સોયથી સોફા સુધી અહીં મળે છે સૌથી સસ્તામાં સૌથી સારી વસ્તુઓ! આ છે અમદાવાદની જૂની બજારો

Ahmedabad Old Bazar: અમદાવાદના જૂના અને જાણીતા બજારોની એક ઝલક, જ્યાં તમને મળશે તમારા બજેટમાં મનગમતી વસ્તુઓનો ખજાનો...એવી કોઈ વસ્તુ નથી જે તમને અહીં નહીં મળે...દિલ્લીના બજારની જેમ અમદાવાદની આ બજારોનો પણ એક અનોખો ઈતિહાસ છે....

સોયથી સોફા સુધી અહીં મળે છે સૌથી સસ્તામાં સૌથી સારી વસ્તુઓ! આ છે અમદાવાદની જૂની બજારો

Ahmedabad Old Markets: વર્ષો પહેલાં અમદાવાદ તેના 12 દરવાજાની અંદર ધબકતું હતું. સમયની સાથે અમદાવાદ બદલાયું અને તેનો વિસ્તાર અને વ્યાપ વધ્યો. જોકે, અમદાવાદના જૂના બજારો તેની ઓળખ છે. આજે ભલે મેગાસિટી અમદાવાદમાં મોલ કલ્ચર આવી ગયું હોય. તેમ છતાં આજે પણ ઘરવખરીથી માંડીને ઝવેલરી સુધીની તમામ ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં લોકો અમદાવાદના આજ જૂના બજારોમાં શોપીંગ કરવા જવાનું પસંદ કરે છે. અમદાવાદના કયા બજારમાં કઈ વસ્તુ મળે છે તેની વિગતવાર માહિતી પણ જાણો આ આર્ટીકલમાં.

અમદાવાદ આ માત્ર નામ નથી પરંતુ વાઈબ્રન્ટ ફેબ્રિક, ફંકી જ્વેલરી, પારંપરિક હસ્તકળા સહિતની વસ્તુઓ સાથે ધબકતું શહેર છે. અમદાવાદને એક સમયે ભારતનું માનચેસ્ટર કહેવામાં આવતુ હતું. પરિવર્તનના યુગ સાથે અમદાવાદમાં પણ ઘણા બદલાવ આવ્યા પરંતુ આજે પણ અહીં કેટલાંક સ્થળ એવાં છે જે તેની જૂની ઓળખની સાથે વધુને વધુ જાજરમાન થઈ રહ્યાં છે.

1) રવિવારી બજાર-
અમદાવાદમાં એલિસબ્રિજ પાસે અને સાબરમતી નદીની પાસે આવેલા માર્કેટને રવિવારી બજાર તરીકે ઓળખવામાં આવે છે. રવિવારી બજારને ગુજરી બજાર તરીકે ઓળખવામાં આવે છે. અમદાવાદ શહેર બન્યા બાદ અહમદશાહ બાદશાહે 1414માં આ બજાર બનાવડાવ્યું હતું. જેને તે સમયે ખાસ બજાર તરીકે ઓળખવામાં આવતુ હતું. વિદેશથી આવતા વેપારીઓ પોતાનો માલ વેચવા માટે આ બજારમાં આવતા હતા. હાલના તબક્કે માત્ર રવિવારે જ ભરાતા માર્કેટમાં ઘરવખરીમાં વપરાતા ચપ્પાથી લઈને તલવાર સુધીની વસ્તુઓ મળી રહે છે. ઘરના રાચરચીલા માટે એન્ટિક વસ્તુ, ઘડિયાળ, મેકઅપનાં સાધનો, જિમનાં સાધનો જેવી અનેક વસ્તુઓ અને તે પણ નજીવા ભાવે મળી રહે છે. રવિવારી બજાર માટે એક વાત કહેવાય છે કે, સાબરમતીના તટ પાસે ભરાતું રવિવારી બજાર અલ્લાદિનના ચિરાગથી ઓછુ બિલકુલ પણ નથી, તમારામાં જો વસ્તુ પારખવાની અને મોલભાવ કરવાની તાકાત હોવી જરૂરી છે.

2) લાલ દરવાજા, ત્રણ દરવાજા-
સૌથી વહેલા વાત કરીએ અમદાવાદમાં પ્રખ્યાત લાલ દરવાજાની, જેને ત્રણ દરવાજા અને ભદ્રના નામે પણ ઓળખવામાં આવે છે. વિશ્વ વિખ્યાત ત્રણ દરવાજાનું નિર્માણ ઈસ 1415માં બાદશાહ અહમદ શાહે કરાવ્યું હતું. બારે માસ ભીડભાડમાં ઘેરાયેલું રહેતું લાલ દરવાજા માર્કેટ અમદાવાદનું શોપિંગ હબ છે. આ બજારની ખાસિયત એ છે કે, તે અઠવાડિયાના સાતેય દિવસ ખુલ્લું રહે છે. અહીં તમને સાડી, ફેબ્રિક, શૂઝ, કલરફૂલ સ્કર્ટ, પર્સ, દુપટ્ટા, કટલરી, ઘરવખરીથી માંડીને રોજિંદા જીવનની તમામ ચીજ વસ્તુઓ સરળતાથી મળી રહે છે. લાલ દરવાજામાં ખરીદવા માટે એક મુખ્ય શરત છે, કે તમને મોલ-ભાવ કરતાં આવડવું જરૂરી છે. અહીં તમને ખૂબ જ સસ્તા ભાવમાં અને સારી વસ્તુ મળી રહે છે. તમારા ઘરમાં જો કોઈ લગ્નપ્રસંગ કે જિયાણું આવવાનું હોય તો આ માર્કેટની મુલાકાત ચોક્કસથી લેજો. ગેરંટી સાથે તમને ઓછા બજેટમાં સારી વસ્તુઓ મળી જશે.

3) રાણીનો હજીરો-
રાણીના હજીરાના નામે ઓળખાતું બજાર અમદાવાદના સુંદર બજારમાંથી એક છે. હકીકતમાં અહીં બાદશાહ અકબર અને તેમની બેગમોની દરગાહ આવેલી છે. તેના પરથી આ જગ્યાનું નામ રાણીના હજીરાના નામે પ્રસિદ્ધ થયું. અહીં બારે માસ મહિલાઓની ભીડ ઉમટેલી રહે છે. રાણીના હજીરામાં મહિલાઓનાં કપડાં, જ્વેલરી સહિતની વસ્તુઓ મળે છે. જો તમે ટ્રેડિશનલ ઝુમકાના શોખીન છો તો આ જગ્યા તમારા માટે બેસ્ટ છે. તમને અહીં ટ્રેડિશનલ ચણિયાચોળી પણ મળી રહેશે. રાણીના હજીરામાં મળતી ઓક્સોડાઈઝની જ્વેલરી ઓનલાઈન શોધવાથી પણ ન મળે તે પ્રકારની બેસ્ટ હોય છે. આ સિવાય તમને અહીં કલરફૂલ ફેબ્રિક અને તે પણ સસ્તું અને સારુ મળી રહે છે. ફક્ત મશરૂમ અને અજરખ જેવાં મોંઘાંદાટ હાથવણાટનાં કાપડ એક સાથે અધધ.. વેરાયટીમાં મળે છે.  અમદાવાદની આ અનોખી જગ્યા કે, જે રાણીના હજીરાના નામથી ઓળખાય છે ત્યાંથી શોપિંગ કર્યા બાદ મહિલાઓ પણ રાણી જેવી અનુભૂતિ કરે છે. રાણીના હજીરાની શરૂઆતમાં વિવિધ પ્રકારના મુખવાસની દુકાનો આવેલી છે.

4) રતનપોળ માર્કેટ-
રતનપોળ માર્કેટ લગ્નની ખરીદી માટેની અમદાવાદની બેસ્ટ જગ્યા છે. રતનપોળ માર્કેટ સાડી અને ચણિયાચોળી માટે પ્રખ્યાત છે. અહીં કચ્છી, રબારી, થ્રેડવર્ક, લખનઉની ચીકન સાડીઓની ખૂબ જ વેરાયટી મળે છે. ચણિયાચોળીમાં પણ જોઈએ તેટલી વેરાયટી મળી રહે છે. મારવાડી ચણિયાચોળી, વેલવેટ, નેટ, જરદોશી વર્ક જેવી ચણિયાચોળી ઉપલબ્ધ છે. અહીં રાજાથી લઈને રંક સુધી તમામ લોકોના ખિસ્સાને પરવડે તેવાં કપડાં મળી રહે છે. સાડી અને ચણિયાચોળી 500 રૂપિયાથી લઈને 5 હજાર રૂપિયા સુધીની મળે છે. લગ્ન માટે માટે પટોળાં, ઘરચોળું, બાંધણી જેવી સ્પેશિયલ વેરાયટી પણ છે. રતનપોળ માર્કેટમાં યુવકોની પણ પસંદને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. દુલ્હા માટે શેરવાની, સૂટ અને પાઘડીનું પણ સ્પેશિયલ કલેક્શન છે. આ સિવાય રતનપોળમાં લગ્નને ધ્યાનમાં રાખીને કટલરીની અને જ્વેલરીની પણ દુકાનો આવેલી છે. આ જ્વેલરી શોપમાં 24 કેરેટથી માંડીને 18 કેરેટ સુધીના સોનાના દાગીના મળે છે. આ સિવાય લગ્ન કે શુભપ્રસંગે વ્યવહાર સાચવવા માટે ચાંદીની વસ્તુ ખરીદવી હોય તો તેની પણ દુકાનો છે.

5) ઢાલગરવાડ-
આ કપડાં બજાર છે. આ બજાર અમદાવાદના સૌથી જૂનાં બજારોમાંથી એક છે. અહીં તમને કપડાંની અધધ. વેરાઈટી મળશે. વર્ષો પહેલાં સાબરમતી નદીના પટ પાસે એક નાનું કપડાંના ઢગલાનું બજાર ભરાતું હતું. ત્યારથી આ જગ્યાનું નામ ઢાલરવાડ પડી ગયું. અહીં તમને બાંધણી, સિલ્ક, કોટન પ્રિન્ટેડ, જયપુરી, હેન્ડવર્ક જેવી અલગ અલગ પ્રકારની સાડીઓ મળી રહેશે. આ સિવાય, સલવાર-સૂટ, ચણિયાચોલી, બેડશીટ અને બાળકો માટેના હોઝિયરી કપડાં પણ સરળતાથી મળી રહેશે. જો તમારી પાસે લિમિટેડ બજેટ છે તો ઢાલગરવાડ તમારા માટે શોપિંગ માટેની બેસ્ટ જગ્યા છે. ઢાલગરવાડમાં તમારી પસંદને અનુરૂપ કપડાં સિવડાવીને મિક્સ એન્ડ મેચ પણ કરી આપવાની સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ હા. મોલભાવ કરવામાં અને કપડાંની ગુણવત્તા પારખવામાં અવ્વલ રહેવું પડશે. નહીં તો છેતરાઈ જતાં વાર નહીં લાગે.

6) માણેકચોક-
માણેકચોક હકીકતમાં જૂના અમદાવાદનો સૌથી મોટો ચોક છે. બાદશાહ અહમદ શાહના સમયગાળામાં આ ચોકમાં પરંપરાગત મેળા ભરાતા અને જાહેર કાર્યક્રમો યોજાતા હતા. માણેકચોક અન્ય બજારોની સરખામણીએ અલગ છે. કારણ કે, તે સમયની સાથે રૂપ બદલે છે. એટલે કે, સવારના સમયે શાકમાર્કેટ બની જાય છે. બપોરથી મોડી સાંજ સુધી માણેકચોકમાં સોનીઓનો વેપાર ધમધમે છે અને જેવી રાત પડે છે કે તરત જ ખાઉગલી બની જાય છે. માણેકચોકમાં કેટલીક સોના-ચાંદીની દુકાનો નવી બની છે. જ્યારે કેટલીક દુકાનો પેઢીઓથી ચાલી આવે છે. આખો દિવસ વેપારીઓથી ધમધમેતા માણેકચોકની રંગત પણ સાંજ સાથે બદલાઈ જાય છે. માણેકચોકની ખાઉગલીમાં તમને ફાસ્ટફૂડનો રસથાળ મળી જાય છે. અહીં ભાજીપાઉં, સેન્ડવિચ, પિઝા, પાણીપુરી, રગડાપેટીસ, બાર્બેક્યૂ, ઢોંસા, આઈસક્રીમ જેવા ફાસ્ટફૂડ એક સાથે એક સ્થળ પર મળી રહે છે.

માણેકચોકનો ઈતિહાસ:
ઈતિહાસમાં જેટલો પ્રસિદ્ધ અમદાવાદનો ઈતિહાસ છે, તેટલો જ સમૃદ્ધ માણેકચોકનો ઈતિહાસ છે. માણેકચોક બાબા માણેકના નામ પરથી પડ્યું. એક પ્રખ્યાત લોકવાયકા મુજબ, જ્યારે બાદશાહ અહમદ શાહે અમદાવાદમાં નિર્માણકાર્ય શરૂ કર્યુ, ત્યારે એક વિચિત્ર ઘટના થતી. અમદાવાદનો કિલ્લો સવારે બને અને રાત્રે તેની જાતે જ તૂટી જતો. વારંવાર આમ થવાથી બાદશાહ પણ વિચારમાં પડી ગયો. તેમણે તપાસ કરાવી તો જાણ થઈ કે, બાબા માણેક નામે એક ફકીર હતા. તેઓ પોતાની ઝૂંપડીમાં દિવસ દરમિયાન સાદડી ગૂંથતા અને સાંજ પડે એટલે સાદડી છોડી દેતા હતા. બાબા માણેક જેવી સાદડી છોડે કે તરત કિલ્લાનું બાંધકામ તેની જાતે જ તૂટવા લાગ્યું. બાબા માણેકને કંઈક અલગ જ સિદ્ધિ પ્રાપ્ત થઈ હોવાથી આમ થતું હતું. આમ થતું અટકાવવા માટે બાદશાહ અહમદ શાહે બાબા માણેકની સિદ્ધિને નજરોનજર જોવાની ઈચ્છા વ્યક્ત કરી. અને તેમને આંખ સામે એક કાચની બોટલની અંદર જવાનું કહ્યું. આમ થતાંની સાથે જ બાદશાહે બોટલનું ઢાંકણું બંધ કરી દીધું અને અમદાવાદનો કિલ્લો ચણવાનું કામ શરૂ કરાવ્યું.
માણેકચોકમાં આજે પણ બાબા માણેકનો મકબરો છે. જ્યાં દર મંગળવારે શ્રદ્ધાળુઓ દુઆ કરવા આવે છે. ઐતિહાસિક અમદાવાદની પહેલીપોળ પણ માણેકચોકમાં બની. જે મુહૂર્ત પોળના નામે ઓળખાય છે.

7) પાનકોર નાકા રમકડાં માર્કેટ-
અમદાવાદના સૌથી જૂના માર્કેટમાંથી એક છે પાનકોર નાકા માર્કેટ. અહીં ઘર વપરાશની જરૂરી એવી લોખંડ અને પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ મળી રહે છે. આ સિવાય હાર્ડવેરને લગતા ટૂલ્સ અને વાંસની વસ્તુઓ પણ સસ્તા ભાવે મળી રહે છે. પાનકોર નાકાની બીજી ગલીને રમકડાં બજાર તરીકે ઓળખવામાં આવે છે. આ બજારમાં તમને રમકડાંની એટલી વેરાયટી મળશે જેટલી ઓનલાઈન શોપિંગમાં પણ નહીં મળે. અહીં હોલસેલમાં રમકડાંની ખરીદી પર તમને ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. અહીં પ્લાસ્ટિક, રિયાલિસ્ટિકથી માંડીને ઈલેક્ટ્રોનિક રમકડાં પણ મળી રહે છે.

8) કંસારા બજાર-
કંસારા બજાર વાસણોના ખરીદ-વેચાણ માટે જાણીતું છે. અહીં કાંસા અને જર્મનનાં વાસણો મળે છે. આ સિવાય નક્શીકામ કરેલા ઘડા, હિંચકાના સળિયા, એન્ટિક દીવા, ઘર સજાવટ માટે કલાત્મક મોર, પોપટ જેવી કૃતિઓ પણ સરળતાથી મળી રહે છે. કંસારા બજારમાં કેટલીક વર્ષો જૂની ફરસાણની દુકાનો પણ આવેલી છે. જે તેના વર્ષો જૂના સ્વાદના જાજરમાન વારસા સાથે આજે પણ ધમધમી રહી છે.  

9) રાયપુર દરવાજા-
અમદાવાદની સ્ટ્રીટ શોપિંગ નાસ્તો કર્યા વગર અધૂરી છે. રાયપુર ગેટ કે જ્યાં અમદાવાદનું જૂનુ ખાણીપીણી બજાર આવેલું છે. અહીં સ્વાદના રસિયાઓ માટે ભરપુર વેરાયટી ઉપલબ્ધ છે. દાસનાં ખમણ, રાયપુરનાં ભજીયાં, આસ્ટોડિયાના ફાલુદા અને અડદની જલેબી તો વિશ્વવિખ્યાત છે. મિત્રો અને પરિવાર સાથે નાસ્તો કર્યા બાદ આ સ્થળ જીવનભરનું શ્રેષ્ઠ સંભારણું બની જાય છે.

10) માધુપુરાનું મસાલા અને મોજડી માર્કેટ-
જો તમે મોજડી પહેરવાના શોખીન છો તો એક વાર દરિયાપુર દરવાજાની બહાર આવેલા માધુપુરાના મોજડી બજારની મુલાકાત જરૂરથી લેજો. અહીં તમને વિવિધ પ્રકારની મોજડીઓ મળી રહે છે. લગ્ન પ્રસંગ હોય તો...તો...ચોક્કસથી અહીં મોજડી ખરીદવા આવવું જોઈએ. લેધરની મોજડી આ માર્કેટનું આકર્ષણનું કેન્દ્ર છે. મોજડી ખરીદવા ઉપરાંત તમે અહીં તમારા પસંદની મોજડી બનાવી પણ શકો છો. મારવાડી, રજવાડી, લેધર, એમ્બ્રોડરી, ભરતકામ સહિતની એવરગ્રીન મોજડીઓ મળી રહે છે.

મોજડી માર્કેટની બીજીબાજુ મસાલાનું ખૂબ મોટું માર્કેટ આવેલુ છે. માધુપુરાના મસાલા ગુજરાતભરમાં પ્રખ્યાત છે. માધુપુરાનું મસાલા માર્કેટ 125 વર્ષ જૂનું છે. આ માર્કેટ પર પહેલાં મહાજન લોકોનો દબદબો રહેતો. તે સમયે મસાલાના ખરીદ-વેચાણ માટે શરાફી રાખવામાં આવતા હતા. વહેલી સવારથી મોડી રાત સુધી માર્કેટમાં ઊંટગાડાં અને ઘોડાગાડી પર મસાલાની હેરાફેરી થતી હતી. આજે પણ મસાલા માર્કેટમાં કેટલીક દુકાનો એવી છે જેનો કારોબાર ચોથી પેઢી સંભાળી રહે છે. અહીં એક સાથે મસાલાની અલગ-અલગ વેરાયટી મળી રહે છે. મસાલા ઉપરાંત, ખાંડ, ગોળ અને સૂકામેવાનો પણ મોટો કારોબાર ધમધમે છે.

11) ફર્નાન્ડિઝ બ્રિજ-
અમદાવાદ પાસે જ્ઞાનનો પણ અદભુત વારસો છે. તેનું જીવતું જાગતું ઉદાહરણ છે, ફર્નાન્ડિઝ બ્રિજ નીચે આવેલું પુસ્તક બજાર. હકીકતમાં પહેલાંના સમયે ફર્નાન્ડિઝ બ્રિજ નીચે સાબરમતી નદી વહેતી હતી. પરંતુ કાળના પ્રભાવે સાબરમતીનો પટ ફર્નાન્ડિઝ બ્રિજથી દૂર થતો ગયો. ફર્નાન્ડિઝ બ્રિજ અમદાવાદનો સૌથી પહેલો બ્રિજ છે. હાલ આ બ્રિજની નીચે પુસ્તક બજાર ધમધમે છે. સાતેય અઠવાડિયાં ખુલ્લા રહેતા પુસ્તક બજારમાં તમને જોઈએ તેવાં પુસ્તકો સરળતાથી મળી રહે છે. અને તે પણ કિંમત કરતાં અડધા ભાવમાં. અહીં નવાં અને જૂનાં બંને પ્રકારનાં પુસ્તકો મળી રહે છે. જો તમે વાંચવાના શોખીન હોવ તો અહીં ચોક્કસ મુલાકાત લેજો. તમે ભાગ્યશાળી નીકળશો તો અહીંયાં કલેક્શન કરવા જેવાં હજારો પુસ્તકોનો ખજાનો મળી રહે છે. કળા, વિજ્ઞાન, અભ્યાસ, જર્નલ સહિતની વિવિધ પ્રકારનાં પુસ્તકો મળી રહેશે. પુસ્તકો ખરીદવા ઉપરાંત અહીં પુસ્તકો વેચી પણ શકો છો.

12) ટંકશાળ હોલસેલ માર્કેટ-
ટંકશાળમાં ઈમિટેશન જ્વેલરીનું ખૂબ મોટું માર્કેટ છે. અહીં ડ્રેસ અને સાડીની બોર્ડર માટે લેસ સારી ક્વોલિટીના અને સસ્તા ભાવમાં મળી રહે છે. રસ્તાની બંને બાજુએ નાની-મોટી જ્વેલરીની દુકાનો આવેલી છે. કેટલીક દુકાનો રિટેલ માલ વેચે છે અને કેટલીક દુકાનો હોલસેલમાં માલ વેચે છે. ટંકશાળ માર્કેટમાં લગ્ન પ્રસંગ માટેનો જરૂરી સામાન, ટ્રેડિશનલ પર્સ, હેન્ડક્રાફ્ટની સામગ્રી, વિવિધ પ્રકારનાં મોતી જેવી તમામ વસ્તુઓ મળી રહે છે. જો તમારે ઘરે બેઠાં નાનો બિઝનેસ શરૂ કરવો છે, તો આ જગ્યા તમારા માટે બેસ્ટ છે.

13) લૉ ગાર્ડન માર્કેટ-
ગરબાની સિઝન જેવી આવે કે, દરેકને લૉ ગાર્ડનની યાદ પહેલી આવે છે. લૉ ગાર્ડનમાં રબારી વર્ક, રેશમ, પેચવાળી એમ વિવિધ પ્રકારની ચણિયાચોળીની વેરાયટી એકસાથે જોવા મળે છે. આ સિવાય તમને સ્પેશિયલ ઓક્સોડાઈઝની જ્વેલરી પણ મળી રહે છે. નવરાત્રિનું શોપિંગ કરવા માટે આ જગ્યા અમદાવાદીઓમાં હોટ ફેવરિટ છે.

14) ઘંટાકર્ણ માર્કેટ-
અમદાવાદને ફેબ્રિકનું હબ કહેવામાં આવે છે અને આ વાતમાં પણ કંઈ ખોટું પણ નથી. તમને જો આ વાતમાં શંકા લાગે તો એકવાર અમદાવાદમાં આવેલા ઘંટાકર્ણ માર્કેટની મુલાકાત ચોક્કસથી લેજો. અહીં 50 વર્ષ જૂની દુકાનો આવેલી છે. જ્યાં તમને રેડિમેડ અને કાપડ એમ બંને પ્રકારની વેરાયટી અઢળક માત્રામાં મળી રહે છે. મિક્સ એન્ડ મેચ કરવા માટે ઢગલાબંધ વેરાયટી મળી રહે છે. કોટન, સિલ્ક, જ્યુટ, સાટીન, પ્રિન્ટેડ ફેબ્રિક, હેન્ડલુમ મટિરિયલ સહિતની વેરાયટીના કાપડ મળી રહે છે. કાપડની કિંમત 30 રૂપિયે મીટરથી માંડીને 900 રૂપિયે મીટર સુધીની રહે છે. મહત્વની વાત તો એ છે કે, અહીં તમને ‘S’ સાઈઝના કપડાથી માંડીને ‘5XL’ની સાઈઝ સુધીનાં કપડાં મળી રહે છે. હોલસેલ માર્કેટમાં કોટન કુર્તી ઓછામાં ઓછા 60 રૂપિયાના ભાવથી મળી રહે છે. જો તમારે મિનિમમ બજેટમાં કપડાની દુકાન શરૂ કરવી છે તો એકવાર અહીંથી ખરીદી જરૂર કરજો. ચોકકસથી ફાયદામાં જ રહેશો.

15)  સિંધી માર્કેટ-
જો તમે અમદાવાદમાં રહો છો અને તમારે અમેઝિંગ ટ્રેડિશનલ સામાનના બકેટલિસ્ટને પૂરુ કરવું છે તો એકવાર સિંધી માર્કેટની મુલાકાત જરૂરથી લેજો. સિંધી માર્કેટ કાલુપુર ગેટની નજીક આવેલું છે. અહીં તમને જરૂરિયાતની તમામ વસ્તુઓ સરળતાથી મળી રહેશે. અહીં સાડીથી લઈને ચાદર અને પંજાબી ડ્રેસ મટિરિયલથી લઈને હેન્ડીક્રાફ્ટ ઉપરાંત ફૂટવેર મળી રહે છે અને તે પણ સરળતાથી, ઓછી કિંમતે અને વેરાયટી સાથે જોવા મળે છે. સિંધી માર્કેટ રસ્તાની અંદર અને બહાર એમ બંને બાજુ પર હોવાના કારણે અહીં સતત ભીડ રહ્યા કરે છે. આજે પણ સિંધી માર્કેટમાં માલસામાનની હેરફેર માટે સાયકલનો ઉપયોગ કરવામાં આવે છે. સિંધી માર્કેટ કપડાંની એટલી બધી વેરાયટી ધરાવે છે કે અહીં આવેલો કોઈપણ ગ્રાહક ક્યારેય ખાલી હાથે પાછો નથી ફર્યો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news