ભાજપમાં જોડાશે દિનેશ શર્મા, સીઆર પાટીલ સાથેની તસવીર શેર કરી

Dinesh Sharma joins BJP : કોંગ્રેસના દિગ્ગજ નેતા દિનેશ શર્માએ ગઈકાલે કોંગ્રેસને રાજીનામુ આપ્યુ હતુ, અને આજે ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથેની તસવીર શેર કરી

ભાજપમાં જોડાશે દિનેશ શર્મા, સીઆર પાટીલ સાથેની તસવીર શેર કરી

ઝી મીડિયા/બ્યૂરો :ભારતમાં ચૂંટણી પહેલાં પક્ષ પલટોએ સામાન્ય બાબત છે. પરંતુ એક પક્ષમાંથી જ રાજીનામાંની હરોળ આશ્ચર્ય સાથે અનેક સવાલો પણ છોડે છે. ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ કંઈક આવી જ છે. ના તો સામાન્ય કાર્યકર ખુશ છે કે ના તો કોઈ વરિષ્ઠ નેતા. જે કોઈપણ નેતા પક્ષ છોડ છે એ ગુજરાત કોંગ્રેસના નેતૃત્વ સામે સવાલો ઉઠાવે છે. ફરીથી ગુજરાત કોંગ્રેસના સેનાપતિ સામે જ બળવો કરી વધુ એક નેતાએ રાજીનામું ધરી દીધું. ત્યારે અમદાવાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા દિનેશ શર્માએ ગઈકાલે કોંગ્રેસને રાજીનામુ આપ્યુ હતુ, અને આજે ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથેની તસવીર શેર કરી છે. 

કોંગ્રેસમાં નારાજગીના સૂર ઉઠ્યા છે. પોતાને પ્રાધાન્ય મળતુ ન હોવાની ફરિયાદ સાથે નારાજ નેતાઓ પક્ષ સાથે છેડો ફાડી રહ્યાં છે. જેમાં જયરાજસિંહ પરમારના રાજીનામા બાદ અનેક નેતાઓની નારાજગી સામે આવી છે. લકાડુ અને આક્રમક મિજાજ ધરાવતા નેતાઓ પણ કોંગ્રેસ છોડવાની ફિરાકમાં છે. ત્યારે અમદાવાદ મહાનગર પાલિકાના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ હતું. જેના બાદ આજે ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે.  દિનેશ શર્માએ કરી સીઆર પાટીલ સાથે મુલાકાત કરી છે. સાથે જ 27 તારીખે રવિવારે વિકાસ અને રાષ્ટ્રવાદની દિશામાં આગળ વધવાની ફેસબુક પોસ્ટ દ્વારા માહિતી આપી. 

દિનેશ શર્માએ કોંગ્રેસ સામે પ્રહાર કર્યાં 
ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને રાજીનામુ આપતા તેમણે પત્રમા લખ્યુ કે, હું કોંગ્રેસના તમામ સભ્યપદ પરથી રાજીનામુ આપુ છું અને કોંગ્રેસ પક્ષની તમામ જવાબદારીઓમાંથી મુક્ત થઈ રહ્યો છું. હું છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પક્ષની કાર્યપ્રણાલીથી અને નિર્ણાયક શક્તિના અભાવે થઈ રહેલા રાજકીય નુકસાનને હવે સ્વમાનના ભોગે સહન કરી શકુ તેમ નથી. હું અનેકવાર પક્ષને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવા અને પક્ષના સંગઠનને મજબૂત કરવા ત્વરિત નિર્ણય શક્તિ બતાવવા માટે પક્ષને અનેક સૂચનો કરતો આવ્યો છુ. છતા પરિણામ શૂન્ય રહેતા આજે છેલ્લા વિકલ્પ તરીકે કોંગ્રેસ પક્ષને અલવિદા કહેવુ જ યોગ્ય માનીને નવી દિશા અને માર્ગ તરફ આગળ વધી રહ્યો છું. રાજીનામુ આપ્યા બાદ તેમણે પહેલી પ્રતિક્રીયા આપતા કહ્યુ હતું કે, ગુજરાતના પ્રભારી રઘુ શર્મા તેમને ગુજરાતના પ્રભાર આપ્યો છે તે કોંગ્રેસનુ શાસન આવે તેના માટે આપ્યો છે કે વેપાર કરવા આપ્યો છે. આ રઘુ શર્મા અમદાવાદ શહેરના લીડર તરીકે મને મળવાનો સમય આપતા નથી, મારુ અપમાન છે કે નહિ તે રાહુલજી નક્કી કરે. ગુજરાત કોંગ્રેસમાં જિલ્લે જિલ્લે એજન્સી પ્રથા શરૂ કરી છે. કોંગ્રેસ વાડાઓમાં વેચાઈ ગઈ છે. રાહુલજીને પણ મળવાનો મેં અનેકવાર પ્રયાસ કર્યો, અને જો તેમને મળ્યો હોત તો તેમના નવ રત્ન ગુજરાતમાં સારુ કામ કરે છે તેવુ ખોટુ કહેવુ પડ્યુ હોત. તમારી પાસે હોદ્દો નથી તો તમે કયા કામમાં વ્યસ્ત છો તો તમે અમને મળતા નથી. પ્રધાનમંત્રીને 24 કલાકમાં મળી શકાય છે તો રાહુલ ગાંધીને કેમ નહિ. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news