જાપાને ખરેખર ભારતમાં બુલેટ ટ્રેનના ફંડિંગ પર રોક લગાવી છે? જાણો હકીકત

બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન કરવાની કામગીરી ચાલુ છે. આવામાં અનેક જગ્યાઓ પર ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યાં છે.

જાપાને ખરેખર ભારતમાં બુલેટ ટ્રેનના ફંડિંગ પર રોક લગાવી છે? જાણો હકીકત

નવી દિલ્હી: બુલેટ ટ્રેનના ફંડિગને રોકવાના અહેવાલો વચ્ચે જાપાન અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓએ મંગળવારે આ અહેવાલોનું સંપૂર્ણ રીતે ખંડન કર્યું. જાપાન દૂતાવાસ તરફથી આપવામાં આવેલી જાણકારીમાં કહેવાયું કે ભારતમાં હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ પોતાના ટ્રેક ઉપર જ છે. 17 સપ્ટેમ્બરના રોજ આ પ્રોજેક્ટની જોઈન્ટ મીટિંગ પણ થઈ હતી અને જાપાને ભારત સરકારને જે વચન આપ્યું હતું તે પૂરું કરવામાં આવશે. 

આ બાજુ ભારત સરકાર અને રાજ્ય સરકારો ભૂમિ સંપાદનના આવતી મુશ્કેલીઓના ઉકેલ માટે સતત કામ કરી રહી છે. બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને પૂરો કરવાની છેલ્લી સમયમર્યાદા ડિસેમ્બર 2023 છે, પરંતુ ભારત સરકારે આ પ્રોજેક્ટને 15 સપ્ટેમ્બર 2022 સુધીમાં પૂરો કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈચ્છે છે કે દેશની સ્વતંત્રતાની 75મી વર્ષગાઠ પર દેશને આ ભેટ આપવામાં આવે. 

શું હતી અફવા
બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન કરવાની કામગીરી ચાલુ છે. આવામાં અનેક જગ્યાઓ પર ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યાં છે. આ દરમિયાન એવી અફવા ફેલાઈ કે ગુજરાતના ખેડૂતો તરફથી જાપાનની સરકારને એક પત્ર લખાયો અને જાપાન સરકારે હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટના ફંડિંગ પર રોક લગાવી. આવા સંજોગોમાં આ પ્રોજેક્ટ લટકી ગયો. 

હાઈસ્પીડ રેલ કોર્પોરેશને આપી આ જાણકારી
હાઈસ્પીડ રેલ કોર્પોરેશન તરફથી, જાપાન તરફથી ભારતના બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ફંડિંગને રોકવામાં આવ્યું હોવાના અહેવાલને સંપૂર્ણ પણે નિરાધાર ગણાવવામાં આવ્યાં છે. એનએચએસઆરસીએલના પ્રવક્તા ધનંજયકુમારે જણાવ્યું કે જાપાન તરફથી ફંડિંગ રોકવામાં આવ્યું હોવાની વાત સંપૂર્ણ પણે અફવા છે. જાપાન સાથે અમારો એમઓયુ થયો છે. જે હેઠળ અમને 10 મિલિયન યેન મળી ચૂક્યા છે. બુલેટ ટ્રેનના પરિચાલન માટે વડોદરામાં બનાવવામાં આવેલી ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટમાં મોટા પાયે વર્કફોર્સ તૈયાર કરવામાં આવી રહી છે. અમારો સંપૂર્ણ પ્રયત્ન છે કે આગામી બે વર્ષોમાં બુલેટ ટ્રેનનું પરિચાલન શરૂ કરી દેવામાં આવે. 

જમીન સંપાદન છે સૌથી મુશ્કેલ કાર્ય
બુલેટ ટ્રેનના પરિચાલન માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું છે. પંરતુ આ કામમાં ભૂમિ સંપાદન સૌથી મુશ્કેલ કામ છે. એનએચએસઆરસીએલના પ્રવક્તાના જણાવ્યાં મુજબ ડિસેમ્બર સુધી ભૂમિ સંપાદનનું કામ પૂરું કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. કેટલીક જગ્યાઓ પર ખેડૂતો જે તે કારણોસર વિરોધ કરી રહ્યાં છે તેમને સમજાવવામાં આવી રહ્યાં છે. બુલેટ ટ્રેનનો હાલ 508 કિમીનો ટ્રેક તૈયાર કરવાનો છે. જેમાં અત્યાર સુધી 150 કિમી ટ્રેકનો સર્વે થઈ ચૂક્યો છે. ખેડૂતોને કિંમતનું 05 ગણું વળતર આપવામાં આવી રહ્યું છે. ખેડૂતોના ઘર તૂટવા ઉપર કે ઝાડ કાપવા ઉપર પણ સારું વળતર આપવામાં આવી રહ્યું છે. આશા છે કે અમે ડિસેમ્બર સુધીમાં જમીન સંપાદનનું કામ પૂરું કરી લઈશું. 

હાલ પૈસાની જરૂર નથી
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ભૂમિ સંપાદનનું કામ કરવામાં આવી રહ્યું છે. ડિસેમ્બર બાદ આ પ્રોજેક્ટ માટે ટેન્ડર જારી કરવામાં આવશે. ત્યારે એનએચએસઆરસીએલને વધુ નાણાની જરૂર પડશે. એનએચએસઆરસીએલના પ્રવક્તાના જણાવ્યાં મુજબ ટેન્ડર નિકળ્યા બાદ જ પૈસાની જરૂર પડશે. ત્યારે અમે જાપાન પાસે પૈસાની માગણી કરીશું અને સમજૂતિ હેઠળ તેઓ નાણા ઉપલબ્ધ કરાવશે. બુલેટ ટ્રેનનું કામ ઝડપી ગતિથી ચાલી રહ્યું છે. જેને સમય પર પૂરું કરી લેવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news