મહારાષ્ટ્રમાં આ નાટકનો The End ક્યારે? 5 પોઈન્ટમાં સમજો આખા દિવસનો રાજકીય ઘટનાક્રમ

મહારાષ્ટ્રમાં આજે દિવસભર ખુબ ઉથલપાથલ જોવા મળી. સવારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી પદના અને એનસીપી નેતા અજિત પવારને ઉપમુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યાં. શપથ લીધા બાદ રાજનીતિ શરૂ થઈ ગઈ.

મહારાષ્ટ્રમાં આ નાટકનો The End ક્યારે? 5 પોઈન્ટમાં સમજો આખા દિવસનો રાજકીય ઘટનાક્રમ

નવી દિલ્હી/મુંબઈ: મહારાષ્ટ્રમાં આજે દિવસભર ખુબ ઉથલપાથલ જોવા મળી. સવારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી પદના અને એનસીપી નેતા અજિત પવારને ઉપમુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યાં. શપથ લીધા બાદ રાજનીતિ શરૂ થઈ ગઈ. એનસીપી અધ્યક્ષ શરદ પવાર અને શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરી. શરદ પવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અજિત પવારના નિર્ણય સાથે તેઓ નથી અને ભાજપ બહુમત સાબિત કરી શકશે નહીં. શરદ પવારે કહ્યું કે ત્યારબાદ અમે ત્રણ પાર્ટીઓ મળીને સરકાર બનાવીશું. સાંજ પડતા તો રાજકીય ઘટનાક્રમ ઝડપથી બદલાયો. મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકાર વિરુદ્ધ શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ સંયુક્ત અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી જેમાં આવતી કાલે સવારે 11.30 વાગે સુનાવણી કરશે. આજના દિવસના રાજકીય ઘટનાક્રમમાં પાંચ પોઈન્ટમાં સમજો.

1. શિવસેના, એનસીપી અને કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં જે અરજી દાખલ કરી છે તેમાં રાજ્યપાલના તે નિર્ણયને પડકારવામાં આવ્યો છે જેમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ દેવેન્દ્ર ફડણવીસને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. ત્રણેય પાર્ટીઓએ 144 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો છે. શિવસેનાએ બહુમત પરીક્ષણના સમયને 24 કલાક કે 48 કલાક કરવાની ભલામણ સુપ્રીમને કરી છે. 

2. મુંબઈના વાયબી ચૌહાણ સેન્ટર એનસીપીના ધારાસભ્યોની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મોટા નિર્ણય લેવાયા. અજિત પવારને વિધાયક દળના નેતા પદેથી હટાવી દેવાયા અને જયંત પાટિલને હાલ વિધાયક દળના નેતા તરીકે ચૂંટી લેવાયા. બેઠક બાદ વિધાયકોને બસમાં બેસાડીને પવઈની એક હોટલમાં લઈ જવાયા. આ આખી કવાયત વિધાયકોને તૂટવાના ડરથી કરવામાં આવી રહી છે. શનિવારે થયેલી એનસીપીની બેઠકમાં 11 ધારાસભ્યો પહોંચ્યા ન હોવાનું કહેવાય છે. જો તેમાં અજિત પવારને જોડી લેવામાં આવે તો કુલ સંખ્યા 12 થાય છે. એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું કે 6 ધારાસભ્યો આવી રહ્યાં છે જ્યારે 5 અંગે તેમની પાસે જાણકારી નથી. 

3. અજિત પવારને વિધાયક દળના નેતા પદેથી હટાવી દેવાયા. જયંત પાટિલ વિધાયક દળના નવા નેતા બન્યાં. અજિત પવાર આખો દિવસ ઘરમાં જ રહ્યાં અને એનસીપીની બેઠકના હાલચાલ જાણતા રહ્યાં. અજિતે કહ્યું છે કે તેઓ પોતાના નિર્ણયથી પાછળ હટશે નહીં. એટલું જ નહીં તેમણે તો પાર્ટીના વરિષ્ઠ નેતાઓને એમ પણ કહ્યું કે જો પાર્ટીને તૂટતી બચાવવી હોય તો ભાજપને સપોર્ટ કરવો પડશે. 

જુઓ LIVE TV

4. ઉદ્ધવ ઠાકરેએ પણ મુંબઈની લલિત હોટલમાં પોતાના ધારાસભ્યો સાથે બેઠક કરી. બેઠકમાં પાર્ટીના બધા જ 56 ધારાસભ્યો સામેલ થયા હતાં. 4 અપક્ષ ધારાસભ્યોએ પણ બેઠકમાં ભાગ લીધો હતો. ઉદ્ધવે પડકાર ફેંકતા કહ્યું કે કોઈ શિવસેનાના ધારાસભ્યોને તોડીને તો બતાવે. તેમણે કહ્યું કે ભાજપ 30 તારીખ બહુમત સાબિત કરી શકશે નહીં. 

5. કોંગ્રેસ પાર્ટીના નેતા બાળાસાહેબ થોરાટનું કહેવું છે કે કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાના તમામ ધારાસભ્યો એકજૂથ છે. વિશ્વાસ મત પ્રસ્તાવ અમે જ જીતીશું. કોંગ્રેસના તમામ ધારાસભ્યો એક સાથે અને સુરક્ષિત જગ્યાએ રહેશે. આ બાજુ ભાજપના નેતા રામ કદમનું કહેવું છે કે તેમની પાર્ટીને આંકડાની કોઈ ચિંતા નથી અને પાર્ટી સદનમાં પોતાનું બહુમત જરૂર સિદ્ધ કરશે. રામ કદમે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે વિપક્ષ પાસે કોઈ બીજો રસ્તો નથી એટલે તેઓ આરોપ લગાવવાનું કામ કરી રહ્યાં છે. 30 દિવસ સુધી રાજ્યમાં જે પ્રકારના હાલાત હતાં તેના કારણે સ્થાયી સરકારની ખુબ જરૂર હતી.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news