અમદાવાદમાં AMCના ડમ્પરે કેવી રીતે વર્તાવ્યો જીવલેણ કહેર? 6 વાહનોને લીધા અડફેટે, 1નું મોત

શહેરમાં જ્યાં રખડતાં ઢોર અને શ્વાનની સમસ્યાથી લોકો ત્રસ્ત છે, ત્યાં રસ્તા પર યમદૂત બનીને દોડતાં ડમ્પરની સમસ્યા હજુ ઠેરની ઠેર છે. જશોદાનગર પાસે AMCનું ડમ્પર લઈને જતો એક ડ્રાઈવર બેફામ બન્યો અને કેટલાક વાહનોને અડફેટે લઈ લીધાં.

અમદાવાદમાં AMCના ડમ્પરે કેવી રીતે વર્તાવ્યો જીવલેણ કહેર? 6 વાહનોને લીધા અડફેટે, 1નું મોત

હિતેન વિઠલાણી/અમદાવાદ: શહેરમાં જ્યાં રખડતાં ઢોર અને શ્વાનની સમસ્યાથી લોકો ત્રસ્ત છે, ત્યાં રસ્તા પર યમદૂત બનીને દોડતાં ડમ્પરની સમસ્યા હજુ ઠેરની ઠેર છે. જશોદાનગર પાસે AMCનું ડમ્પર લઈને જતો એક ડ્રાઈવર બેફામ બન્યો અને કેટલાક વાહનોને અડફેટે લઈ લીધાં. આ અકસ્માતમાં 29 વર્ષના એક યુવાને જીવ ગુમાવ્યો. રસ્તા પર તમે વાહન લઈને જતા હોવ, ત્યારે એવું માની લેવાની જરૂર નથી કે તમારી ભૂલ વિના અકસ્માત નહીં થાય. કોઈ બેફામ ડમ્પર આવીને વાહનોને અડફેટે લઈ શકે છે. અમદાવાદના જશોદાનગર ચાર રસ્તા પાસે એક દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં સવારના સમયે ટ્રાફિક જામ હતો. ત્યાં અચાનક કચરો લઈને જતું AMCનું ડમ્પર યમદૂત બનીને ધસી આવે છે અને કેટલાક વાહનોને અટફેટે લઈ લે છે.

ડમ્પરચાલકે 2 કાર, રિક્ષા અને 3 બાઈકને ટક્કર મારી. ભારેભરખમ ડમ્પરની ટક્કર એટલી શક્તિશાળી હતી કે ટક્કર બાદ એક કારની તો દિશા બદલાઈ ગઈ. વાહનો 100 ફૂટ સુધી ઢસેડાયા...ડમ્પરની અડફેટે આવેલા ટુ વ્હીલરનો તો કચ્ચરઘાણ નીકળી ગયો. અકસ્માતમાં ત્રણ વ્યક્તિને ઈજા થઈ છે, જ્યારે 29 વર્ષના યુવાનનું LG હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું. એક મહિલાનો હાથ કચડાઈ ગયો છે. 

અકસ્માત બાદ લોકોએ ડમ્પરચાલક પર પથ્થરમારો કર્યો હતો. તે ભાગવાં જતો હતો ત્યાં લોકોએ તેને ઝડપી પાડ્યો, મેથી પાક આપવાની પણ કોશિશ કરી, જો કે પોલીસે ડ્રાઈવરને બચાવી લીધો અને પોતાની સાથે લઈ ગઈ. આ અકસ્માતમાં ભૂલ દેખીતી રીતે ડમ્પરચાલકની છે. જો કે સ્થાનિકોનું માનીએ તો જશોદાનગર ચાર રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ ચાલુ કરવામાં ન આવતા અવારનવાર અકસ્માત સર્જાય છે...ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ લોકો સવાલ ઉઠાવે છે..

AMCના એક ડ્રાઈવરના બેફામ ડ્રાઈવિંગને કારણે એક આશાસ્પદ યુવાને જીવ ગુમાવવાનો વારો આવ્યો. એક પરિવારે પોતાનો આધાર ગુમાવી દીધો. શ્માયલ ચાર રસ્તા પાસે રહેતાં 29 વર્ષના નિશીથ ભાવસાર વટવામાં ફેક્ટરી ચલાવતા હતા. દરરોજની જેમ તેઓ મંગળવારે સવારે પણ ટુ વ્હીલર પર ઓફિસ જઈ રહ્યા હતા, જો કે મંગળવાર તેમના માટે અમંગળ સાબિત થયો.. નજીકના સમયમાં તેમના લગ્ન થવાના હતા, જો કે કમનસીબી એ છે કે માતાપિતાએ પોતાનો દિકરો જ કાયમ માટે ગુમાવી દીધો.

એવું નથી કે ડમ્પરને કારણે આ પહેલો અકસ્માત સર્જાયો છે. શહેરમાં ડમ્પર અવારનવાર અકસ્માત સર્જતા રહે છે. પછી તે ખાનગી હોય કે તંત્રની માલિકીના. તંત્ર ડમ્પર માટે સ્પીડ અને સમય મર્યાદા તો બાંધી દે છે, પણ તેનું પાલન થાય છે કે કેમ તે જોવાની તસ્દી નથી લેતું. તેનું જ પરિણામ છે જશોદાનગર જેવી દુર્ઘટનાઓ. ડમ્પરનો ડ્રાઈવર નશામાં હતો કે પછી વાહનમાં કોઈ ખામી હતી, એ તો તપાસ બાદ જ સામે આવશે. પણ ત્યાં સુધી તંત્રએ જાગી જવાની જરૂર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news