે અને 2019 ચૂંટણીમાં ભાગરૂપે પણ આ કાર્યક્રમને જોઈ રહ્યા છે. 

શું કહ્યું પ્રવિણ તોગડીયાએ...
વિહીપમાંથી છેડો ફાડીને હિન્દૂ હી અંગેના નારા સાથે નવું સંગઠન શરૂ કરનાર એએચપીના અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, જ્યારે ઓક્ટોબર માસમાં એએચપી દ્વારા લખનૌથી અયોધ્યા રામ મંદિર માટે કુચ કરવામાં આવી ત્યારે કેન્દ્ર સરકારે દમન ગુજાર્યું હતું અને એ જ સરકાર વી.એચ.પી ને તમામ જગ્યા કાર્યક્રમ થાય એ માટે પૂરક બની રહી છે. આ સરકારની બેવડી નીતિ છે. જોકે રામ મંદિરનું નિર્માણ જલ્દી થવું જોઈએ એ પક્ષમાં તેઓ પણ છે. ત્યારે જોવાનું એ છે કે દેશમાં ચાલતા અનેક મહત્વના મુદ્દાઓ વચ્ચે રામ નામ અને રામ મંદિરની કવાયત અયોધ્યામાં રામ લલ્લાને સ્થાન અપાવશે ક પછી સરકાર માટે ફરીવાર પ્રજા સુધી જવાનો માર્ગ મોકળો કરી સીમિત બની જશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news