અહી જેટલો પ્રસાદ ખાવો હોય એટલો ખાવો, પણ બહાર ન લઈ જતા, મહુડીમાં ભક્તોને એવુ કેમ કહેવાય છે?

Mahudi Jain Temple : સુખડી એ જૈન દેવતાનો માનીતો પ્રસાદ હોવાથી અહીંથી સુખડીનાં થોડા કણો પણ બહાર લઈ જવા અશુભ મનાય છે. આથી સુખડીનો પ્રસાદ દેરાસરની બહાર કયાંય લઈ જવામાં આવતો નથી. આ પાછળ એક એવી લોકવાયકા છે

અહી જેટલો પ્રસાદ ખાવો હોય એટલો ખાવો, પણ બહાર ન લઈ જતા, મહુડીમાં ભક્તોને એવુ કેમ કહેવાય છે?

mahudi sukhadi story : ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામમાં મહુડી મંદિરનો પણ સમાવેશ થાય છે. આ મંદિર જૈન ધર્મના આસ્થાનુ પ્રતિક છે. જ્યાં ભગવાન ઘંટાકર્ણ મહાવીર ભગવાનના ધામમાં રોજ હજારો ભક્તો આવે છે. આ જૈન દેરાસર તેના સુખડીના પ્રસાદ માટે વિખ્યાત છે. અહીં મહાવીર ભગવાનને સુખડીનો પ્રસાદ ચઢાવાય છે. પરંતુ આ પ્રસાદનો એક નિયમ છે. અહીં મંદિરમાં જેટલો પ્રસાદ ખાવો હોય એટલો ખાઓ, પણ બહાર ન લઈ જવો. પ્રસાદ આપતા સમયે આ સૂચના ખાસ આપવામાં આવે છે, જે પાછળ કેટલીક માન્યતા છે. 

ઘંટાકર્ણ મહાવીરને સુખડી પ્રિય હોવાથી તેમને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. એક માન્યતા પણ પ્રચલિત છે કે અહીંયા મળતો સુખડીનો પ્રસાદ આપણે તે મંદિરનાં પરિસરની બહાર લઈ જઈ શકતાં નથી કેમકે તેને બહાર લઈ જવાથી તે વ્યક્તિ સાથે કંઈક ખોટુ બને છે. વર્ષ દરમ્યાન ભક્તો દ્વારા અહીં લાખો મણ સુખડીનો પ્રસાદ ધરાવાય છે.

મહુડી દેરાસરનો ઇતિહાસ :
સેંકડો વર્ષોથી મહુડી ગામમાં અતિ પ્રાચીન શ્રી પદ્મપ્રભુસ્વામી ભગવાનનું જિનાલય હતું. જે સાબરમતી નદીના અતિ પ્રચંડ પૂરના કારણે ગામ ભયમાં આવી જતાં અગ્રણી જૈનોએ નવા ગામમાં વસવાટ કર્યો અને નૂતન જિનાલય નિર્માણ કરાવ્યું. મૂળનાયક શ્રી પદ્મપ્રભુસ્વામી ભગવાન શ્રી આદેશ્વર સ્વામી ભગવાન શ્રી ચંદ્રપ્રભુસ્વામી ભગવાનની પ્રતિષ્ઠા સંવત 1974 માં માગસર સુદ 6 ના દિને શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મ.સા.એ કરી. મહુડી મંદિરનું નામ પડે એટલે તીર્થંકર ભગવાનનાં દર્શન અને તે સાથે ધનુર્ધારી શ્રી ઘંટાકર્ણ મહાવીરનાં દર્શન અને સુખડીનો પ્રસાદ અહીંના દર્શને આવનાર ભાવિકોનું સંભારણું બની રહે છે. 

મહુડીમાં ઘંટાકર્ણ મહાવીર ભગવાનનું મુખ્ય દેરાસર આવેલું છે. જેની ટોચે સોનાનો કળશ છે. આ આખું દેરાસર આરસપહાણથી બનેલું છે. જૈન તેમજ અન્ય સમાજના હજારો યાત્રાળુઓ અહીં વર્ષ દરમ્યાન દર્શન-મુલાકાતે આવે છે જેઓ ચોક્કસ અહીંની પ્રખ્યાત સુખડીનો પ્રસાદ આરોગે છે. 

મહુડીની સુખડી કેમ બહાર લઇ જવાતી નથી?
મહુડીમાં એવી માન્યતા છે કે સુખડી મંદિરની બહાર લઈ જવાતી નથી. ધાર્મિક માન્યતાથી શરૂ થયેલી આ વાત અત્યારે કદાચ સામાજિક દ્રષ્ટિએ કહીએ તો એ રીતે સારી છે કે દરેક વ્યક્તિને ત્યાં સુખડી મળી રહે. ઘંટાકર્ણજીને આ દેરાસરના પ્રાંગણમાં જ બનેલી સુખડીનો પ્રસાદ ધરાવવાની પ્રથા છે. આ સુખડી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે પરંતુ તે પ્રાંગણમાં જ ખાઈને અથવા ગરીબોને આપીને પૂરી કરવાની હોય છે. આ સંકુલમાંથી તે બહાર લઈ જવાનો નિષેધ છે. ક્યારેય કોઈએ તેવો પ્રયત્ન કર્યો હોય તે સફળ થઈ શક્યા નથી તેવી લોકવાયકા છે. ઉલ્લેખનીય છે કે વર્ષ દરમ્યાન ભક્તો દ્વારા અહીં લાખો મણ સુખડીનો પ્રસાદ ધરાવાય છે. એક માન્યતા પ્રમાણે "ઘંટાકર્ણ' તેમના પૂર્વજન્મમાં તૂંગભદ્ર નામના યોદ્ધા હતા. તે ગરીબોનાં મસીહા ગણાતા હતા. તેમને સુખડી તરીકે ઓળખાતી વાનગી ખૂબ ભાવતી. આ બાબતને ધ્યાનમાં રાખીને ઘંટાકર્ણ પ્રભુને આજે પણ ભાવિકો સુખડીનો પ્રસાદ ધરાવે છે. 

શા માટે સુખડીને જ પ્રસાદ તરીકે ધરાવવામાં આવે છે?
સુખડી એ જૈન દેવતાનો માનીતો પ્રસાદ હોવાથી અહીંથી સુખડીનાં થોડા કણો પણ બહાર લઈ જવા અશુભ મનાય છે. આથી સુખડીનો પ્રસાદ દેરાસરની બહાર કયાંય લઈ જવામાં આવતો નથી. આ પાછળ એક એવી લોકવાયકા છે કે, આ એક જુની પરંપરા છે જે બુદ્ધિ સાગર મહારાજે મહુડીની સ્થાપના કરી ત્યારથી પ્રસાદ મંદિરમાંથી બહાર લઈ જવાનું બંધ છે. પરંતુ જે તે સમયે મહુડી અને આજુબાજુના ગામડાઓમાં દુષ્કાળ જેવી પરિસ્થિતી હતી ત્યારે બુદ્ધિ સાહેબ મહારાજે એવું નક્કી કર્યું હતું કે પ્રસાદ રૂપે આપવામાં આવી રહેલ સુખડી ગામમાંથી બહાર લઈ જવી નહીં. બસ, ત્યારથી આ પ્રથા પડી તે પડી. ત્યારથી લઈને આજ સુધી જેણે પણ મંદિરથી સુખડીનો પ્રસાદ બહાર લઈ જવાનો પ્રયાસ કર્યો, તેને ભગવાન પરચો બતાડ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news