ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સામે સુરત કોર્ટમાં ફરિયાદ

કોંગ્રેસના કાર્યકર્તાઓને 'હરામઝાદા' કહેવાના નિવેદન બાબતે સુરતની કોર્ટમાં કોંગ્રેસના નેતા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી, કોર્ટે પોલીસને આ બાબતે તપાસ કરી ગુનો દાખલ કરવાનો આદેશ આપ્યો છે 

ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સામે સુરત કોર્ટમાં ફરિયાદ

તેજશ મોદી/ સુરતઃ ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીને કોંગ્રેસના કાર્યકરોને 'હરામઝાદા' કહેવાનું ભારે પડી શકે છે. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીએ વાઘાણીને પહેલા ક્લીનચીટ આપ્યા બાદ હવે ફરીથી તપાસ શરૂ કરી છે, ત્યારે હવે વાઘાણી સામે કોર્ટમાં પણ ફરિયાદ થઈ છે. કોર્ટે પોલીસને યોગ્ય તપાસ કરી ફરિયાદ દાખલ કરવા આદેશ આપ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, સુરત ખાતે ચુંટણી પ્રચાર માટે આવેલા જીતું વાઘાણીએ લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષવાળા અંધાધુંધી અને અરાજકતા ફેલાવા નીકળ્યા છે. આ રાજ્યમાં તમે સીધી રીતે જીતી શકતા નથી એટલે દાદાગીરી અને લુખ્ખાગીરી કરવા નીકળ્યા છો.

જીતુ વાઘાણીએ સીધી ધમકી આપતા કહ્યું હતું કે, અમને કોઈને છેડવા નહીં અને અમને છેડશો તો અમે કોઈને છોડીશું નહીં. એ સમય ગયો છે, જ્યારે તમારો સમય હતો. અમે લોકશાહી ઢબે ચૂંટણી લડવા માંગીએ છીએ. એક બનાવ બન્યો, બીજો બનવા બનશે તો તમને સુરતમાંથી હાંકી કાઢતા અમને વાર નહીં લાગે. જેને જ્યાં મત દેવો હોય ત્યાં દેવા દો.

આ ઉપરાંત જીતુ વાઘાણીએ મતદારોને સીધી જ અપીલ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસના મનમાં પાપ છે. લોકોને હેરાન પરેશાન કરવા છે. 23 તારીખે કમળના નિશાન પર વોટીંગ કરશો. આ સાથે જ જીતુ વાઘાણીએ કોંગ્રેસના કાર્યકરોને હરામઝાદા પણ કહ્યા હતા. 

જીતુ વાઘાણીના આવા ઉચ્ચારણ અંગે કોંગ્રેસના નેતા ફિરોઝ ખાને આરોપ લગાવતા કહ્યું કે, જીતુ વાઘાણી પ્રદેશ પ્રમુખની સાથે ધારાસભ્ય પણ છે. તેમાં છતાં તેમણે શબ્દોની મર્યાદા રાખી નથી. ફિરોઝખાન પઠાણે સુરત કોર્ટમાં આઈપીસીની કલમ 294 (ખ), 504, 505, 153, 505, 500 અને 153 (એ) મુજબ ફરિયાદ નોંધાવી છે. નામદાર કોર્ટે સમગ્ર મામલે સલાબતપુરા પોલીસને તપાસ સોંપી છે. કોર્ટે સલાબતપુરા પોલીસને આદેશ આપ્યો છે કે, જો તપાસમાં ગુનાહિત કૃત્ય દેખાય તો ફરિયાદ નોંધવી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news