શરજિલ ઇમામની ભાષા કન્હૈયા કુમારથી વધુ ખતરનાક, હવે જેલની હવા ખાશેઃ અમિત શાહ

અમિત શાહે કહ્યું, 'શરજિલનું નિવેદન જુઓ, વીડિઓ જુઓ, જોઈ રહ્યાં છો ને તમે. કન્હૈયા કુમારથી પણ વધુ ખતરનાક બોલ્યો છે. ચિકન નેક કો કાટ દો, આસામ ભારતથી અલગ થઈ જશે. અરે તારી સાત પેઢી લાગી જશે.

 શરજિલ ઇમામની ભાષા કન્હૈયા કુમારથી વધુ ખતરનાક, હવે જેલની હવા ખાશેઃ અમિત શાહ

રાયપુરઃ ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલ (CZC)ની બેઠકમાં સામેલ થવા માટે મંગળવારે છત્તીસગઢની રાજધાની રાયપુરમાં હતા. આ બેઠકમાં સુરક્ષા અને આંતરમાળખા સહિત વિભિન્ન મુદ્દા પર રાજ્ય અને કેન્દ્ર વચ્ચે વિચારોનું આદાન પ્રદાન થયું હતું. અમિત શાહે અહીં ભાજપના કાર્યકર્તાઓને પણ સંબોધિત કર્યાં હતા. કાર્યકર્તા સંમેલનમાં સંબોધન દરમિયાન શાહે પીએમ મોદી અને કેન્દ્ર સરકારની યોજનાની ખુબ પ્રશંસા કરી હતી. સાથે સીએએ-એનઆરસીના મુદ્દા પર વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. શાહે રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલ શરજિલનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

અમિત શાહે કહ્યું, 'શરજિલનું નિવેદન જુઓ, વીડિઓ જુઓ, જોઈ રહ્યાં છો ને તમે. કન્હૈયા કુમારથી પણ વધુ ખતરનાક બોલ્યો છે. ચિકન નેક કો કાટ દો, આસામ ભારતથી અલગ થઈ જશે. અરે તારી સાત પેઢી લાગી જશે તેમાં ભાય, આસામ તેમ છૂટુ નહીં પડે. આજે દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી છે. આજે તેને જેલની હવા ખાવા દિલ્હી લઈ જવામાં આવી રહ્યો છે.' અમિત શાહે કહ્યું કે, નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) દ્વારા લાખો કરોડો પીડિત લોકોને નાગરિકતા આપીને તેનું સન્માન જાળવી રાખ્યું. તેમણે કોંગ્રેસ પર આ મુદ્દે રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. 

મોદી જીએ કન્હૈયા એન્ડ કંપનીને જેલમાં નાખી
તેમણે જેએનયૂમાં થયેલી નારેબાજીનો ઉલ્લેખ કરતા કાર્યકર્તાઓને પૂછ્યું કે શું આમ કરનારને જેલમાં મોકલવા જોઈએ કે નહીં. અમિત શાહે કહ્યું 'ભારતના ટુકડા કરવાની વાત કરનારને જેલમાં નાખવા જોઈએ કે નહીં? મોદીજીએ નિર્ણય લીધો કે આ કન્હૈયા એન્ડ કંપનીને જેલમાં નાખી દો.' શાહે આરોપ લગાવ્યો કે દોઢ વર્ષ પસાર થવા છતાં કેજરીવાલ સરકારે કન્હૈયા અને બીજા આરોપીઓ વિરુદ્ધ મામલો ચલાવવાની મંજૂરી આપી નથી. 

ગૃહપ્રધાને આરોપ લગાવ્યો કે જ્યારે-જ્યારે કોંગ્રેસની સરકારો રહી, તુષ્ટિકરણની નીતિ અપનાવીને દેશની સુરક્ષાને નષ્ટ કરી દીધી. ગૃહપ્રધાન પ્રમાણે, કોંગ્રેસની પૂર્વની સરકારોએ દેશના દુશ્મનો વિરુદ્ધ પગલા ભરવાની જગ્યાએ પોતાના મતની ચિંતા કરી. શાહે કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં દેશની કોઈ સુરક્ષા નીતિ નહતી. સાથે પાકિસ્તાનથી ગમે ત્યારે આતંકવાદી દેશમાં ઘુસી જતા હતા અને હુમલાને અંજામ આપતા હતા. 

અમેરિકા-ઇઝરાયલના લિસ્ટમાં સામેલ થયું ભારત
અમિત શહે કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા બાદ એક મોટું પરિવર્તન આવ્યું, ઉરી અને પુલવામામાં થયેલા આતંકી હુમલાનો સીધો જવાબ આપવામાં આવ્યો અને આપણા જવાનોએ સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનના ઘરમાં ઘુસીને દુશ્મનોનો વિનાશ કર્યો. ગૃહપ્રધાન પ્રમાણે, મોદીના શાસનમાં વિશ્વને પ્રથમવાર અનુભવ થયો કે ભારત પણ પોતાના જવાનોના મોતનો બદલો લઈ શકે છે. આ પહેલા વિશ્વમાં માત્ર બે દેશ અમેરિકા અને ઇઝરાયલ એવા હતા, જે આમ કરવામાં સક્ષમ હતા. આ દેશોની યાદીમાં ભારતનું નામ જોડવાનું કામ પીએમ મોદીએ કર્યું છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news