રોજ એસટી બસમાં મુસાફરી કરતા 25 લાખ જેટલા મુસાફરો માટે ગુડ ન્યૂઝ

FM Channel In ST Bus : ગુજરાત સરકાર એસટી બસમાં એફએમ ચેનલ શરૂ કરવા જઈ રહી છે, જેમાં મનોરંજનની સાથે સરકારી યોજનાઓનો પણ પ્રચાર પ્રસાર કરવામા આવશે 
 

રોજ એસટી બસમાં મુસાફરી કરતા 25 લાખ જેટલા મુસાફરો માટે ગુડ ન્યૂઝ

Gujarat News : ગુજરાતભરમાં રોજ લાખો લોકો એસટી બસમાં મુસાફરી કરતા હોય છે. લગભગ રોજ 25 લાખ જેટલા મુસાફરો એસટી બસનો લાભ રોજ લે છે. ત્યારે આ મુસાફરી વધુ સારી નિવડે તેવો પ્રયોગ હવે એસટી તંત્ર દ્વારા થવા જઈ રહ્યો છે. થોડા સમય પહેલા અનેક એસટી બસોમાં ટીવી લગાવવામાં આવ્યા હતા. ત્યારે હવે મુસાફરોના મનોરંજન માટે એસટી બસોમા એફએમ ચેનલ શરૂ કરવામાં આવનાર છે. 

આ એક નવતર પ્રયોગ છે. જેમાં ગુજરાત સરકારે એસટી બસોમાં પોતાની એફએમ ચેનલ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ એફએમ ચેનલના માધ્યમથી સરકારની વિવિધ જનતાલક્ષી યોજનાઓની માહિતી રાજયની પ્રજા સુધી પહોંચાડવામાં આવશે.

મુસાફરીમાં જ મ્યૂઝિક હોય તો વાત જ કંઈક અલગ હોય છે. મુસાફરી દરમિયાન લોકો મ્યૂઝિક સાઁભળવાનું વધુ પસંદ કરે છે. પરંતુ દરેક લોકો પાસે મોબાઈલ હોય અને મ્યુઝિકની સુવિધા ઉપલબ્ધ હોય તે જરૂરી નથી. આવામાં ગુજરાત સરકારે એસટી બસના મુસાફરોને મનોરંજન પૂરુ પાડવાનું નક્કી કર્યું છે. આ એક મનોરંજન ચેનલ હશે તેમ છતાં તેના પ્રસારણમાં સૌથી વધુ ભાર સરકારી યોજનાઓના પ્રચાર પ્રસાર ઉપર આપવામાં આવશે. 

હાલ સમગ્ર ગુજરાતમાં અંદાજે 25 લાખ લોકો એસટી બસોમાં મુસાફરી કરે છે અને દરરોજ 8000 બસ રોડ ઉપર દોડે છે તેથી વિશાળ જનસમુહ સુધી પહોંચવા માટે આ માધ્યમ સૌથી વધુ અસરકારક બની રહેશે. રાજય સરકાર દ્વારા હાલ ઘણી યોજનાઓ ચાલી રહી છે. જેમાં મા અમૃતમ યોજના, ફસલ બીમા યોજના, શૈક્ષણિક યોજનાઓનો સમાવેશ થાય છે.

આ ચેનલ શરૂ કરવા પાછળ સરકારનો ચોક્કસ હેતુ છે. જેમાં આ ચેનલની મદદથી ખૂબ મોટી સંખ્યામાં લોકો સરકારી યોજનાઓની માહિતી મેળવી શકશે ને તેનો લાભ ઉઠાવી શકશે. હાલ રાજય સરકાર એસટી બસો ઉપર મોટા મોટા બાર્ડ ચોંટાડીને પોતાની યોજનાનો પ્રચાર કરે છે. જો કે બસમાં મુસાફરો સુધી સરળતાથી પહોંચવા રેડીયોનો ઉપયોગ કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news