'જો તું ચરિત્રવાન હોય તો પતિના મોત બાદ કેમ સતી થઈ નહિ', યુવતીએ નદીમાં ભૂસકો માર્યો

અમદાવાદના રિવરફ્રન્ટ પર મહિલાના આત્મહત્યા અંગે થયો ખુલાસો, અજાણી મહિલાની ઓળખ થતા મહિલાને ચારિત્ર્યહીન અને સતી થવાના દબાણથી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું.

'જો તું ચરિત્રવાન હોય તો પતિના મોત બાદ કેમ સતી થઈ નહિ', યુવતીએ નદીમાં ભૂસકો માર્યો

મૌલિક ધામેચા/અમદાવાદ: સદીઓ પહેલાનાં સમયમાં પતિના મોત બાદ સતી થવાનો રિવાજ હતો. પરંતુ આજના યુગમાં હવે પતિના મોત બાદ સતી થવાનું એક કહેવત સ્વરૂપે ગણવામાં આવે છે. તેમ છતાં એક મહિલાએ પતિના મોત બાદ આપઘાત કર્યો અને તેની ડાયરીમાં તેણે સતી થવાનો ઉલ્લેખ કર્યો હતો. જોકે આ યુવતીની સુસાઈડ નોટ પરથી યુવતીના આપઘાત પાછળના અનેક હકીકતો સામે આવી છે. કોણ છે આ આપઘાત કરનારી યુવતી અને શું લખ્યું છે. 

રાજા મહારાજાઓ સમયમાં સતી પ્રથા એટલેકે પતિના મૃત્યુ બાદ પત્નીએ પણ દેહત્યાગ કરવાની રિવાજ હતો પરંતુ સમય જતાં આ રિવાજ બંધ થવા લાગ્યો હતો. પરંતુ આજે પણ લોકો કોઈને મેણાંટોના મારવા સતી થવાનો શબ્દપ્રયોગ કરતા હોય છે અને આજ સતી થવાના શબ્દો તેમજ અન્ય બાબતોની તકરારને કારણે એક યુવતીએ પોતાનો જીવ આપી દિધો.

— Zee 24 Kalak (@Zee24Kalak) May 20, 2023

સમગ્ર ઘટના એવી છે કે સુરતમાં રહેતી સંગીતા નામની યુવતીના લગ્ન વર્ષ 2017માં વિષ્ણુજી નામના યુવક સાથે થયાં હતાં. યુવતી કોમ્પ્યુટર એન્જિનિયર હતી અને વધુ અભ્યાસ માટે રહેતી હતી. જે દરમ્યાન તેના પતિ વિષ્ણુજીનું રાજસ્થાનમાં કાર અકસ્માતમાં મોત થયું હતું. સંગીતના પતિનું મોત થતાં તેને 54 લાખ રૂપિયા વીમાના મળ્યા હતા. તેમજ વિષ્ણુજીનું મકાન પણ સંગીતાને મળ્યું હતું. પૈસાની રકમ અને મકાનને લઈને સંગીતના સાસરિયાં પક્ષ દ્વારા તેને હેરાન કરવામાં આવતી હતી અને તેના ચરિત્ર પર શંકા કરી શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જેથી સંગીતાને લાગી આવતા તે સુરતથી અમદાવાદ પહોંચી આપઘાત કર્યો હતો.

દસ દિવસ પહેલા અમદાવાદ રિવરફ્રન્ટ પરથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીના પરિવારજનો તેની શોધખોળ કરતા અમદાવાદ પહોચ્યા હતા અને યુવતીની ઓળખ થઈ હતી. યુવતીના પિતાએ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. જેમાં યુવતી સંગીતને તેના પતિના મૃત્યુ બાદ તેના સાસરિયાં પક્ષના લોકો પૈસા અને મકાન બાબતે ત્રાસ આપતા હતા. જેથી યુવતી પિયરમાં રહેવા આવી ગઈ હતી. જેના થોડા સમય બાદ દેરના લગ્ન હોવાથી થોડા સમય માટે સાસરે ગઈ હતી. ત્યારે પણ સાસુ તેમજ અન્ય લોકો તેના ચરિત્ર પર શંકા કરતા હતા અને ત્રાસ આપતા હતા. 

યુવતી પિયરમાં આવી ત્યારે સુરતના એક ખાનગી મોલમાં નોકરી કરતી હતી. જે બાદ તે અચાનક 10 તારીખે ઘરે પરત ફરી નહોતી. જોકે પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી. યુવતીના આખરી મોબાઈલ લોકેશનને આધારે અમદાવાદ રીવરફ્રન્ટ વિસ્તારમાં હોવાનું સામે આવતા પરિવારજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. 

જોકે યુવતીએ આપઘાત કરતાં પહેલાં તેના ભાઈને એક ઓડિયો મેસેજ મોકલ્યો હતો. જેમાં મમ્મી પપ્પાને સોરી કહેતો મેસેજ હતો. જે બાદ યુવતી પાસેથી એક ડાયરી મળી હતી જેમાં તેણે સુસાઈડ નોટ લખી હતી. આ નોટમાં તેણે સાસરિયાંનાં નામ સાથે ઉલ્લેખ કરી ત્રાસ આપતા હોવાની વિગતો લખી હતી તેમજ "જો તું ચરિત્રવાન હો તો તારા પતિના મોત બાદ કેમ સતી થઈ નહિ" તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 

જોકે આ નોટ રાજસ્થાની ભાષામાં લખવામાં આવી હતી. યુવતીએ સાસુ કૈલાશદેવી, દિયર પંકજ સહિત અન્ય સાસરીયાઓના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો. મૃતક યુવતીના પિતા અને સુસાઈડ નોટના આધારે પોલીસે યુવતીના સાસરિયાના પાંચ સભ્યો વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news