કોરોનાકાળમાં આ કિસ્સા ભારે ચગ્યા, આજીવન નહિ ભૂલો આ ઘટનાઓને...

આ એક વર્ષ દરેક માટે યાદગાર રહ્યું. પરંતુ આ એક વર્ષમાં કેટલીક બાબતો એવી બની જે ક્યારેય ભૂલાય તેમ નથી. એક વર્ષનુ સરવૈયુ કાઢીએ તો, કેટલીક ઘટનાઓ નજર સામે તરી આવે છે

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં કોરોનાની એન્ટ્રીને આજે 365 દિવસ પૂરા થયા છે. એક વર્ષ બાદ પરિસ્થિતિ પર નજર કરીએ તો, કોરોનાના આ એનિવર્સરી આપણા માટે દુખદ છે. કારણ કે, આ મહામારીએ ઘણુબધુ વેરવિખેર કરી નાંખ્યું છે. આ વર્ષમાં અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા. તો કેટલાક લોકો માટે કોરોના સારવાર (one year of corona) પીડાદાયક રહી. લોકો હજી પણ ડરના માર્યે જીવી રહ્યાં છે. આવામાં લોકોની મદદે આવેલા કોરોના વોરિયર્સ (corona warriors) ને ત્રણ તાળીનું સન્માન આપવુ પડે. આ એક વર્ષ દરેક માટે યાદગાર રહ્યું. પરંતુ આ એક વર્ષમાં કેટલીક બાબતો એવી બની જે ક્યારેય ભૂલાય તેમ નથી. એક વર્ષનુ સરવૈયુ કાઢીએ તો, કેટલીક ઘટનાઓ નજર સામે તરી આવે છે. 
 

લોકડાઉનની આ તસવીર હૃદય ચીરી દે તેવી હતી

1/6
image

લોકાડાઉનમાં અનેક લોકો આર્થિક રીતે ભાંગી પડ્યા હતા. તેમાં પણ ખાસ કરીને એ લોકો જેઓ પોતાના વતન જવા નીકળ્યા હતા. લોકડાઉનની આકસ્મિક જાહેરાત થતા જ અનેક મજૂરો પોતાનો માલ-સામાન માથા પર ઉંચકીને વતન જવા નીકળી પડ્યા હતા. આ દ્રશ્યો ભારે હૃદયદ્રાવક હતા. રસ્તામાં ભૂખ્યા-તરસ્યા આ મજૂરો મધ્યપ્રદેશ, રાજસ્થાન પહોંચ્યા હતા. જેના બાદ અનેક માઈગ્રન્ટ્સે પોતાના વતન જવા માંગ કરી હતી. આખરે ગુજરાત સરકારે માઈગ્રન્ટ્સને વતન જવા ખાસ ટ્રેનો દોડાવી હતી. જેમાં એક કિસ્સો ભારે ચર્ચામાં રહ્યો હતો. મૂળ રાયબરેલીનુ દંપતી કિશ્નાદેવી અને તેમના પતિ પણ રોજીરોટી મેળવવા ગુજરાત આવ્યા હતા. પરંતુ લોકડાઉનને કારણે તેઓને હાલ ગુજરાત છોડવાની ફરજ પડી છે. આવામાં ગુજરાતને જ પોતાની કર્મભૂમિ માનતા આ દંપતીએ કમને ગુજરાતની અલવિદા કરી હતી. સાથે જ અહી જલ્દી પરત ફરશે તેવી આશા વ્યક્ત કરી હતી. એટલુ જ નહિ, ટ્રેન પર ચઢતા પહેલા દંપતી કર્મભૂમિ ગુજરાતની જમીનને પગ પડીને શત શત વંદન કર્યા હતા.   

24 કલાક ફરજ બજાવતી પોલીસને રસ્તા પર જમવુ પડ્યું

2/6
image

કોરોનાએ કોરોના વોરિયર્સને રસ્તા પર જમતા કરી દીધા હતા. એક સમય એવો હતો કે, કોરોના વોરિયર્સ તરીકેને ફરજ બજાવતા પોલીસ કર્મચારી, તબીબો, નર્સો, સરકારી કર્મચારીઓને લાંબા સમય સુધી પોતાના પરિવારોથી દૂર રહેવુ પડ્યું હતું. કોરોના વોરિયર્સને રસ્તા પર જમવા મજબૂર કર્યા હતા. સીઆઈડી ક્રાઇમના એસપી હરેશ દૂધાતની આ તસવીર બહુ જ વાયરલ થઈ હતી. જેમાં તેઓ અઠવાડિયાથી ઘરે પણ આવ્યા ન હતા, પરંતુ અઠવાડિયા પછી ઘરે આવ્યા પરંતુ પરિવારના કોઈ સભ્યને ચેપ ન લાગે તેની પૂરતી ચોકસાઈ રાખવા ઘરના આંગણે થાળીમાં જમવા બેઠા હતા. એસપીની નાનકડી દીકરી પિતા જમતા હતા ત્યારે બારણા પાછળથી સંતાઈને હળવું સ્મિત વેરી રહી હતી. પિતા-પુત્રીની આ તસવીર માતાએ ખેંચી હતી. 

ગુજરાતે આવા દિવસો પણ જોયા હતા, લાશોની લાઈન લાગી

3/6
image

કોરોનાએ અનેક લોકોનો જીવ ભરખી લીધો હતો. ત્યારે એક સમય એવો પણ આવ્યો હતો, જ્યાં ટપોટપ મોત થઈ રહ્યા હતા, અને સ્મશાનોમાં અંતિમ વિધિ માટે લાંબી લાઈનો પડી હતી. કોરોના ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ કરવામાં લાંબો સમય લાગતો હતો. તો અનેક જગ્યાઓએ મોતનો મલાજો પણ સચવાતો ન હતો. ગુજરાતે આવા દ્રશ્યો પણ જોયા છે. તો અનેક સ્મશાન ગૃહોમાં મોતનો મલાજો સચવાયો ન હતો. 

સૌથી લાંબો સમય હોસ્પિટલમાં રહેનારા કોરોના દર્દી

4/6
image

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ કોરોનાના દર્દીનો રેકોર્ડ તોડ્યો હતો. તેઓ કોરોના માટે હોસ્પિટલમાં લાંબો સમય સુધી સારવાર લેનાર એશિયાના પ્રથમ દર્દી બન્યા હતા. 102 દિવસ બાદ ભરતસિંહ સોલંકીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જોકે, અન્ય એક દર્દીએ ભરતસિંહનો આ રેકોર્ડ તોડ્યો હતો. ગુજરાતમાં સૌથી વધુ દિવસ કોરોનાની સારવાર લેનાર દર્દીમાં 58 વર્ષના દર્દી દેવેન્દ્રભાઈ પરમારનું નામ પહેલા નંબર પર છે. તેમને 113 દિવસની સારવાર બાદ રજા અપાઈ હતી.  

લોકોએ પહેલીવાર ટેસ્ટીંગ ડોમ જોયા

5/6
image

કોરોનાકાળમાં પહેલીવાર લોકોએ ટેસ્ટીંગ માટેના ડોમ જોયા. પોતાને કોરોના છે કે નહિ એ ડરે અનેક લોકો ટેસ્ટીંગ ડોમ પર ચેક કરવા પહોંચી જતા હતા. જોકે, કોરોના ટેસ્ટીંગની પ્રોસેસ ભારે જફાવાળી હોવાથી અનેક લોકોના આંખમાંથી આસુ સરી પડે છે. તો કેટલાક ડરના માર્યે નાટકો કરતા પણ જોવા મળે છે.   

ઓનલાઈન શિક્ષણ લેતા પણ શીખી ગયા

6/6
image

કોરોનાએ લોકોને ઓનલાઈનનું મહત્વ શીખવાડ્યું હતુ. ઓનલાઈન શિક્ષણની સાથે વેપાર પણ થવા લાગ્યા હતા. આખુ વર્ષ બાળકોએ ઓનલાઈન શિક્ષણમાં પસાર કર્યો. જોકે, શિક્ષણ અટક્યુ ન હતું તે મોટી વાત છે.