ભાજપના ગળે હાડકું ભરાયું : ઈધર ખાઈ ઉધર કુઆ જેવી સ્થિતિ, પાટીદારોને સાચવવામાં ક્ષત્રિય વોટ ગુમાવશે

Rupala Controversy : રૂપાલાના નિવેદનમાં વિવાદમાં ભાજપ બરાબરનું ભેરવાયું છે, ક્ષત્રિયો માટે આ ભલે સ્વમાનની લડાઈ, પરંતુ ભાજપ માટે વટનો સવાલ બન્યો છે, ગમે તે એકને મનાવવા જતા બીજાના નારાજગી વ્હોરવાનો વારો આવવાનો છે 

ભાજપના ગળે હાડકું ભરાયું : ઈધર ખાઈ ઉધર કુઆ જેવી સ્થિતિ, પાટીદારોને સાચવવામાં ક્ષત્રિય વોટ ગુમાવશે

Loksabha Election 2024 : રૂપાલા વિવાદ મુદ્દે ક્ષત્રિય સમાજે ભાજપને આપેલું અલ્ટીમેટમ પૂર્ણ થતાં આંદોલનની નવી રણનિતી ઘડી છે. ગઈકાલે અમદાવાદના ગોતા ખાતે ક્ષત્રિય સમાજની સંકલન સમિતીની બેઠક મળી હતી. જેમાં ક્ષત્રિય સમાજની 92 સંસ્થાના પ્રતિનિધિઓની હાજર રહ્યા હતા. રૂપાલા વિવાદનો હજુ અંત નથી આવ્યો અને ભાજપે રૂપાલાની ટિકિટ પરત પણ ખેંચી નથી, એટલે ક્ષત્રિયોએ તલવાર તાણી છે. રાજપૂત સંકલન સમિતિએ હવે રાજ્યભરમાં ભાજપનો વિરોધ કરવાની રણનીતિ બનાવી લીધી છે. ત્યારે ક્ષત્રિયોનો આ વિરોધ ભાજપના ટાર્ગેટને મોટી અસર કરી શકે છે. 

  • રૂપાલાના નિવેદનમાં વિવાદમાં ભાજપ બરાબરનું ભેરવાયું
  • ક્ષત્રિયો સ્વમાનની લડાઈ, પરંતુ ભાજપ માટે વટનો સવાલ 
  • પાટીલના પાંચ લાખના માર્જિન સાથેની જીતના ટાર્ગેટ પર મોટી અસર
  • ક્ષત્રિયોની ભાજપ માટેની નારાજગી કોંગ્રેસને સીધો ફાયદો કરાવશે
  • ભાજપ હાલ પાટીદારોને સાચવવાના મૂડ તરફ
  • હવે કોણ પીછેહઠ કરે છે તે પિક્ચર બે દિવસમાં ક્લિયર થઈ જશે

ક્ષત્રિયોની સ્વમાનની લડાઈ, ભાજપનો વટનો સવાલ
ભાજપ કોઈ પણ જોખે ક્ષત્રિય સમાજ સામે નમતુ જોખવાના મૂડમાં નથી. ભાજપ રૂપાલાને નહિ બદલે એ તો ફાઈનલ છે. આ રીતે ભાજપે પોતાનો વટ રાખ્યો છે, પરંતુ તેની સામે ભાજપના વોટને મોટી અસર પડશે. એક તરફ ભાજપ 26 એ 26 બેઠક અંકે કરવાના અને દરેક બેઠક પર 5 લાખની લીડ સાથે જીતવાના ટાર્ગેટ સેટ કરીને બેઠું છે. પરંતુ હવે લાગે છે કે રૂપાલા વિવાદથી ભાજપનો આ ટાર્ગેટ તૂટી શકે છે. ક્ષત્રિયો સ્વમાનની લડાઈ લડી રહ્યા છે, પરંતુ ભાજપ માટે હવે આ વટનો સવાલ બન્યો છે. ભાજપ હાઈકમાન્ડ કોઈ કાળે નમતુ જોખવા તૈયાર નથી. 

ભાજપને કેટલી અસર થશે 
રૂપાલાના નિવેદનમાં વિવાદમાં ભાજપ બરાબરનું ભેરવાયું છે. હવે ભાજપ માટે ઈધર કુઆ ઉધર ખાઈ જેવી સ્થિતિ બની છે. ભાજપને રૂપાલા કેસમાં સામેથી ક્ષત્રિયોની નારાજગી વહોરી લીધી છે. જેને કારણે ક્ષત્રિય મતવિસ્તારમાં વિરોધી માહોલ પેદા થયો છે. આ કારણે ભાજપના ઉમેદવારો ક્ષત્રિય મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરવા જઈ શક્તા નથી, અને જાય તો તેમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતમાં અંદાજે 70 લાખ ક્ષત્રિય મતદારો છે. જોકે, આ મતબેંકની અસર ભાજપની જીત પર એટલી ન થાય. પરંતું પાટીલના પાંચ લાખના માર્જિન સાથેની જીતના ટાર્ગેટ પર મોટી અસર કરશે. ક્ષત્રિયો ભાજપના ઉમેદવારની જીતની માર્જિન પર અસર કરી શકે છે. આ સાથે જ ક્ષત્રિયોની ભાજપ માટેની નારાજગી કોંગ્રેસને સીધો ફાયદો કરાવશે. 

ગુજરાતમાં કઈ બેઠક પર ક્ષત્રિયોનું પ્રભુત્વ

  • ખેડા - 15 ટકા
  • આણંદ - 12 ટકા
  • સુરેન્દ્રનગર - 11 ટકા
  • કચ્છ - 10 ટકા
  • ભાવનગર - 10 ટકા
  • રાજકોટ - 7 ટકા
  • સાબરકાંઠા - 6 ટકા
  • વડોદરા - 6 ટકા

ભણતર કરતા ગણતર વધારે ચડિયાતું સાબિત થયું, વર્લ્ડ લીવર ડેના દિવસે થયું 150 મું અંગદાન

ક્ષત્રિયોને સાચવશે, તો પાટીદારો ગુમાવશે
ભાજપે આ વાત પર જોર આપ્યુ છે કે, રૂપાલા ને હટાવવામાં નહિ આવે. કેન્દ્રીય મંત્રી જેવા દિગ્ગજ નેતાની ટિકિટ પરત ખેંચવાથી પાર્ટીને નુકસાન થશે. આ નુકસાનને પાર્ટી કોઈ પણ કિંમતે બચાવવા માંગે છે. તેનાથી ગુજરાતમાં 14 થી 16 ટકા પાટીદાર મતદાર નારાજ થઈ શકે છે. જેની અસર રાજ્યની સાત લોકસભા સીટ પર પડશે. તેનાથી વિપરીત ક્ષત્રિય વોટ 5-6 ટકા છે અને 26 સીટમાંથી કોઈ પણ નિર્ણાયક પ્રભાવ પાડી શક્તા નથી. ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું છે, અને રૂપાલાના વધતા વિવાદને વચ્ચે ભાજપનો ચૂંટણી પ્રચાર ચાલુ છે. 

હાલ ભાજપ માટે પાટીદાર અને ક્ષત્રિય બંને મજબૂત વોટબેંક છે. પરંતુ રૂપાલાની ટિકિટ પાછી લેવાય તો પાટીદારો નારાજ થાય. તેથી ભાજપ હાલ પાટીદારોને સાચવવાના મૂડ તરફી દેખાઈ રહ્યું છે. પરંતુ સ્થિતિ એવી છે કે, પાટીદારોને સાચવવામા ક્ષત્રિયોને ગુમાવવાનો વારો આવી શકે છે. એક જોતા એક કહી શકાય કે, રૂપાલા વિવાદને કારણે ભાજપના ગળે હાડકુ ભરાયું છે. ત્યારે હવે કોણ પીછેહઠ કરે છે તે પિક્ચર બે દિવસમાં ક્લિયર થઈ જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news