Dandi Yatra: આજે પણ દાંડીયાત્રાના સમયને યાદ કરીને વડીલોની આંખો થઈ જાય છે ભીની...

અમદાવાદના સાબરમતી આશ્રમથી શરૂ કરેલી દાંડી યાત્રા અસલાલી, નવાગામ, માતર, નડીયાદ થઈ આણંદ પહોંચી. આણંદમાં આવેલા બોરસદ તાલુકાની નાપા ગામની ધર્મશાળામાં 78 પદયાત્રીઓ સાથે રાતવાસો કર્યો હતો. અહીં મીઠાના વિરોધમાં નાનકડી સભા યોજવામાં આવી હતી.

Dandi Yatra: આજે પણ દાંડીયાત્રાના સમયને યાદ કરીને વડીલોની આંખો થઈ જાય છે ભીની...

ઝી બ્યૂરો, અમદાવાદઃ વડીલો દાંડીયાત્રાના સમયને આદરથી વાગોળે છે. લોકો તેમના વડીલો, પૂર્વજો પાસેથી સાંભળેલી એ ઘટનાઓને પ્રેમ અને આદરથી વાગોળે છે. તો ચાલો આજે આપને દાંડીયાત્રા અંગે કેટલીક જાણેલી-સાંભળેલી વાતો જણાવીએ.

12 માર્ચ 1930નાં દિવસે સાબરમતી આશ્રમથી શરૂ થયેલી દાંડી યાત્રા અને મીઠાના સત્યાગ્રહને આઝાદીની લડતનું પ્રવેશદ્વાર ગણવામાં આવે છે. સાબરમતી આશ્રમથી દાંડીકૂચ કરતા ગાંધીજી અને સાથી સત્યાગ્રહીઓ માર્ગમાં 24 ગામોમાં રાત રોકાયા હતા. આ તમામ ગામના લોકોએ સત્યાગ્રહીઓનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

* અમદાવાદના સાબરમતી આશ્રમથી શરૂ કરેલી દાંડી યાત્રા અસલાલી, નવાગામ, માતર, નડીયાદ થઈ આણંદ પહોંચી. આણંદમાં આવેલા બોરસદ તાલુકાની નાપા ગામની ધર્મશાળામાં 78 પદયાત્રીઓ સાથે રાતવાસો કર્યો હતો. અહીં મીઠાના વિરોધમાં નાનકડી સભા યોજવામાં આવી હતી.

* ભરૂચ પણ મીઠાના સત્યાગ્રહનું સાક્ષી બન્યું છે. દાંડીયાત્રાના સાથીઓ સાથે 26 માર્ચ 1930નાં ઐતિહાસિક દિવસે બાપુ ભરૂચ પહોંચ્યા હતા. બાપુ ભરૂચ આવે તેની પહેલા સરદાર પટેલે 23 ફેબ્રુઆરી 1930ના રોજ સભાને સંબોધી હતી. સભા દરમિયાન સરદાર પટેલે કરેલા રણટંકાર બાદ લોકોમાં અંગ્રેજ સરકારે મીઠા ઉપર નાખેલા સવા રૂપિયાનાં કર સામે જુવાળ ફાટી નીકળ્યો. દાંડી કૂચના બરાબર 15માં દિવસે બાપુ અને તેમની સત્યાગ્રહી સેનાએ ભરૂચમાં પ્રવેશ કર્યો. અમદાવાદ, મુંબઈ સહિતના વિસ્તારમાંથી લોકો ગાંધીજીના પહેલા રેલવે મારફતે ભરૂચમાં પહોંચી ગયા. અડધા લાખની વસ્તી ધરાવતુ ભરૂચ લગભગ બમણી વસ્તીથી ઉભરાઈ ગયુ હતું.

* દક્ષિણ ગુજરાતના પ્રવેશ દ્વાર સમા ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલા આસરમા ગામથી દાંડીયાત્રા 28મી માર્ચ 1930ના રોજ ઉમરાછી ગામે આવવાની હતી. યાત્રા માટે ગ્રામજનો અને દાંડીયાત્રીઓએ ભેગા મળી મધ્યમાંથી પસાર થતી કીમ નદી પર વાંસનો દેશી પુલ બનાવ્યો હતો. અહીં સાંજે આવ્યાં બાદ રાત્રિરોકાણ કરી 29 માર્ચે યાત્રા આગળના ગામે પ્રસ્થાન થઈ હતી.

* દેલાડ ગામે 30 અને 31 માર્ચ 1930 એમ બે દિવસ દાંડીયાત્રા રોકાઈ હતી. ગ્રામજનો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત, રાત્રિરોકાણ સહિત અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરાયા હતા.

* ત્યારબાદ ગાંધીજી અને દાંડીયાત્રીઓ ગામમાંથી બહાર નીકળી અમરોલી તરફ આગળ વધ્યા હતા. 2 એપ્રિલ, 1930ના રોજ ગાંધીજી ઉત્રાણ બ્રિજ થઈ સીધા ડિંડોલી ગામમાં પહોંચ્યા હતા. આ ગામમાં ગાંધીજીને ગુલાબભાઈ અખ્ખુભાઈ દેસાઈના ઘરે ઉતારો આપવામાં આવ્યો હતો.

* અમરોલી થઈ ગાંધીજીની દાંડીકૂચ ઉત્રાણ રેલવે બ્રિજ પાસે આવી પહોંચી હતી. અંગ્રેજોએ વર્ષ 1915માં તાપી નદી પર લોખંડનો મજબૂત રેલવે બ્રિજ બનાવ્યો હતો. આ બ્રિજ પરથી ગાંધીજીની આગેવાનીમાં દાંડીયાત્રીઓ પસાર થયા ત્યારે બ્રિજ પાસે હાજર અંગ્રેજોના સૈનિકો તેમને જોતા જ રહી ગયા હતા.

* નવસારી જિલ્લામાં દાંડીકૂચ દરમિયાન ગાંધીજીએ લગભગ ૩૫ કિ.મી. જેટલું અંતર કાપ્યું હતું. નવસારી જિલ્લામાં ગાંધીજીએ બે જગ્યાએ બપોરના વિસામા તથા બે જગ્યાએ રાત્રિમૂકામ કર્યા હતા. દાંડીકૂચ દરમિયાન ગાંધીજી જે જે ગામોમાંથી પસાર થયા એ તમામ ગામોમાં આજે પણ કેટલાક પ્રસંગો જે-તે ગામના ગ્રામજનો માટે જીવંત સંભારણાં બની ગયાં છે.

* 3 એપ્રિલ 1930ની સવારે વાંઝથી ગાંધીજી તેમના સાથીઓ સાથે કપલેથા થઈ ધામણ આવવા નીકળ્યા હતા. માર્ગમાં મિંઢોળા નદીના ઉત્તરકાંઠે આવેલા કપલેથા ગામના હિન્દુ અને મુસલમાન ભાઈઓએ મળીને બળદગાડાં જોડીને મિંઢોળા પર પુલ બનાવી દીધો હતો. શહેરની મધ્યમાં દૂધિયા તળાવના સૂકા ભાગમાં ગાંધીજીની જાહેરસભા ગોઠવવામાં આવી હતી. નવસારીના ઈતિહાસમાં અભૂતપૂર્વ ગણાય એટલી સભામાં જનમેદની હતી.  3 એપ્રિલે જાહેરસભા બાદ ગાંધીજીએ વજિલપોર ગામમાં મયાભાઈ તેલીની તેલમિલમાં રાત્રિમૂકામ કર્યો હતો.

* 5 એપ્રિલની સાંજે ગાંધીજીની સાથે દાંડીયાત્રાના સાથીઓ નવસારી પહોંચી ગયા. 6 એપ્રિલના ઐતિહાસિક દિવસે નવસારીના વજિલપોર ગામમાં રાષ્ટ્રીય શાળામાંથી રાષ્ટ્રીય ગીતો ગાતા એક સરઘસ કાઢવામાં આવ્યું હતું. અહીં વહેલી સવારે સૈફી વિલાની સામે 100 ડગલાં દૂર કુદરતી મીઠુ પાકેલું હતું. આ મીઠાંને પાંદડા મૂકી ઢાંકી દેવામાં આવ્યું હતું. ગાંધીજીએ વાંકા વળી તેમાંથી ચપટી મીઠું ઉપાડીને બોલ્યા કે, આજથી હું બ્રિટિશ સામ્રાજ્યની ઈમારતના પાયામાં લૂણો લગાડું છું. આ સાથે 241 માઈલની ગાંધીયાત્રાની પૂર્ણાહૂતિ થઈ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news