ફાયર વિભાગની ગંભીર બેદરકારી, કરોડોના ખર્ચે સવાવેલા સાધનો ધૂળ ખાઈ રહ્યાં છે


અમદાવાદમાં આગ લાગવાની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આગને કાબુમાં લેવા અને લોકોની સુરક્ષા માટે તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. ફાયર સેફ્ટીના ઘણા સાધનો જાળવણીના અભાવે ધૂળ ખાઈ રહ્યાં છે. 
 

ફાયર વિભાગની ગંભીર બેદરકારી, કરોડોના ખર્ચે સવાવેલા સાધનો ધૂળ ખાઈ રહ્યાં છે

સપના શર્મા, અમદાવાદઃ અમદાવાદ ફાયર બ્રિગેડ નવા ઉપકરણો ખરીદવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. જો કે વાત જ્યારે આ જ ઉપકરણોનાં સમારકામ કે જાળવણીની આવે, ત્યારે તંત્ર પાછું પડે છે. જાળવણીનાં અભાવે નવા ઉપકરણો ઉપયોગ કર્યા વિના જ જૂના થઈ જાય છે. જેના કારણે ઈમરજન્સીના સમયે ઉપકરણો કામમાં નથી આવતા, જેની કિંમત જનતાએ ચૂકવવી પડે છે.

અમદાવાદમાં ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવવા માટે અત્યાધુનિક ઉપકરણો અને વાહનો વસાવેલા છે, આ ઉપકરણો બેકાબૂ બનેલી આગ વખતે લોકોનાં જીવ બચાવવામાં નિર્ણાયક સાબિત થતાં હોય છે. જેને જોતાં કોઈ પણ સમયે આ ઉપકરણો કાર્યરત હોય તે અનિવાર્ય છે. આ માટે તેમની સતત જાળવણી થવી જરૂરી છે. જો કે કડવી વાસ્તવિકતા એ છે કે આમ નથી થતું...

જાળવણીનાં અભાવે ઘણા વાહનો અને ઉપકરણો કાં તો ધૂળ ખાઈ રહ્યા છે અને કાં તો બંધ હાલતમાં હોવાથી ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. 

અમદાવાદ ફાયર વિભાગની એક માત્ર ક્રેન 2 વર્ષથી બંધ હાલતમાં છે. સમારકામ કરવામાં ન આવતા ક્રેન ધીમે ધીમે ભંગારમાં ફેરવાઈ રહી છે. પણ ફાયર વિભાગ કે કોર્પોરેશનને ક્રેનનાં સમારકામની જરૂર હજુ સુધી નથી જણાઈ.

અમદાવાદનાં જ જમાલપુર ફાયર સ્ટેશનમાં શેષનાગ તરીકે ઓળખાતા ફાયર ટેન્કરનું રોબોટ બંધ હાલતમાં છે. આગ જ્યારે વિકરાળ બને અને ફાયરનાં જવાનો જઈ ન શકે તે જગ્યાએ આગ બુઝાવવા માટે રોબોટ કામ આવે છે, પણ સમયસર જાળવણીનાં અભાવે આ રોબોટનું કામ પણ નથી લઈ શકાતું. 

આશ્ચર્યની વાત કહો કે આઘાતની, થલતેજ ફાયર સ્ટેશનમાં હાઈડ્રોલિક પ્લેટફોર્મ પણ કામમાં લઈ શકાય તેવી સ્થિતિમાં નથી. હાઈડ્રોલિક પ્લેટફોર્મનાં વાહનનું ડિસ્પ્લે કામ કરતું ન હોવાથી આ ઉપકરણનો ઉપયોગ નથી કરી શકાતો. સામાન્ય રીતે બહુમાળી ઈમારતમાં આગ લાગે, ત્યારે આગ ઓલવવા માટે આ પ્લેટફોર્મની જરૂર પડે છે, પણ તંત્ર આ વાહનની જરૂરીયાત અને ગંભીરતાને પણ નથી સમજતું...આવી સ્થિતિમાં લાગે ત્યારે ઉપકરણ હોવા છતા બીજા ફાયર સ્ટેશનેથી હાઈડ્રોલિક પ્લેટફોર્મ મંગાવવું પડે છે. જેમાં નિર્ણાયક સમય નીકળી જાય છે. AMCના ફાયર વિભાગની બેદરકારીને કારણે આ સ્થિતિ ઉભી થઈ છે. જે સત્તાધીશોની ગંભીર બેદરકારી છે.

મનપાનાં અધિકારીને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ઉપકરણોનું સમારકામ ચાલતું હોવાનો દાવો કર્યો, સાથે જ ટેન્ડર પ્રક્રિયાનો પણ હવાલો આપ્યો.

અહીં સવાલ એ ઉભો થાય છે કે શું ફાયર વિભાગ જેવી ઈમરજન્સી સેવા માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનો આ જવાબ વાજબી છે?ફાયરનાં ઉપકરણોનું સમારકામ યુદ્ધનાં ધોરણે કેમ કરવામાં નથી આવતું. શા માટે ઉપકરણોની નિયમિત ધોરણે જાળવણી નથી કરાતી. ઉપકરણો ખરીદવામાં આગળ રહેતું તંત્ર જાળવણીમાં કેમ પાછળ રહે છે.  આ સવાલોનાં જવાબ મળવા જરૂરી છે, કેમ કે આગ આગના બનાવ અગાઉથી આમંત્રણ આપીને નથી બનતા. સવાલ લોકોની જિંદગીનો હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news