300 લોકોએ અમદાવાદમાં કોવેક્સીનની ટ્રાયલ લીધી, રોજ 50 ઈન્ક્વાયરી આવે છે

300 લોકોએ અમદાવાદમાં કોવેક્સીનની ટ્રાયલ લીધી, રોજ 50 ઈન્ક્વાયરી આવે છે
  • અમદાવાદમાં કોરોના વેક્સીનની ટ્રાયલ સફળતાપૂર્વક આગળ ચાલી રહી છે. 
  • અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં 300 સ્વયંસેવકોને વેક્સીનની ટ્રાયલ અપાઈ.
  • શનિવાર અને રવિવારે પણ સ્વયંસેવકોને ટ્રાયલ અંતર્ગત વેક્સીન અપાઈ રહી છે

અતુલ તિવારી/અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદ (Ahmedabad) સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વેક્સીનની ટ્રાયલ (vaccine trail) ચાલી રહી છે. આવામાં અત્યાર સુધી 300 સ્વંયસેવકો વેક્સીનની ટ્રાયલ લઈ ચૂક્યા છે. અત્યાર સુધી વેક્સીન લેનાર એકપણ સ્વયંસેવકમાં  કોઈપણ પ્રકારની આડઅસર જોવા મળી નથી. ત્યારે હવે અમદાવાદમાં કોરોના વેક્સીનની ટ્રાયલ સફળતાપૂર્વક આગળ ચાલી રહી છે. 

1000 જેટલા સ્વયંસેવકોને વેક્સીન આપવાનો લક્ષ્યાંક
કોવેક્સીન રસીના ટ્રાયલ અંગે ડોક્ટર કિરણ રામીએ જણાવ્યું કે, અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં 300 સ્વયંસેવકોને વેક્સીનની ટ્રાયલ અપાઈ છે. ટ્રાયલમાં ભાગ લેવા માટે ધીમે ધીમે શહેરીજનોનો હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધી વેક્સીન લેનાર એકપણ સ્વયંસેવકમાં કોઈપણ પ્રકારની આડઅસર જોવા મળી નથી. શરૂઆતમાં 5 કે 7 સ્વયંસેવકોને વેક્સીનને ટ્રાયલ અપાતી હતી, તેના બદલે હાલ 30 જેટલા સ્વયંસેવકોને રોજ વેક્સીનની ટ્રાયલ અપાઈ રહી છે. તો બીજી તરફ, રોજના 50 જેટલા લોકો વેક્સીન લેવા માટે ઇન્કવાયરી કરી રહ્યાં છે. સોલા સિવિલ હોસ્પિટલમાં 1000 જેટલા સ્વયંસેવકોને વેક્સીન આપવાનો અમારો લક્ષ્યાંક છે. દરેક સ્વયંસેવકોને 750 રૂપિયા આગામી 8 મહિના સુધી આપવામાં આવી રહ્યા છે. 

આ પણ વાંચો : શામળાજી હાઈવે પર સ્કોર્પિયોને અકસ્માત, અમદાવાદથી નીકળેલા 3 મુસાફરોના મોત

વેક્સીન ટ્રાયલનો સમય વધારાયો 
તેમણે વધુમાં કહ્યું કે, વેક્સીનના ટ્રાયલમાં ભાગ લેવા માટે સ્વયંસેવકોની સંખ્યામાં વધારો થતાં હવે સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી વેક્સીનની ટ્રાયલ આપવામાં આવી રહી છે. શનિવાર અને રવિવારે પણ સ્વયંસેવકોને ટ્રાયલ અંતર્ગત વેક્સીન અપાઈ રહી છે. વેક્સીનના ટ્રાયલમાં કોને ખરી વેક્સીનનો ડોઝ અપાયો અને કોને પ્લેસીબો અપાઈ તેની કોઈને જાણ હોતી નથી. પણ હાલ જો કોઈને પ્લેસીબો પણ આપવામાં આવશે તો પાછળથી તેમને વેક્સીન માટે અગ્રીમતા આપવામાં આવશે. હાલ જે સ્વયંસેવકો ટ્રાયલ અંતર્ગત વેક્સીન લઈ રહ્યા છે, તેમને 28 દિવસ બાદ બીજો ડોઝ પણ આપવામાં આવશે. 

અમદાવાદના 76 અર્બન હેલ્થ સેન્ટર પર 100 રેફ્રિજરેટર તૈયાર રખાયા 
તો બીજી તરફ, કોવિડની સંભવિત રસીકરણને લઈને એએમસીનું તંત્ર સજ્જ થયું છે. AMC હસ્તકના 76 અર્બન હેલ્થ સેન્ટર પર 100 રેફ્રિજરેટર તૈયાર રખાયા છે. સરકાર પાસે અન્ય 20 ILR (આઇસ લાઇન્ડ રેફ્રિજરેટર) ની માંગણી કરાઈ છે. 20 ડિગ્રી તાપમાનમાં કોરોના વેક્સીન રાખી શકાશે. શહેરની જરૂરિયાત મુજબ ગમે તેટલો મોટો જથ્થો રાખી શકાશે. પ્રથમ તબક્કામાં તમામ હેલ્થ વર્કરને આવરી લેવાશે. સરકારી અને ખાનગી હોસ્પિટલનો તમામ સ્ટાફ મળી અંદાજે 70000 લોકોને અમદાવાદમાં કોરોનાની રસી અપાશે. બીજા તબક્કામાં amc અને પોલીસના ફ્રન્ટલાઈન વર્કર્સને રસી આપવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news