2003 વિશ્વકપ રમનારા યુવરાજ-મોંગિયા સહિત 13 ખેલાડીઓ થઈ ગયા છે નિવૃત, હવે બે બાકી

2003 વિશ્વ કપ રમનારી ભારતીય ટીમના 15 ખેલાડીઓમાંથી 13 ખેલાડી નિવૃતી લઈ ચુક્યા છે. પરંતુ આ વિશ્વ કપ રમનાર બે ખેલાડીઓ એવા છે જેણે હજુ ક્રિકેટને અલવિદા કહ્યું નથી. 
 

 2003 વિશ્વકપ રમનારા યુવરાજ-મોંગિયા સહિત 13 ખેલાડીઓ થઈ ગયા છે નિવૃત, હવે બે બાકી

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ ઓલરાઉન્ડર દિનેશ મોંગિયાએ 17 સપ્ટેમ્બર 2019ના ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતી લેવાની જાહેરાત કરી દીધી છે. આ સાથે મોગિંયાના 18 વર્ષ લાંબા ક્રિકેટ કરિયર પર વિરામ લાગી ગયો છે. વર્ષ 2001મા ભારતીય ટીમ માટે પર્દાપણ કરનાર આ ખેલાડીએ ભારત માટે પોતાની છેલ્લી મેચ 12 મે 2007મા બાંગ્લાદેશ વિરુદ્ધ રમી હતી. 

મોગિંયાએ પોતાના વનડે કરિયરમાં કુલ 57 મેચ રમી જેમાં તેણે 27.95ની એવરેજથી 1230 રન બનાવ્યા હતા. મોંગિયા 2003 વિશ્વ કપમાં ભારતીય ટીમનો સભ્ય હતો. મોગિંયા પહેલા સિક્સર કિંગના નામથી જાણીતા યુવરાજ સિંહે આ વર્ષે જૂનમાં ક્રિકેટને અલવિદા કહ્યું હતું. યુવરાજે નિવૃતીની જાહેરાત કરતા ક્રિકેટના એક શાનદાર યુગનો અંત થઈ ગયો હતો. 

મોગિંયા અને યુવરાજે પોતાનો પ્રથમ વિશ્વ કપ વર્ષ 2003મા આફ્રિકા, ઝિમ્બાબ્વે અને કેન્યાની ધરતી પર રમ્યો હતો. આ વર્ષે વિશ્વ કપમાં યુવરાજે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતા 34ની એવરેજથી 240 રન બનાવ્યા હતા અને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડીઓમાં 5મા સ્થાન પર હતો. 

આ વિશ્વ કપમાં ભારત 20 વર્ષ બાદ ફાઇનલમાં પહોંચ્યું હતું. પરંતુ ફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ યુવરાજે પોતાની ફીલ્ડિંગથી બધાને પ્રભાવિત કર્યાં હતા. યુવરાજ બાદ હવે દિનેશ મોંગિયાએ નિવૃતી લેતા 2003 વિશ્વ કપ રમનાર વધુ એક ભારતીય ખેલાડીનું ક્રિકેટ કરિયર સમાપ્ત થઈ ગયું છે. 

મહત્વનું છે કે 2003 વિશ્વ કપ રમનાર ભારતીય ટીમના 15 ખેલાડીઓમાંથી 13 ખેલાડી નિવૃતી લઈ ચુક્યા છે. પરંતુ તે વિશ્વ કપ રમનાર 2 ખેલાડી એવા પણ છે જેણે હજુ ક્રિકેટને અલવિદા કહ્યું નથી. એટલું જ નહીં આ 2 ખેલાડી કોઈને કોઈ ફોર્મેટમાં રમી રહ્યાં છે. આ 2 ખેલાડીઓ વિશે જાણતા પહેલા તે ખેલાડીઓ વિશે જાણી લઈએ, જેણે 2003 વિશ્વ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને હવે ક્રિકેટમાંથી નિવૃતી લઈ ચુક્યા છે. 

જવાગલ શ્રીનાથ - 23 માર્ચ 2003
સૌરવ ગાંગુલી - ઓક્ટોબર 2012
અનિલ કુંબલે - 2 નવેમ્બર 2008
રાહુલ દ્રવિડ - માર્ચ 2012
સંજય બાંગર - જાન્યુઆરી 2013
અજિત અગરકર - 16 ઓક્ટોબર 2013
સચિન તેંડુલકર - 10 ઓક્ટોબર 2013
ઝહીર ખાન - 15 ઓક્ટોબર 2015
વીરેન્દ્ર સેહવાગ - ઓક્ટોબર 2015
આશિષ નેહરા - ડિસેમ્બર 2017
મોહમ્મદ કૈફ - 3 જુલાઈ 2018
યુવરાજ સિંહ - 10 જૂન 2019
દિનેશ મોંગિયા - 17 સપ્ટેમ્બર 2019

હવે વાત કરીએ તે 2 ખેલાડીઓની જે 2003ના વિશ્વ કપમાં ભારત માટે રમ્યા હતા અને હજુ રમી રહ્યાં છે. પ્રથમ ખેલાડીનું નામ છે હરભજન સિંહ. 38 વર્ષીય હરભજન ભલે ભારતીય ટીમનો ભાગ ન હોય પરંતુ તે હજુ ક્રિકેટમાં સક્રિય છે. હાલમાં તે આઈપીએલમાં ચેન્નઈ તરફથી રમ્યો હતો. 

હરભજન સિંવાય બીજા ખેલાડીનું નામ છે પાર્થિવ પટેલ. 34 વર્ષીય પાર્થીવ પણ 2003 વિશ્વકપનો ભાગ હતો પરંતુ તેને એકપણ મેચ રમવાની તક ન મળી હતી. પરંતુ પાર્થિવ આજે પણ ક્રિકેટમાં એક્ટિવ છે. તે આઈપીએલમાં બેંગલોર અને ડોમેસ્ટિક ક્રિકેટમાં ગુજરાત તરફથી રમે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news