Farmers Protest : ખેડૂતો માટે MSP કેમ જીવન-મરણનો સવાલ?, આ કારણોસર મોદી સરકાર પાસે માગી રહ્યાં છે ગેરંટી

Farmers Protest : હાલ દેશમાં ખેડૂત આંદોલન ચર્ચામાં છે, ત્યારે આપના નેતા સાગર રબારીએ સોશિયલ મીડિયામાં ઉદાહરણ આપીને સરકાર સામે સવાલો કર્યા છે

Farmers Protest : ખેડૂતો માટે MSP કેમ જીવન-મરણનો સવાલ?, આ કારણોસર મોદી સરકાર પાસે માગી રહ્યાં છે ગેરંટી

Farmers Protest Delhi : ઘણા લોકો દલીલ કરે છે કે, એમ.એસ.પી. આપવાથી મોંઘવારી વધી જશે, સરકારના બજેટ ઉપર ભારણ પડશે, અર્થતંત્ર તૂટી જશે! પોતાનું બજેટ સાચવવા માટે થઈને ખેડૂતને આપઘાતના આરે લાવી દેવો એ ક્યાંનો ન્યાય છે? આ મામલે આપના નેતા સાગર રબારીએ સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારને સવાલો કર્યા છે. 

એડવાન્સ ભાવ જોઈને જીરું વાવ્યું
સાગર રબારીએ સોશિયલ મીડિયામાં ઉદાહરણ આપીને સરકાર સામે સવાલો કર્યા છે. હાલ ચાલુ સિઝનનો એક સાદો દાખલો ખેડૂતની મજબૂરી સમજવા માટે પૂરતો છે. હાલ જીરાની સીઝન ચાલી રહી છે. હાલનો જીરાનો બઝાર ભાવ (ઊંઝા એપીએમસી) એક કવીન્ટલનો સરેરાશ 30,000 રૂપિયા ખેડૂતોને મળી રહ્યો છે. એનો ફયુચર ટ્રેડિંગમાં ભાવ 25,380 ચાલી રહ્યો છે. એક મહિના પછી માર્ચનો ફયુચર ભાવ 24,350 ચાલી રહ્યો છે, એટલે કે 1000 રૂપિયા જેટલો ઓછો ચાલી રહ્યો છે!  આ ભાવનું ચક્કર શું છે એ જોઈએ તો, ગયે વર્ષે ઊંચામાં જીરાનો ભાવ 73,755 રૂપિયા ક્વિન્ટલ સુધી ગયો હતો! સરેરાશ બઝાર ભાવ 58,750 રૂપિયા/ક્વિન્ટલ હતો. ગયા નવેમ્બર મહિનામાં જયારે ખેડૂતો જીરાનું વાવેતર કરી રહ્યા હતા ત્યારે જીરાનો બઝાર ભાવ 40,000 થી 45,000 રૂપિયા ઊંઝા બજારમાં ચાલતો હતો. ખેડૂતના દ્રષ્ટિકોણથી વિચારો કે, એણે 40 થી 45,000 રૂપિયા ક્વિન્ટલનો ભાવ જોઈને વાવેતર કર્યું હતું અને હવે એને 30,000 રૂપિયાના ભાવે વેચવું પડે છે. 

એક હેકટર જીરું વાવવા માટે 15 કિલો બિયારણ જોઈએ
30,000 રૂપિયા ઓછા નથી પરંતુ જે ભાવ અને ગણતરીથી વાવેતર કર્યું હતું એ સ્થિતિ ખેડૂતનો માલ બઝારમાં આવતાંની સાથે જ બદલાઈ ગઈ!!
વાવણી વખતે જીરાનો બજારભાવ ઊંચો હતો એટલે જીરાના બિયારણનો ભાવ 400-500 રૂપિયાથી વધીને એક કિલોના 1100-1200 રૂપિયા થઇ ગયો છે. એક હેકટર જીરું વાવવા માટે 15 કિલો બિયારણ જોઈએ. માત્ર 1 હેક્ટરના વાવેતર માટે બિયારણનો ખર્ચ જ 16500થી 18,000 રૂપિયા થઇ જાય. મજૂરી સહિતના બીજા ખર્ચ ઉમેરીએ એટલે એક હેકટર જીરાનો ઉત્પાદન ખર્ચ 1,00,000 રૂપિયા ઉપર પહોંચી જાય!!

એક હેક્ટરમાં જીરું પાકે કેટલું?
ગુજરાતમાં જીરાનું પ્રતિ હેકટર સરેરાશ 6 થી 7 ક્વિન્ટલ (600થી 700 કિલો) છે.  જો ખેડૂતને 25,000 રૂપિયાનો ભાવ મળે તો 1,50,000 રૂપિયા મળે. એમાંથી ઉત્પાદન ખર્ચ જે 1.00 થી 1.25 લાખ બાદ કરીએ તો ખેડૂતના હાથમાં શું વધે? ભાવ ઘટીને 20,000 થાય તો ખેડૂતના હાથમાં 1,20,000 આવે, કદાચ એનું સરભર થાય અને 20,000/- રૂપિયાથી નીચે જાય તો?? ખેડૂતને ખોટ કરવાની આવે!!!  બસ, આ ખોટના દર સામે ખેડૂત એમએસપી ના કાયદા દ્વારા સલામતી માંગે છે! આગલે વર્ષે ગુજરાતમાં જીરાનો વાવેતર વિસ્તાર 2.76 લાખ હેકટર હતો તે ઊંચા ભાવ જોઈને ચાલુ વર્ષે 5.61 લાખ હેકટર થયો છે. આ ખેડૂતોનો વિચાર કરવાનો કે નહિ? ફયુચર ટ્રેડિંગ શરૂ થયા પછી બઝારની વધઘટ શેરબઝાર જેટલી જ પ્રવાહી થઇ છે, એમાં ખેડૂત મરી રહ્યો છે!! એને જીવવા માટે એમ.એસ.પી. જરૂરી છે!!

વાતાવરણની અસર, સરકારના આયાત-નિકાસના નિર્ણયો હોય કે ફયુચર ટ્રેડિંગ, ખેડૂતના હાથમાં આ પરિસ્થિતિઓ નથી. એ કુદરત અને સરકારના ભરોસે છે એટલે સરકાર પાસે ગેરંટી માંગે છે!! ભાવ વધી જશે એની સામે એટલું જ કહેવાનું છે કે, 57 રૂપિયાના પેટ્રોલ પર 39.60 રૂપિયા ગુજરાતમાં ટેક્સ લેવાય છે એનાથી મોંઘવારી નથી વધતી કે લોકો ખરીદી બંધ નથી કરતા પરંતુ ખેડૂતને એમએસપી આપવાથી મોંઘવારી વધી જાય છે? પેટ્રોલ ઉપર દુનિયા ભરના ટેક્સ લાગે છે તો પેટ્રોલ ખરીદવાનું બંધ થઇ ગયું? શેરડીના ભાવો સરકારે ફિક્સ કર્યા તો  ખાનગી સુગર મિલોએ શેરડી ખરીદવાની બંધ કરી દીધી? ખેડૂતોના ઓઝારો ઉપર 18થી 28% જીએસટી લાગ્યો તો ખેડૂતોએ ઓજારોની ખરીદી બંધ કરી દીધી? સહુથી મોટો ખરીદદાર સરકાર પોતે છે, એ કેમ ના ચૂકવી શકે? બાકી, મધ્ય પ્રદેશમાં ભાજપની સરકારે જ ભાવાંતર ભુગતાન યોજના લાગુ કરી હતી તો એ જ મોડલ ઉપર નીચા હોય ત્યારે બઝાર ભાવ અને એમએસપી સરકાર ખેડૂત ના ખાતામાં કેમ ના ચૂકવી શકે?

ખેડૂતો સ્વામીનાથન કમિશનની ભલામણો અનુસાર એમએમસપીમાં વધારો માગે છે. આ કમિશન સરકારે બનાવ્યું હતું. જોકે, અર્થશાસ્ત્રના નિષ્ણાતો સરકારને આ માગણી સ્વીકારવાની ચોખ્ખી ના પાડી રહ્યાં છે. સરકારે ખેડૂતોની આ માગ સ્વીકારી તો દેવાના ખાડામાં ઉતરી જશે. સરકાર હાલમાં વિકાસના પાટે ચડી છે એ પાટા પરથી દેશનું અર્થતંત્ર ઉતરી જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news