દીકરીના પ્રેમલગ્ન સામે પાટીદારોએ બાંયો ચઢાવી, સમાજ લગાવવા જઈ રહ્યું છે નવા નિયમો

Patidar new rule for love marriage girls : પ્રેમલગ્ન કરતી દીકરીઓ માટે કાયદો બનાવવા મહેસાણાનો 84 કડવા પાટીદાર સમાજ કરશે સરકારને રજૂઆત. દીકરી ભાગીને લગ્ન કરે તો લગ્ન નોંધણીમાં માતા-પિતાની સહી ફરજિયાત કરવાની માગ... 

દીકરીના પ્રેમલગ્ન સામે પાટીદારોએ બાંયો ચઢાવી, સમાજ લગાવવા જઈ રહ્યું છે નવા નિયમો
  • મહેસાણા જિલ્લા 84 કડવા પાટીદાર સમાજની અનોખી ઝુંબેશ
  • બેટી બચાવવા માટે ઝુંબેશ શરૂ કરાઇ
  • પ્રેમ લગ્નમાં માતા-પિતાની સહી ફરજીયાત કરવાની માંગણી
  • લગ્ન નોંધણીમાં માતા-પિતાની સહી ના હોય તો દીકરીનો હક નીકળી જાય
  • નવી માંગણીઓ સાથે સરકારને રજુઆત કરવામાં આવશે

તેજસ દવે/મહેસાણા :પ્રેમ લગ્ન કરતી દીકરીઓ અંગે કાયદો બનવવા માટે મહેસાણો 84 કડવા પાટીદાર સમાજ મેદાને આવ્યો છે. પ્રેમ લગ્ન કરતી દીકરીઓ અંગે કાયદો બનાવવા લડત કરશે અને સરકારને રજૂઆત કરશે. 84 કડવા પાટીદાર સમાજની કારોબારી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે પ્રમાણે દીકરી ભાગી જાય તેવા સંજોગોમાં લગ્ન નોંધણી પ્રક્રિયામાં માતા-પિતાની સહી ફરજિયાત બનાવવા સરકારને રજૂઆત કરાશે. 

મહેસાણા જિલ્લામાં 84 કડવા પાટીદાર સમાજ બહુ મોટો છે અને તમામ સ્તરે સક્ષમ સમાજ માનવામાં આવે છે. આ 84 કડવા પાટીદાર સમાજે વર્ષો પહેલા પ્રેમલગ્ન સંબંધિત ઝુંબેશ આરંભાઈ હતી, જેને હવે ફરી શરૂ કરવામાં આવી છે. 84 કડવા પાટીદાર સમાજની કારોબારી મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ, જો દીકરી કોઈ લેભાગુ જોડે પ્રેમજાળમાં ફસાઈને ભાગી જાય તો પ્રેમલગ્ન નોંધણીમાં માતા-પિતાની સહી ફરજીયાત કરવામાં આવે એવી સરકાર પાસે માંગણી કરાશે. તેમજ દીકરીના પ્રેમલગ્નમાં માતાપિતા સંમતિ ના આપે અને લગ્ન નોંધણીમાં સહી ના કરે તો આપોઆપ દીકરીનો મિલકતમાંથી હક નીકળી જાય.

પાટીદાર સમાજ દ્વારા આ પ્રકારે વ્હાલસોયી દીકરીઓનું જીવન બચાવવા નિર્ણયો કરવામાં આવ્યા છે. બેટી બચાવો અને બેટી પઢાવોની સરકારની ઝુંબેશને આ પ્રકારના નિર્ણયોના અમલીકરણથી તાકાત મળશે એવી આશા સાથે મહેસાણા જિલ્લા 84 કડવા પાટીદાર સમાજે ઝુંબેશ શરૂ કરી છે તેવું સમાજના પ્રમુખ જસુ પટેલે જણાવ્યું.

તેમણે વધુમાં કહ્યુ કે, દરેક સમાજમાં દીકરીઓ ભાગીને લગ્ન કરવાની ઘટનાઓ બને છે. જે ચિંતાજનક છે. આ મુદ્દે આગામી સમયમાં અન્ય સમાજોને પણ સાથે રાખી સંમેલન બોલાવીશું અને સરકારમાં ભાગીને લગ્ન કરતી દીકરીની લગ્ન નોંધણીમાં માતા-પિતાની સહી ફરજિયાત કરવી અને તેને નકારવામાં આવે તો આવી દીકરીનો હિસ્સો માતા-પિતાની મિલકતમાંથી આપોઆપ નીકળી જાય તેવો કાયદો બનાવવા સરકારમાં રજૂઆત કરવામાં આવશે.

નોંધનીય છે કે આ અગાઉ SPG પણ માતા-પિતાની સહી ફરજીયાત કરવા માગ કરી ચૂક્યું છે. ત્યારે 84 કડવા પાટીદાર સમાજ સરકારને રજૂઆત કરશે કે, જો દિકરી માતા-પિતાની સહીની સહમતિ ન આપે તો મિલકતમાંથી તેનું નામ આપોઆપ નીકળી જાય તે પ્રકારનો કાયદો બનાવવામાં આવે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news