Afghanistan: 'પંજશીરના બદલે કાશ્મીર' પ્લાનનો પર્દાફાશ, પડદા પાછળ ISI એ રચ્યો ગેમપ્લાન 

તાલિબાનની નવી સરકારે હવે અમેરિકાને આંચકો આપ્યો છે. કારણ કે નવી સરકારની શપથવિધિ 9/11 એટલે કે 11 સપ્ટેમ્બરના દિવસે થશે. વર્ષ 2001માં આ જ દિવસે અલકાયદાના આતંકીઓએ અમેરિકા પર હુમલો કર્યો હતો અને હજારો અમેરિકન નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. 
Afghanistan: 'પંજશીરના બદલે કાશ્મીર' પ્લાનનો પર્દાફાશ, પડદા પાછળ ISI એ રચ્યો ગેમપ્લાન 

નવી દિલ્હી: તાલિબાનની નવી સરકારે હવે અમેરિકાને આંચકો આપ્યો છે. કારણ કે નવી સરકારની શપથવિધિ 9/11 એટલે કે 11 સપ્ટેમ્બરના દિવસે થશે. વર્ષ 2001માં આ જ દિવસે અલકાયદાના આતંકીઓએ અમેરિકા પર હુમલો કર્યો હતો અને હજારો અમેરિકન નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. 

પંજશીર પર કાશ્મીરવાળી ડીલ
હવે એક મોટો ખુલાસો થયો છે. સૂત્રો દ્વારા એવી પાક્કી માહિતી મળી છે કે તાલિબાને પંજશીર પર કબજા માટે પાકિસ્તાની સેનાની મદદ માંગી હતી અને તેના બદલે કાશ્મીરમાં પાકિસ્તાનને મદદ કરવાનું વચન આપ્યું હતું. એટલે કે તાલિબાને પાકિસ્તાનને કહ્યું કે તમે અમને પંજશીર આપો અમે તમને કાશ્મીર આપીશું. હવે અહીં પાકિસ્તાનની પંજશીરના બદલે કાશ્મીરવાળા ષડયંત્રનો ખુલાસો કરી રહ્યા છીએ. 

એક બીજાની મદદથી કરશે કબજો
જે પંજશીર પર અગાઉ તાલિબાન સહિત દુનિયાની અનેક સેના કબજો જમાવી શકી નહીં તે પંજશીર જોત જોતામાં તાલિબાનના તાબામાં જતું રહ્યું અને આ બધુ પાકિસ્તાનની મદદ વગર શક્ય નથી. આથી એવી સતત માંગણી થઈ રહી છે કે પંજશીરમાં પાકિસ્તાનની ભૂમિકાની આંતરરાષ્ટ્રીય તપાસ કરવામાં આવે. પંજશીર પર અગાઉ ક્યારેય તાલિબાન કબજો કરી શક્યું નથઈ. 74 વર્ષથી પાકિસ્તાન પણ કાશ્મીર પર કબજો કરવાના સપના જોઈ રહ્યું છે. આ છતાં હજુ એવું કરી શક્યું નથી. પરંતુ હવે પાકિસ્તાન તાલિબાનની મદદથી કાશ્મીર પર ફરી કબજો જમાવવાના સપના જોવા લાગ્યું છે. 

આ બધા પાછળ ફક્ત પાકિસ્તાન
અમેરિકાની સેના પોતાની પાછળ જે લાખો હથિયારો અને આધુનિક બંદૂકો  છોડી ગઈ છે તે ગમે ત્યારે આ આતંકવાદીઓના હાથમાં આવી જશે જે કાશ્મીર પર કબજો જમાવવા માંગે છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન  બોર્ડરના રસ્તે આ હથિયારોની તસ્કરી પણ શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત તાલિબાન પાકિસ્તાનનો અહેસાન ચૂકવવા માટે કાશ્મીરમાં તેને પૂરેપૂરી મદદ કરશે, તેને અલકાયદા જેવા આતંકવાદી સંગઠનોનો સાથ પણ મળશે જે અનેકવાર એવા દાવા કરી ચૂક્યું છે કે તેનું મિશન જે રીતે તાલિબાને અફઘાનિસ્તાનને આઝાદ કરાવ્યું તે જ રીતે કાશ્મીરને આઝાદ કરાવવાનું છે. આ બધા પાછળ ફક્ત પાકિસ્તાન છે. પાકિસ્તાન એક પરમાણુ શક્તિ હોવા છતાં કાશ્મીરને ક્યારેય મેળવી શક્યું નહીં. કારણ કે તેની સામે ભારતની સેના એક મજબૂત દીવાલ બનીને ઊભી છે. પરંતુ તાલિબાનની મદદથી પાકિસ્તાન કાશ્મીરને ફરીથી 1990ના દૌરમાં લઈ જવા માંગે છે. 

અનેકવાર ભારતને હરાવ્યાનો દાવો
પાકિસ્તાનના નેતાઓ અનેકવાર એવા ફાલતું દાવા કરી ચૂક્યા છે કે તેના આતંકવાદી ભારતના લોહીનું ટીપે ટીપુ વહાવશે અને એક દિવસ કાશ્મીર જ નહીં પરંતુ દિલ્હીમાં પણ પાકિસ્તાનનો ઝંડો લહેરાવશે. 1965નું યુદ્ધ હાર્યા બાદ પાકિસ્તાનના નેતા ઝૂલ્ફીકાર અલી ભુટ્ટોએ સંયુક્ત રાષ્ટ્રમાં આખી દુનિયા સામે કહ્યું હતું કે અમે ભારત સાથે એક હજાર વર્ષો સુધી યુદ્ધ લડવા તૈયાર છીએ. ત્યારેબાદ જ્યારે 1971માં પણ પાકિસ્તાન ભારત સામે યુદ્ધ હારી ગયું તો પાકિસ્તાનના ક્વેટામાં પાકિસ્તાન મિલેટ્રી સ્ટાફ કોલેજમાં એક સિદ્ધાંત (Doctrine) તૈયાર કરવામાં આવ્યો. જેમાં લખવામાં આવ્યું કે પાકિસ્તાન ભારતથી ક્યારેય પરંપરાગત યુદ્ધ જીતી શકશે નહીં. આથી આતંકવાદ દ્વારા ભારતને નબળો કરવો પડશે. તેના ફક્ત 9 વર્ષ બાદ જ પાકિસ્તાને ભારતના પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં પોતાના આતંકવાદીઓ મોકલવાના શરૂ કરી દીધા. 

અફઘાનમાં ક્વેટા શૂરાની સરકાર
પાકિસ્તાનના ક્વેટામાં જ વર્ષ 2001માં કવેટા શૂરાની રચના કરાઈ હતી. ક્વેટા શૂરામાં તાલિબાનના એવા નેતાઓ સામેલ હતા જે વર્ષ 2001 માં અફઘાનિસ્તાન પર અમેરિકાના હુમલા બાદ ભાગીને પાકિસ્તાન પહોંચ્યા હતા. તાલિબાનના નવા પ્રધાનમંત્રી મુલ્લા હસન અખુંદ(Mullah Hassan Akhund) અને તાલિબાનના સુપ્રીમ લીડર હિબતુલ્લા અખૂંદજાદા સહિત તાલિબાનની સરકારમાં સામેલ મોટાભાગના આતંકીઓ પણ આ ક્વેટા શૂરાથી નીકળ્યા છે. ક્વેટા બલૂચિસ્તાનની રાજધાની છે જેની સરહદો અફઘાનિસ્તાન સાથે જોડાયેલી છે. એટલે તમે કહી શકો કે તાલિબાનની નવી સરકાર અસલમાં પાકિસ્તાનના ક્વેટા શૂરાની સરકાર છે. 

તાલિબાનને માર્ગ દેખાડી રહ્યું છે પાકિસ્તાન
પંજશીરમાં તાલિબાન વિરુદ્ધ લડત લડનારા નોર્ધર્ન અલાયન્સના અનેક નેતાઓએ પણ વારંવાર એવો દાવો કર્યો હતો કે પંજશીરની લડાઈમાં તાલિબાનની સાથે પાકિસ્તાનની સેના પણ સામેલ છે. નોર્ધર્ન અલાયન્સે તો એવો પણ દાવો કર્યો હતો કે તેમના નેતા ફહીમ દશ્તીનું મોત પણ પાકિસ્તાની સેના દ્વારા કરાયેલા એક ડ્રોન હુમલામાં થયું છે. નોર્ધર્ન અલાયન્સના નેતા અને અફઘાનિસ્તાનના પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહએ થોડા દિવસ પહેલા જ કહ્યું હતું કે પંજશીર પર તાલિબાનના કબજાનું માસ્ટરમાઈન્ડ પાકિસ્તાન છે. આ બધુ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIS ના ઈશારે થઈ રહ્યું છે. અમરુલ્લાહ સાલેહનો એવો પણ દાવો હતો કે તાલિબાનના પ્રવક્તાઓને દર કલાકે પાકિસ્તાનના દૂતાવાસથી નિર્દેશ મળે છે.

તાલિબાનીઓના વેશમાં પાકિસ્તાની સૈનિકો
અમરુલ્લાહ સાલેહનો તો એવો પણ દાવો છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનને એ વાત સારી પેઠે ખબર છે કે બધો ખેલ પાકિસ્તાનના ઈશારે ચાલી રહ્યો છે પરંતુ આમ છતાં અમેરિકા તેના પર ચૂપ છે. નોર્ધર્ન અલાયન્સના એક વધુ મોટા નેતા અહેમદ મસૂદે પણ દાવો કર્યો હતો કે પંજશીરની લડાઈમાં પાકિસ્તાન તાલિબાનની મદદ કરી રહ્યું છે. થોડા દિવસ પહેલા પંજશીરમાં માર્યા ગયેલા એક તાલિબાની પાસેથી પાકિસ્તાનનું આઈકાર્ડ મળ્યું હતું. જેથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાને તાલિબાનીઓના વેશમાં પોતાના સૈનિકો પંજશીરમાં ઉતાર્યા હતા. ઈરાન પણ પાકિસ્તાન પર શક જાહેર કરી ચૂક્યું છે અને તેણે પણ કહ્યું છે કે તે પંજશીરમાં પાકિસ્તાનની ભૂમિકાની તપાસ કરશે. 

કાબુલમાં છે ISI ચીફ
અમારી આંતરરાષ્ટ્રીય સહયોગી ચેનલ WION એ ઈરાનના પૂર્વ રાષ્ટ્રપતિ મહમૂદ અહમદીનેજાદનો એક એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ કર્યો હતો. જેમાં તેમણે એવો દાવો કર્યો હતો કે પંજશીરની લડાઈમાં પાકિસ્તાની સેનાએ તાલિબાનનો માત્ર સાથ જ આપ્યો છે એવું નથી પરંતુ પાકિસ્તાને જ તાલિબાનને જન્મ આપ્યો છે. પાકિસ્તાન હંમેશાથી એવું ઈચ્છતું હતું કે કાબુલમાં તે પોતાની એક કઠપુતળી સરકાર બનાવે. જેમાં પાકિસ્તાનના હક્કાની નેટવર્કના આતંકવાદીઓને મોટી ભૂમિકા મળે અને પછી તેના સહારે તે કાશ્મીરને નુકસાન પહોંચાડે. જ્યારે તાલિબાન પંજશીર પર કબજો કરી રહ્યું હતું ત્યારે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI નાચીફ લેફ્ટેનન્ટ જનરલ ફૈઝ હમીદ કાબુલમાં જ હતા અને તેઓ પોતે આ સમગ્ર ઓપરેશનની નિગરાણી કરી રહ્યા હતા. 

હક્કાની નેટવર્કનો થઈ રહ્યો છે ઉપયોગ
વર્ષ 1996માં તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારે કાશ્મીરમાં આતંકવાદની ઘટનાઓ ખુબ વધી ગઈ હતી. તે સમયે કાશ્મીરમાં લગભગ સાડા ચાર હજાર આતંકવાદી હુમલા થયા જેમાં 1400 કાશ્મીરી માર્યા ગયા હતા. પાકિસ્તાન આ વખતે પણ એવું જ કરવાની કોશિશ કરશે. જેમાં હક્કાની નેટવર્ક તેની સૌથી વધુ મદદ કરી શકે છે. હક્કાની નેટવર્કને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ની એક શાખા જ માનવામાં આવે છે. તાલિબાનની સરકારમાં આ આતંકવાદી સંગઠનનો સૌથી વધુ પ્રભાવ છે. સિરાજુદ્દીન હક્કાની પોતે આ સરકારમાં ગૃહમંત્રી છે અને તેના કાકા ખલીલ ઉર રહેમાન હક્કાનીને રેફ્યુજી મંત્રી બનાવવામાં આવ્યા છે. 

વધુ વિગતો માટે જુઓ Video

અફઘાનિસ્તાનમાં શિફ્ટ થશે આતંકી કેમ્પ!
કાબુલ પર કબજો જમાવ્યા બાદ હક્કાની નેવર્કના 10 હજાર જેટલા આતંકીઓનું કામ હવે પૂરું થઈ ચૂક્યું છે. આ આતંકીઓ હવે કોઈ મિશન પર નથી પરંતુ બની શકે કે હક્કાની નેટવર્ક તેને કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવાના કામે લગાવે. એક વધુ મોટી વાત એ છે કે 2019માં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરી હતી અને અનેક આતંકવાદી કેમ્પ વિશે સુરક્ષા એજન્સીઓએ માહિતી ભેગી કરી હતી. પરંતુ હવે બની શકે કે આ આતંકવાદી કેમ્પ અફઘાનિસ્તાનમાં શિફ્ટ થઈ જાય અને ત્યાંથી કાશ્મીરને અસ્થિર કરવાની કોશિશ કરે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news