વિધાનસભા પેટા ચૂંટણી 2019 : જામનગર ગ્રામ્ય બેઠકની ચૂંટણી લોકસભાની સાથે યોજાશે

જામનગરની બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ રાજીનામું આપતાં આ બેઠક ખાલી પડી હતી, તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે, હવે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોની સાથે રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકો (ઊંઝા, તાલાલા, માણાવદર, ધ્રાંગધ્રા, જામનગર ગ્રામ્ય) માટે પણ પેટા ચૂંટણી યોજાશે.

વિધાનસભા પેટા ચૂંટણી 2019 : જામનગર ગ્રામ્ય બેઠકની ચૂંટણી લોકસભાની સાથે યોજાશે

નવી દિલ્હી/જામનગરઃ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી 2019ની તારીખો જાહેર કરવામાં આવી હતી. તેની સાથે જ પંચ દ્વારા રાજ્યની ઊંઝા વિધાનસભા બેઠક અને તાલાલા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની પણ જાહેરાત કરાઈ હતી. જોકે, ત્યાર પછી ખાલી પડેલી જામનગર ગ્રામ્યની બેઠકની ચૂંટણી અંગે કોઈ જાહેરાત કરાઈ ન હતી. હવે, ગુરુવારે ભારતીય ચૂંટણી પંચ દ્વારા જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકની 23 એપ્રિલના રોજ ચૂંટણી યોજવાની જાહેરાત કરાઈ છે. 

જામનગર ગ્રામ્યના કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ તાજેતરમાં જ ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી હતી. તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. આ અગાઉ , માણાવદર બેઠક પરથી કોંગ્રેસમાંથી ચૂંટાયેલા જવાહર ચાવડા ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. ધ્રાંગધ્રા વિધાનસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ સાબરિયા પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને સોમવારે ભાજપમાં જોડાયા હતા. જેના કારણે આ બંને બેઠક ખાલી પડી હતી. 

આ ઉપરાંત, ઊંઝા બેઠકના ઉમેદવાર આશા પટેલે રાજીનામું આપતા એ બેઠક ખાલી પડી હતી, જ્યારે તાલાલા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ભગવાન બારડ ગેરલાયક ઠરતાં અધ્યક્ષ દ્વારા તેમને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરાયા હતા. આ કારણે તાલાલા બેઠક પણ ખાલી પડી હતી. 

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની તારીખોની સાથે-સાથે ઊંઝા અને તાલાલા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજવાની જાહેરાત કરાઈ હતી. જોકે, જામનગર ગ્રામ્ય,  માણાવદર અને ધ્રાંગધ્રાની બેઠકનો ચૂંટણી કાર્યક્રમમાં સમાવેશ કરાયો ન હતો. આથી, હવે ગુરુવારે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા સવારે માણાવદર અને ધ્રાંગધ્રા બેઠકની પેટા ચૂંટણીની તારીખો અને સાંજે જામનગર ગ્રામ્ય બેઠકની લોકસભાની ચૂંટણી પણ લોકસભા ચૂંટણી 2019ની સાથે જ યોજવાની જાહેરાત કરી છે. 

જામનગર ગ્રામ્ય બેઠકની પેટાચૂંટણીનો કાર્યક્રમ

  • 28 માર્ચઃ જાહેરનામું બહાર પડશે
  • ૪ એપ્રિલઃ ફોર્મ ભરવાનું થશે શરૂ
  • 8 એપ્રિલઃ ફોર્મ પાછા ખેંચવાની અંતિમ તારીખ
  • 23 એપ્રિલઃ મતદાન
  • 23 મેઃ મતગણતરી 

આ રીતે, હવે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોની સાથે રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકો (ઊંઝા, તાલાલા, માણાવદર, ધ્રાંગધ્રા, જામનગર ગ્રામ્ય) માટે પણ પેટા ચૂંટણી યોજાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news