ગુજરાતનું રખડતું ‘રાજ’ : મુખ્યમંત્રીના કાફલામાં ઘૂસી ગયા બે આખલા, ગઈકાલે નીતિન પટેલને કર્યા હતા ઘાયલ 

Street Animal Attack : એક જ દિવસમાં સરકારના બે નેતાઓને રખડતા ઢોરોનો આતંકનો સામનો કરવો પડ્યો. કડીમાં નીતિન પટેલ પર રખડતી ગાયે હુમલો કર્યો, તો સાંજે પોરબંદરમાં મુખ્યમંત્રીના કાફલામાં આખલા ઘૂસી ગયા હતા!

ગુજરાતનું રખડતું ‘રાજ’ : મુખ્યમંત્રીના કાફલામાં ઘૂસી ગયા બે આખલા, ગઈકાલે નીતિન પટેલને કર્યા હતા ઘાયલ 

અજય શીલુ/પોરબંદર :ગુજરાતમાં રખડતા ઢોરોનો આતંક કેટલો અને કેવો છે તે હવે જઈને સરકારને ખબર પડી રહી છે, જ્યારે તેઓ ખુદ રખડતા ઢોરોનો શિકાર બની રહ્યાં છે. ગઈકાલે રખડતી ગાયે પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને અડફેટે લીધા હતા, જેમાં તેઓ ઘાયલ થયા હતા. ત્યારે હવે મુખ્યમંત્રીના કાફલામાં આખલા ઘૂસી જવાની ઘટના બની છે. 

આખલા પસાર થઈ  જતા અકસ્માત ટળ્યો
ગુજરાતના રસ્તાઓ પર રખડતાં ગાય-આખલાઓને કારણે અવાર-નવાર અકસ્માત સર્જાતા હોય છે. ગઈકાલે કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલને રખડતા ઢોરો હડફેટે લેતા તેઓને હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. ત્યારે એ જ દિવસે રખડતા ઢોર મુખ્યમંત્રીના કોન્વોયમાં પણ ઘૂસી ગયા હતા. ગઈકાલે પોરબંદરમા હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત પોરબંદર પહોંચેલા મુખ્યમંત્રીના કોન્વોય વચ્ચે બે આખલાઓ ઘુસી ગયા હતા. જોકે કોન્વેયમાં આ આખલાઓ અથડાયા ન હોવાથી અકસ્માત ટળ્યો હતો. તિરંગા યાત્રા પૂર્ણ કરી કોન્વેય પરત ફરી રહ્યો હતો ત્યારે યુગાન્ડા રોડ પર આ ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ પોરબંદર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં રેઢિયાળ ઢોર રસ્તે રઝળતા જોવા મળી રહે છે.

ગઈકાલે નીતિન પટેલ થયા હતા ઘાયલ
ગઈકાલે મહેસાણાના કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત કાર્યકરો અને આગેવાનો તિરંગા સાથે યાત્રામાં જોડાયા હતા, ત્યારે અચાનક દોડતી આવેલી એક ગાય ભીડમાં ઘૂસી ગઈ, ગાયે નીતિન પટેલ સહિત કેટલાક લોકોને અડફેટે લીધા. ગાયની ટક્કર વાગતા નીતિન પટેલ રસ્તા પર પટકાયા. તેમને ઢીંચણના ભાગે ઈજા પહોંચી, અફરા તફરી મચી ગઈ હતી. ટણના ભાગે ઈજા થતા નીતિન પટેલને તુરંત કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. હોસ્પિટલમાં પગનો એક્સ રે કરાવ્યો તેમાં ઢીંચણના ક્રેક થઈ છે. સિટી સ્કેન કરાવતા ડોક્ટરે 20 દિવસનો આરામ કરવા સૂચવ્યું છે. 

રાજ્યમાં રખડતાં ઢોરનો ત્રાસ લાંબા સમયથી યથાવત છે. ગુજરાતમાં તમામ જગ્યાએ ઢોરનો ત્રાસ જોવા મળે છે. આવા તો અનેક કિસ્સાઓ છે, પરંતુ જ્યારે કોઈ નેતા સાથે આવુ બને છે ત્યારે જ ઘટનાઓ ચર્ચામાં આવતી હોય છે. પરંતું સવાલ એ છે કે, આખરે આ આખલાઓથી કે રખડતાં ઢોરના આતંકથી આઝાદી ક્યારે મળશે?
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news