સિવિલના 1 હજાર મ્યુકોરમાઈકોસિસ દર્દીઓ પરનું રિસર્ચ કહે છે, યુવાનો કરતા વૃદ્ધો પર ભારે પડ્યું આ ફંગસ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 1010 કરતા પણ વધુ મ્યુકોરમાઇકોસિસના દર્દીઓને સારવાર અપાઈ છે. મ્યુકોરમાઇકોસિસના કારણે અમદાવાદ સિવિલમાં 1010 માંથી અંદાજે 77 થી વધુ દર્દીઓના મૃત્યુ થયા છે. સિવિલ હોસ્પિટલમાં હાલ પણ 375 દર્દીઓ સારવાર હેઠળ છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં આવેલા 1 હજાર દર્દીઓના ડેટા તૈયાર કરવામાં આવ્યા છે. જેમાંથી રસપ્રદ માહિતી સામે આવી છે. 
સિવિલના 1 હજાર મ્યુકોરમાઈકોસિસ દર્દીઓ પરનું રિસર્ચ કહે છે, યુવાનો કરતા વૃદ્ધો પર ભારે પડ્યું આ ફંગસ

અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 1010 કરતા પણ વધુ મ્યુકોરમાઇકોસિસના દર્દીઓને સારવાર અપાઈ છે. મ્યુકોરમાઇકોસિસના કારણે અમદાવાદ સિવિલમાં 1010 માંથી અંદાજે 77 થી વધુ દર્દીઓના મૃત્યુ થયા છે. સિવિલ હોસ્પિટલમાં હાલ પણ 375 દર્દીઓ સારવાર હેઠળ છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં આવેલા 1 હજાર દર્દીઓના ડેટા તૈયાર કરવામાં આવ્યા છે. જેમાંથી રસપ્રદ માહિતી સામે આવી છે. 

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોકટર જે.પી. મોદીએ માહિતી આપતા જણાવ્યું કે, મ્યુકોરમાઇકોસીસના 1010 કરતા વધુ દર્દીઓને અમે સારવાર આપી છે. અમારી પાસે મોટી સંખ્યામાં દર્દીઓ આવ્યા એટલે અમે કેટલાક ડેટા પણ તૈયાર કર્યા છે. જે આ મુજબ છે. 

  • જેમને મ્યુકોરમાઇકોસીસ થયો એવા 80 ટકા દર્દીઓને પહેલેથી જ ડાયાબિટીસ હતો અને કોરોના બાદ મ્યુકોરમાઇકોસીસ થયો હોય તેવા દર્દીઓ પણ 80 ટકા જેવા હતા. 
  • 1 હજારમાંથી 200 દર્દીઓ એટલે કે 20 ટકા દર્દીઓને કોરોનાની કોઈ હિસ્ટ્રી જ ન હતી અને મ્યુકોર થયો હતો. શક્ય છે કે આ 200 દર્દીઓ જેમને કોરોના થયો હોવાની કોઈ હિસ્ટ્રી જ ન હતી. એ એવા દર્દી હોઈ શકે કે જેમને ભૂતકાળમાં તાવ આવ્યો હોય અને કોઈ રિપોર્ટ ના કરાવ્યો હોય પણ રાહત થઈ ગઈ હોય.
  • અભ્યાસ મુજબ મ્યુકોરમાઇકોસીસ યુવાનો કરતા વૃદ્ધોમાં વધુ થતો જોવા મળ્યો
  • સિવિલમાં મ્યુકોરમાઇકોસીસના જે દર્દીને સારવાર આપી એમાં 70 ટકા દર્દીઓ 45 વર્ષથી 65 વર્ષના હતા. 20 ટકા એવા દર્દીઓ હતા જેમની ઉંમર 65 વર્ષ કરતા વધુ હતી. 
  • 1 હજાર દર્દીઓમાં અંદાજે 100 જેટલા એટલે કે 10 ટકા દર્દીઓ 45 વર્ષથી ઓછી વયના હતા જેમને મ્યુકોર થયો.

આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું કે, કોરોના બાદ મ્યુકોરમાઇકોસીસના દર્દીઓ અમારા ત્યાં વધ્યા એટલે અમે 8 વોર્ડ શરૂ કર્યા હતા, રોજ 35 જેટલી સર્જરી અમે કરી રહ્યા હતા. માત્ર 50 જેટલી સર્જરી હવે બાકી છે, એ એવા દર્દીઓ છે કે જેઓ ઓપરેશન માટે સંપૂર્ણ ફિટ છે. 

મ્યુકોરમાઇકોસીસથી ડેથની વાત કરીએ તો સિવિલ હોસ્પિટલમાં માત્ર 7 ટકા જેટલો મૃત્યુદર છે. કોઈપણ પુસ્તક અથવા ઇતિહાસમાં જે રીતે ઊંચો મૃત્યુદર મ્યુકોરમાઇકોસીસમાં જોવા મળે છે એવા પ્રકારની સ્થિતિ નથી સર્જાઈ. જે રાહતની વાત છે. હાલ પોસ્ટ કોવિડ દર્દીઓ મ્યુકોરમાઇકોસીસની ફરિયાદ સાથે આવે છે. ખાનગી હોસ્પિટલમાં સિટી સ્કેન અને MRI થયો હોય અને અમારા ત્યાં વધુ સારવાર માટે આવ્યા હોય તેવા કિસ્સાઓ પણ છે. 

સિવિલ હોસ્પિટલમાં માત્ર અમદાવાદ જ નહિ, પરંતુ સમગ્ર રાજ્યમાંથી દર્દીઓએ આવીને સારવાર લીધી છે. ગુજરાત સિવાય બહારના રાજ્યોના પણ દર્દીઓ મ્યુકોરમાઇકોસીસની ફરિયાદ સાથે સિવિલમાં આવ્યા અને અમે સારવાર પુરી પાડી છે. સિવિલ હોસ્પિટલમાં રોજ 20 થી વધુ મ્યુકોરના દર્દીઓ ડિસ્ચાર્જ થઈ રહ્યા છે. 

રાજકોટના દર્દી કે જેમને કોરોનાને કારણે ICU સ્પોર્ટ પર રાખવામાં આવ્યો હતો તેઓએ ઝી 24 કલાક સાથે કરી વાતચીતમાં કહ્યું કે મને ડાયાબીટીસ ન હતો. પરંતુ કોવિડ બાદ મ્યુકોરમાઇકોસીસ થતા રાજકોટથી અમદાવાદ સિવિલમાં આવ્યો અહીં ઓપરેશન થયું છે, હાલ સ્વસ્થ હોવાનું અનુભવી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news