સ્પાઇસજેટને સુપ્રીમ કોર્ટે આપી રાહત! એરલાઇનને બંધ કરવાના આદેશ પર ત્રણ સપ્તાહ માટે પ્રતિબંધ

28 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે સ્પાઈસ જેટને ત્રણ સપ્તાહના સમયગાળા માટે બંધ કરવાના આદેશ પર રોક લગાવી દીધો છે.

સ્પાઇસજેટને સુપ્રીમ કોર્ટે આપી રાહત! એરલાઇનને બંધ કરવાના આદેશ પર ત્રણ સપ્તાહ માટે પ્રતિબંધ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે એરલાઇન સ્પાઇસજેટને સ્વિટ્ઝર્લૅન્ડની કંપની ક્રેડિટ સુઈસ એજી સાથેના નાણાકીય વિવાદને ઉકેલવા માટે ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો અને મદ્રાસ હાઈકોર્ટના આદેશના અમલીકરણ પર પણ ત્રણ અઠવાડિયાનો પ્રતિબંધ મૂક્યો છે.

સ્પાઈસજેટે મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો
સ્પાઈસજેટે તેની અરજીમાં મદ્રાસ હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો જેમાં તેમણે લિક્વિડેશન અરજી સ્વીકારતા સત્તાવાર લિક્વિડેટરને સસ્તી સેવાઓ પૂરી પાડતી એરલાઇનની મિલકતોનો કબજો લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

'સ્વિસ કંપની સાથે સમસ્યા ઉકેલે કંપની'
ચીફ જસ્ટિસ એનવી રમણ, જસ્ટિસ એએસ બોપન્ના અને જસ્ટિસ હિમા કોહલીની ત્રણ જજોની બેન્ચે વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેની રજૂઆતની નોંધ લીધી હતી કે સ્પાઈસ જેટ સ્વિસ કંપની સાથે આ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે.

હાઈકોર્ટના આદેશ પર ત્રણ અઠવાડિયા માટે સ્ટે
બેન્ચે કહ્યું હતું કે "વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ આ મામલાને ઉકેલવા માટે ત્રણ અઠવાડિયાનો સમય માંગ્યો છે અને સ્વિસ કંપની તરફથી હાજર રહેલા કે.વી. વિશ્વનાથન પણ સ્ટે આપવા માટે સંમત થયા છે." દરમિયાન હાઈકોર્ટના આદેશ પર ત્રણ સપ્તાહ માટે સ્ટે મુકવામાં આવ્યો છે.

કંપનીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી
સ્પાઈસજેટે હાઈકોર્ટની ડિવિઝન બેંચના 11 જાન્યુઆરીના આદેશ સામે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી. હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે સિંગલ જજની બેન્ચના તાજેતરના નિર્ણયને માન્ય રાખ્યો હતો, જેણે એરલાઇનને બંધ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ઉપરાંત, હાઇકોર્ટ સાથે જોડાયેલા સત્તાવાર લિક્વિડેટરને મિલકતો જપ્ત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત ક્રેડિટ સુઈસ એજીએ હાઈકોર્ટની સિંગલ જજની બેન્ચ સમક્ષ આક્ષેપ કર્યો હતો કે સ્પાઈસજેટ એરક્રાફ્ટ એન્જિનના જાળવણી, સમારકામ અને ઓવરહોલિંગ માટે તેના 2.4 કરોડ ડોલરના બિલ ચૂકવવામાં નિષ્ફળ રહી છે.
(ઇનપુટ ભાષા)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news